Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

પત્નીને કોરોનામાં ગુમાવનાર ૮૭ વર્ષના વૃધ્ધે અંતે સરકારી સારવાર લઈને કોરોનાને હરાવ્યો

હોસ્પિટલમાં ગીતાજી, રામાયણ વાંચી અને રામનામ લખીને કર્યો હતો સમય પસાર

રાજકોટ તા. ૮: અમારા ૮૭ વર્ષના પિતા પ્રભુલાલ લાલજીભાઇ પોપટને શરદી-તાવ જેવુ લાગતા ૮૩ વર્ષના અમારા માતા લીલાવંતીબેનનો પણ કોરોના ટેસ્ટ કરાવતા બંનેને કોરોના પોઝિટિવ આવ્યો. ઘરમાં સગવડ હતી એટલે બંનેને હોમ કોરન્ટાઇન કર્યા. અમારા પિતાને થોડુ ઓછું સાંભળવા સિવાય બીજી કોઇ જ બીમારી ન હતી. જયારે અમારા માતાને હૃદયની બિમારી હતી. છેલ્લા ત્રણ વર્ષથી હૃદય ફુલતું હતું. તેથી અમે ઓકિસજનના બાટલાની સુવિધા રાજકોટ અને મોરબીથી પુત્ર સહિત ચાર સભ્યોને લાવીને ઘરે જ ઉભી કરી હતી. પરંતુ અમારા માતા દસેક દિવસમાં ગુજરી ગયા, જેનો મારા પિતા સહિત અમને સૌને ખુબ આઘાત હતો એટલે અમારા પિતાને ઘરે સારવાર આપવા કરતાં સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવાનું અમો ૩ ભાઈઓ નકકી કર્યુ. અમારા પિતા પંદર દિવસ રાજકોટની સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ રહયા. ત્યાં તેમની સારવાર સફળ રહી. અને હવે તે સાજા સારા થઇને ઘરે પરત ફર્યા છે.'

આ વાત કરે છે રાજકોટના પ્રભુલાલભાઇના પુત્ર સુરેશભાઇ. તેઓએ કહયું કે, ૧૫ દિવસ સુધી સમરસ હોસ્ટેલમાં ધાર્મિક પુસ્તકો વાંચીને યોગ્ય સારવાર લઇ તેઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.'

પ્રભુલાલભાઇને સારવાર તો શ્રેષ્ઠ મળી જ હતી. સાથોસાથ તેમને સમરસની વ્યવસ્થાઓ પણ પસંદ પડી હતી. આ વિષે તેઓ કહે છે કે, 'સમરસનો સ્ટાફ બાથરૂમ સુધી લઇ જતો. મારા ફળો ઘોઇને ડીસમાં સુધારીને આપે. જમવાનું પણ પોતાના હાથે જમાડતા. હું જમું નહીં તો પરાણે જમાડતા અને કહે કે જમશો તો જલ્દી સારૂ થઇ જશે. આમ હોસ્પિટલના તમામ સ્ટાફે અમારી સરસ કાળજી લીધી હતી.'

મારો પુત્ર  અને પુત્રી પણ મારા માતા-પિતાની ઘરની સારવાર દરમિયાન  કોરોનાગ્રસ્ત થયા હતા. અને તેઓ બંને ઘરે  સારવાર લઇને જ કોરોનામુકત બન્યા છે.' તેમ સુરેશભાઇએ વધુમાં જણાવ્યું હતું. સુરેશભાઇ અને તેમના પત્નીએ કોરોના વિરોધી રસીના બંને ડોઝ લીધા હતા. પરિવારના  સભ્યોને કોરોના આવ્યો છતાં આ દંપતિ કોરોનાના સંક્રમણથી બચી શકયા છે. તેનો યશ સુરેશભાઇ કોરોનાની રસીને આપે છે.

(3:25 pm IST)