Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

પી.જી.વી.સી.એલ. વિરૂદ્ધ રૂ.૧૦ લાખનું વળતર મેળવવા ગુજરનારના વારસોએ કરેલ દાવો રદ

માણસ બેનર બાંધવા થાંભલે ચડી મૃત્યુ પામે તો વળતર મળી શકે નહિઃ કોર્ટ

રાજકોટ તા.૭: માણસ પોતાના મૃત્યુને આમંત્રણ આપે એટલે કે પકડે અને પી.જી.વી.સી.એલ.ના થાંભલા ઉપર ચડે અને જીવતા વાયરને અડીને મૃત્યુ પામે તો તેમા પી.જી.વી.સી.એલ.ને વળતર ચુકવવા જવાબદાર ગણી શકાય નહી તેમ ઠરાવીને રૂ. ૧૦,૦૦,૦૦૦/- ના વળતરનો દાવો અદાલતે નકારી કાઢેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે, કપીલા હનુમાન મંદિર પાસે ભીચરી નાકા નજીક હનુમાન જયંતિ નિમિતે ગુજ. જીતેન્દ્ર વ્રજલાલ વેકરીયા હનુમાન જયંતિના બેનર બાંધવા પી.જી.વી.સી.એલ.ના પોલ પર ચડીને પ્લાસ્ટીકની દોરીથી બેનર બાંધતા હતા ત્યારે ૧૧ કે.વી. લાઇનના ટી.સી.ના સંપર્કમાં આવતા ઇલે.શોર્ટથી નીચે પડી ગયેલા અને ઇજા થતા મૃત્યુ પામેલ હતા. જેવા મતલબની યાદી પોલીસમાં લખાવી જેના આધારે પોલીસે સ્થાનિક જગ્યાનું પંચનામું કરી તપાસના કાગળો તૈયાર કરેલા.

ઉપરોકત હકીકત મુજબ જીતેન્દ્રભાઇ વ્રજલાલભાઇ જમીનથી ઊંચે આશરે ૧૦-૧૧ ફુટ જી.ઇ.બી.ના થાંભલા ઉપર ચડી પ્લાસ્ટીકની દોરીથી બેનર બાંધતા અચાનક ઉપર રહેલ ટી.સી.નાં સંપર્કમાં આવતા પડી ગયેલ તેવી ફરીયાદ લખાવી પી.જી.વી.સી.એલ. સામે ગુજ.ના વારસદારોએ રૂ. ૧૦,૦૦,૦૦૦/- વળતર મેળવવાની માંગણી કરેલ હતી અને જણાવેલ કે, પી.જી.વી.સી.એલ.ના વાયરો લબળતા હતા. પી.જી.વી.સી.એલ. દ્વારા કોઇ મેઇન્ટેનન્સ કરવામાં આવ્યું ન હતું. લબળતા વાયરોના કારણે ગુજરનાર સંપર્કમાં આવતા તેઓનું અવસાન થયેલ. તેવું જણાવી અદાલતમાં પી.જી.વી.સી.એલ.ની બેદરકારીના કારણે બનાવ બનેલ છે તેવું જણાવી વળતરની માંગણી કરેલ હતી.

પોલીસ કાગળ તથા પીજીવીસીએલના તપાસના કાગળો એક બીજાને સમર્થન કરતા હતા અને કેસ ચાલી જતા પુરાવામાં કોઇ જ જગ્યાએ વાયર લબળતા હતા જેવું રકર્ડ ઉપર આવેલ ન હતું. જેથી અદાલતે ચુકાદામાં જણાવેલ કે પ્રવાહ લીકેજ હોય, વાયર તુટી ગયેલ હોય, વાયરો લબળતા હોય અને પ્રવાહ આવતો હોય તો પીજીવીસીએલની બેદરકારી ગણાય પરંતુ માણસ જયારે જાણતો હોય કે હુ પીજીવીસીએલના થા઼ભલા ઉપર ચડીશ અને ઇલે. ના સંપર્કમાં આવીશ તો મારૂ મૃત્યુ થાશે તેમ છતા મોતને પકડવા પીજીવીસીએલના થાંભલા ઉપર ચડે અને ઇલે. શોર્ટ લાગે તો પીજીવીસીએલની કોઇ જ બેદરકારી ગણી શકાય નહી અને પીજીવીસીએલ વતી થયેલ દલીલોને માન્ય રાખી રૂ. ૧૦,૦૦,૦૦૦ વળતર મેળવવાની માંગણી નામંજુર કરી દાવો નામંજુર કરેલ હતો.

આ કામમાં પીજીવીસીએલ વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી જીતેન્દ્ર એમ. મગદાણી રોકાયેલા હતા.(૧.૨૦)

(3:54 pm IST)