Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

લોક રક્ષક ભરતીમાં અનુ.જાતિ કેટેગરીમાં ન સમાવાતા ભરવાડ-રબારી-ચારણ સમાજમાં પ્રચંડ રોષઃ હજારોની રેલીઃ કલેકટરને આવેદન

કલેકટર કચેરીએ ૩ થી ૪ હજાર લોકો ઉમટી પડયાઃ ઉગ્ર સૂત્રોચ્ચારઃ દેખાવોઃ મુખ્યમંત્રીને સંબોધી આવેદન પાઠવાયું

LRD ભરતીમાં ગીર-બરડા-આલેચ વિસ્તારના માલધારી વિદ્યાર્થીઓને થયેલા અન્યાયના વિરોધમાં આજે મોરબી-રોડ ગીરીરાજ પાર્ટી પ્લોટ ખાતે ૭ થી ૮ હજાર માલધારીઓ એકઠા થયા હતા, પ્રચંડ રોષ વ્યકત કર્યો હતો, તસ્વીરમાં માલધારી સમાજને સંબોધતા માલધારી આગેવાન કરણાભાઇ માલધારી અને અન્ય આગેવાનો....ઉમટી પડેલા માલધારીઓ અને સઘન પોલીસ બંદોબસ્ત નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭ : લોકરક્ષક (પોલીસ) ભરતી ૨૦૧૮ માં અનુસુચિત જનજાતિ કેટેગરીમાંથી ભરવાડ, રબારી, ચારણ સમાજના ઉમેદવારોને દુર કરી દેવાતા આ મામલે ભારે રોષની લાગણી પ્રસરી છે. આજેે રાજકોટમાં રેલી સ્વરૂપે આવેદનપત્ર અપાયું હતું.

 ભરવાડ-રબારી-ચારણ સમાજ એકતા સમિતિના આગેવાનોએ જણાવેલ કે કટ આઉટ મેરીટ કરતા વધારે ગુણ હોવા છતા ભરવાડ-રબારી-ચારણ જ્ઞાતિના ઉમેદવારોને મેરીટ લીસ્ટમાંથી બહાર કાઢી નાખી તંત્ર દ્વારા ભારોભાર અન્યાય કરવામાં આવેલ છે.

લોકરક્ષક દળનું જાહેર કરવામાં આવેલ મેરીટ લીસ્ટ રીવાઇઝ કરી થયેલો આ અન્યાય દુર કરવાની માંગણી સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ઉદેશીને તૈયાર કરવામાં આવેલ વિસ્તૃત આવેદનપત્ર આજે કલેકટરને રેલી સ્વરૂપે જઇ સુપ્રત કરાયું હતું.

આ રેલીમાં ૫ હજારથી વધુ સંખ્યામાં ભરવાડ, રબારી અને ચારણ સમાજના લોકો જોડાશે.

આજે સવારે ૧૦ વાગ્યે રાજકોટના મોરબી રોડ, ગીરીરાજ પાર્ટી પ્લોટ ખાતેથી આ પગપાળા રેલી શરૂ થઇ હતી. કલેકટર કચેરીએ જઇ મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવા માટેનું આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.

ગીર, બરડા, આલેચ વિસ્તારમાં વસવાટ કરતા અને વિસ્થાપિત થયેલા ભરવાડ, રબારી, ચારણ સમાજને વર્ષ ૧૯૫૬ થી જ મહામહીમ રાષ્ટ્રપતિશ્રીના જાહેરનામાથી અનુસુચિત જનજાતિનો દરજજો આપવામાં આવેલ છે. આ બાબતે રાજય સરકાર દ્વારા રાજકીય દબાણોને વશ થઇ વિસંગતતા ઉભી કરવામાં આવી છે તે ભારોભાર અન્યાયકર્તા છે. આ બાબતે ત્વરીત ઘટતી કાર્યવાહી કરવા માંગણી ઉઠાવવામાં આવી છે.

૧૧ મુદ્દાઓ સાથેનું આ વિસ્તૃત આવેદનપત્ર કલેકટરશ્રીને અપાયું હતું. આ રેલીમાં સંતો મહંતો શ્રી રામબાલકદાસ, મહંતશ્રી વઢવાણી મંદિર દુધઇ, રામબાપુ મહંતશ્રી નગાબાપા ઠાકર, બાવળીયા, ભુવાઆતા શ્રી જેઠાઆતા જુનાગઢ, અરજણભાઇ મોરી કન્વીનર આદીજાતી લડત સમિતિ, કરણાભાઇ માલધારી, વિભાભાઇ જોગરાણા, જીલુભાઇ ગમારા, રાજુભાઇ ચાવડીયા, રણજીતભાઇ મુંધવા વગેરે જોડાયા હતા.

(4:15 pm IST)