Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પુનિતનગર ટાંકા સામે નવા બનતા બિલ્ડીંગના પાંચમા માળેથી પટકાતા બિહારી મજૂરનું મોત

રામવિલાસ છ મહિનાથી પેટીયુ રળવા આવ્યો હતોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૮: ગોંડલ રોડ પુનિતનગર પાણીના ટાંકા સામે નવા બની રહેલા સત્યમ્ હિલ કોમ્પલેક્ષ નામના બિલ્ડીંગના પાંચમા માળે સેન્ટીંગ કામ કરી રહેલા બિહારી યુવાનનું લપસી પડતાં ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું છે.

રામવિલાસ મહેશ્વરીભાઇ યાદવ (ઉ.૨૭) છએક મહિના પહેલા બિહારથી રાજકોટ પેટીયુ રળવા આવ્યો હતો અને જુદી-જુદી સાઇટ પર સેન્ટીંગ કામની મજૂરી કરતો હતો. હાલમાં સત્યમ્ હિલમાં કામ કરતો હોઇ અહિ સવારે પાંચમા માળે હતો ત્યારે અકસ્માતે લપસી પડતાં ગંભીર ઇજા થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ તબિબે તેને મૃત જાહેર કરતાં પરિવારજનો અને સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.મૃત્યુ પામનાર ચાર ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના મોતથી માસુમ પુત્ર અને પુત્રી પિતા વિહોણા થઇ ગયા છે. તાલુકા પોલીસે એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૯)

 

(4:54 pm IST)