News of Thursday, 8th April 2021
કોરોનાએ 'પથારી' ફેરવી...હાડકાના દર્દીઓને રેલ્વે હોસ્પિટલમાં લઇ જવાયા કોરોનાનું સંક્રમણ અતિ ગતિ સાથે વધી જતાં અને મૃત્યુનું પ્રમાણ પણ વધતાં તંત્રવાહકોમાં દોડધામ મચી ગઇ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરના પાંચેય માળ અને બીજા વોર્ડ કોવિડ દર્દીઓથી ભરાઇ જતાં તાબડતોબ ટ્રોમા સેન્ટર અને ઓપીડીમાં વધુ ૨૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ટ્રોમા સેન્ટરમાંથી હાડકાના દર્દીઓને રેલ્વે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી થઇ ત્યારના દ્રશ્યો જોઇ શકાય છે. હાડકાના દર્દીઓને રેલ્વે હોસ્પિટલમાં ટ્રાન્સફર કરતી વખતે કેટલાક દર્દીઓએ કહ્યું હતું કે કોરોનાએ તો પથારી ફેરવી...આ દર્દીઓની પથારી હવે રેલ્વે હોસ્પિટલમાં પાથરવામાં આવી છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટઃ કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોમાં અંધાધૂંધ રીતે વધી જતાં અને મૃત્યુનું પ્રમાણ પણ વધી જતાં રાજકોટ શહેરમાં ફરીથી ફફડાટ ફેલાયો છે. કોરોનાનું નવુ રૂપ-સ્વરૂપ વધુ ભયંકર, ક્રુર હોવાનું સમજાઇ રહ્યું છે. મોતનું પ્રમાણ પણ વધી ગયું છે અને પોઝિટિવ કેસ પણ સતત વધી રહ્યા છે. અમુક લોકોને હજુ પણ ગંભીરતા નથી. પરંતુ સમજીએ એટલી સરળ નથી અને માનીએ એટલી હલકી પણ નથી...કોરોનાને કારણે હાલની જે પરિસ્થિતિ પેદા થઇ છે તે અત્યંત વિકટ જણાઇ રહી છે. સિવિલ હોસ્પિટલમાં નવા સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં આવ્યો ત્યારથી પાંચ માળમાં શરૂ થયેલી કોવિડ હોસ્પિટલ આજે હાઉસફૂલ થઇ ગઇ છે. ગયા મહિને અહિ કોવિડ દર્દીઓની સંખ્યા સાવ ઘટી ગઇ હતી. પરંતુ ઓચીંતા કેટલાક દિવસોથી સંક્રમિતોની આવક વધી જતાં જોતજોતામાં ૪૫૦થી વધુ બેડની અહિની વ્યવસ્થા છે તેમાં પથારી ખાલી નથી. કોવિડ સેન્ટરમાં નવા દર્દીઓ કે જેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોઇ અને બીજી મુશ્કેલીઓ હોઇ તેમને દાખલ કરવા જ પડે છે. પરંતુ હાલમાં બે દિવસથી હાલત એવી થઇ ગઇ છે કે નવા આવતાં દર્દીને થોડો સમય કે થોડા કલાક સુધી ગ્રાઉન્ડ ફલોરમાં જ સ્ટ્રેચરમાં રાખીને તત્કાલ સારવાર આપવી પડે છે. ટ્રાએજમાં રખાયેલા દર્દીઓને બાદમાં જેમ જેમ કોવિડમાં બેડ ખાલી થતાં જાય તેમ તેમ એન્ટ્રી અપાય છે. આ વિકટ પરિસ્થિતિને નિવારવા આજે તાબડતોબ હોસ્પિટલના સત્તાધીશોએ વધુ ૨૦૦ બેડની સુવિધા કોરોનાના દર્દીઓ માટે ઉભી કરી છે.
અગાઉ કોવિડ સિવાયના જુના વોર્ડ નં. ૭ તથા ૧૦, ૧૧ અને માનસિક રોગના વિભાગમાં કોવિડ પેશન્ટ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. હવે ત્યાં પણ દર્દીઓ ફૂલ થઇ જતાં આજે સિવિલ હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાંથી ઓર્થોપેડિક વિભાગના દર્દીઓને રેલ્વે હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓપીડીના સર્જરી વિભાગને પણ ખાલી કરીને દર્દીઓને આંખની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આમ ટ્રોમા સેન્ટરના ઓર્થોપેડિક વિભાગમાં ૮૦ અને ઓપીડીના સર્જરી વિભાગમાં ૧૨૦ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાંજ સુધીમાં આ બેડ કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ થઇ જશે. હાલના દિવસોમાં કોરોના જે રીતે ઉપાડો લઇ રહ્યો છે તે જોતાં તમામ તંત્રો તેને કાબૂમાં લેવા મંડી પડ્યા છે ત્યારે જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે સાવચેત રહીએ અને બીજાને પણ સાવચેત કરીએ. બેદરકારી ન દાખવીએ અને કોરોનાને લગતી માર્ગદર્શિકાઓ, નિયમોનું કડક પાલન કરી સંક્રમણથી બચીએ અને એ રીતે આપણે પણ તંત્રને મદદરૂપ થઇએ.