Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

માધાપરમાં BSNLનો વાયર કપાતા પડધરી મામલતદાર - જનસેવા કેન્‍દ્રમાં સર્વર બે દિ'થી બંધ

એડી. કલેકટરે અધિકારીઓ દોડાવ્‍યા : રાશનકાર્ડ - ઉતારા - દસ્‍તાવેજો અટકી પડયા

રાજકોટ તા. ૮ : માધાપર ચોકડીએ પુલ - રસ્‍તાનું કામકાજ ચાલુ છે, આ ખોદકામ દરમિયાન બીએસએનએલનો કેબલ કપાતા પડધરી તાલુકા મામલતદાર ઇ-ધરા કેન્‍દ્ર - દસ્‍તાવેજ કચેરીમાં શનિવારે ઓનલાઇન તમામ કામગીરી ખોરવાઇ ગઇ હતી. સેંકડો લોકોને ધરમધક્કા થયા હતા. આ પછી ફરિયાદો કલેકટર તંત્ર સુધી પહોંચતા એડી. કલેકટરની સુચનાથી અધિકારીઓ માધાપર ચોકડીએ દોડી ગયા હતા.

દરમિયાન ગઇકાલે આ રીપેરીંગ કરાયું ત્‍યાં આજે ફરી આડેધડ ખોદકામ દરમિયાન ફરી કેબલ કપાતા દેકારો બોલી ગયો હતો, આજે પણ ઓનલાઇન તમામ કામગીરી બંધ થઇ ગઇ હતી, રાશનકાર્ડ, દસ્‍તાવેજ, સાટાખત, ઇ-ધરા, જમીનના ઉતારાની નકલ, ૭/૧૨, ૬-અ સહિતના દસ્‍તાવેજોની કામગીરી ઠપ્‍પ થતાં લોકો મામલતદાર કચેરીએ દોડી ગયા હતા. આજે પણ એડી. કલેકટરે અધિકારીઓને દોડાવી રીપેરીંગ કામ શરૂ કરાવ્‍યું છે.

(4:07 pm IST)