Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સહજાનંદ વાટીકામાં મેડીકલ સ્ટોર સંચાલક અનીલભાઇ સંખાવરાનો ફાંસો ખાઇ આપઘાત

યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ

રાજકોટ,તા. ૮: કાલાવડ રોડ પર સહજાનંદ વાટીકા સોસાયટીમાં રહેતા મેડીકલ સ્ટોરના સંચાલકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ એમ.ટી.વી. હોટલની સામે સહજાનંદ વાટીકા સોસાયટી બ્લોક નં. ૬માં રહેતા અને મવડી સ્મશાન પાસે મેડીકલ સ્ટોર ચલાવતા અનીલભાઇ વલ્લભભાઇ સંખાવરા (ઉવ.૨૬) ગઇ કાલે પોતાના ઘરે તેના બે મિત્રો સાથે બેઠા હતા. થોડી વાર બાદ તેના મિત્રોને 'હમણ આવું છું' કહી અનીલભાઇ ઉપરના માળે નવેરામાં લોખંડની જાળી સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. અનીલભાઇ નીચે ન આવતા તેના મિત્રએ ઉપરના માળે જઇ રૂમનો દરવાજો ખખડાવતા અનીલભાઇએ દરવાજો ન ખોલતા મિત્રએ અગાશી પરથી જોતા નવેરામાં અનીલભાઇને લટકતી હાલતમાં જોતા તેણે દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી પીયુષભાઇએ તપાસ કરતા અનીલભાઇનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. કે.કે.ઝાલા તથા રાઇટર પ્રદિપભાઇ કોટડે તપાસ હાથ ધરી છે. મૃતક અનીલભાઇ બે ભાઇમાં નાના હતા. તેને સંતાનમાં એક પુત્ર છે. તે મવડી સ્મશાન પાસે મેડીકલ સ્ટોર ચલાવતા હતા. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:20 pm IST)