Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

હોસ્પીટલ ચોકમાં ટ્રાયેન્ગ્યુલર બ્રીજ સામે અનુ.જાતી આગેવાનોનો વિરોધઃ કોર્પોરેશને ટોળુ ધસી ગયું: રજુઆત

રાજકોટઃ  શહેરમાં હોસ્પીટલ ચોક ખાતે ટ્રાયેન્ગ્યુલર બ્રીજનું નિર્માણ મ્યુ. કોર્પોરેશન દ્વારા થનાર છે. જેનું ખાતમુહુર્ત આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા થનાર છે. તે પુર્વે જ આજે સવારે અનુ.જાતીનાં આગેવાનોનું ટોળુ મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી ગયુ હતું અને ડે. કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને અધિકારીઓ સાથે મીટીંગ યોજી અને હોસ્પીટલ ચોકમાં ટ્રાયેન્ગ્યુલર બ્રીજ બનાવવા સામે વિરોધ દર્શાવ્યો હતો તે વખતની તસ્વીર. આ અંગે ડે. કમિશ્નર નંદાણીને પાઠવેલા આવેદનમાં જણાવાયું છે કે રાજકોટ શહેરમાં રાજકોટના ગૌરવ સમાન કે મહામાનવ ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સીવીલ હોસ્પીટલ ચોકમાં વર્ષોથી પ્રતિસ્થાપન કરવામાં આવે છે. આ પ્રતિમા રાજકોટ શહેરમાં વસતા લાખો પછાતો વંચીતોના આસ્થા સમાન છે. તેમજ ભારતરત્ન છે. જેનું સમગ્ર વિશ્વ અને ભારતના પ્રજાજનો સન્માન જાળવે છે ત્યારે હાલમાં રાજકોટ ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને દબાવી દેવા માટે હિન પ્રયાસ કરવામાં આવી રહયા છે. રાજકોટમાં સીવીલ હોસ્પીટલ ચોકમાં જે ટ્રાંઇગલ બ્રીજ બનાવવામાં આવી રહયા છે. પરંતુ હોસ્પીટલ ચોકમાં મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા ઉપર બ્રીજ બનાવવાની પેરવી કરવામાં આવી રહી છે તે અયોગ્ય છે. હકીકતે રાજકોટનું કોર્ટ બિલ્ડીંગ કે જે આવનારા દિવસોમાં અન્ય જગ્યાએ ખસેડવામાં આવનાર છે. કેસરી હિંદ પુલની શરૂ કરીને હોસ્પીટલ ચોક તરફ આવતો સંપુર્ણ રોડ રસ્તો બન્ને બાજુથી એક સરખો પહોળો કરવો ખુબ જ જરૂરી છે. જો અહીયા અન્ડર બ્રીજ બનાવીને પણ ટ્રાફીક સમસ્યાનો પણ નિરાકરણ થઇ શકે અને અમોના ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાં પ્રત્યે અનુ.જાતી, જનજાતી, બક્ષીપંચ તથા માઇનોરેટીના લોકોની લાગણીઓ પણ ન દુભાય. રાજકોટમાં મુખ્ય ટ્રાફીક સમસ્યા કોર્ટ બિલ્ડીંગમાં આવતા લોકો દ્વારા મોટા ભાગનો ટ્રાફીક સર્જાય છે. જયારે કોર્ટ જ અહીથી અન્ય સ્થળે ટ્રાન્સફર થવાની હોય ત્યારે ટ્રાફીકની સમસ્યા ઓટોમેટીક હળવી થઇ જવાની છે ત્યારે ઉપરોકત મુદાઓ ધ્યાને લઇ તાત્કાલીક યોગ્ય નિરાકરણ લાવવામાં નહી આવે તો સમસ્ત રાજકોટ અનુ.જાતી, જનજાતી, બક્ષીપંચ જાતી સમાજના લોકો તથા ડો.બાબા સાહેબ આંબેડકરજીના વિચારોને માનનારા લોકો અને તમામ સંગઠનોની લાગણી દુભાશે અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી રજુઆતના અંતે ઉચ્ચારી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:32 pm IST)