Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

કાલે દિક્ષાર્થીઓનો સંસાર જીવનનો અંતિમ દિવસઃ વિદાય સમારોહ, માતૃ- પિતૃ વંદના અને કોળિયા વિધિ

રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે રાજકોટમાં જન- જનના ઉદયમાં અમીટ છાપ અંકિત કરી રહ્યો છે દીક્ષા મહોત્સવ

રાજકોટઃ છ-છ દિવસથી સમગ્ર રાજકોટને ત્યાગ-વૈરાગ્યના રંગમાં ઝબોળી દેનારો મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન ડેલીવાળાનો શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ હૃદયપટ પર કદી ન ભૂંસી શકાય એવી અવિસ્મરણીય છાપ અંકિત કરતો પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે.

દીક્ષાદાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ-શરણમાં બે આત્માઓને કલ્યાણના દાન પામવાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહી ગયાં છે, ત્યારે મહોત્સવના સાતમા દિવસે એટલે કે મુમુક્ષુઓના સંસાર જીવનના અંતિમ દિવસે કાલે તા. ૮ શનિવારે સવારે ૯ કલાકે વિદાય સમારોહ તેમ જ માતૃ-પિતૃ વંદનાના સંવેદનાસભર કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

સંયમના કલ્યાણ પંથ પર પ્રયાણ કરવા માટેની સહર્ષ અનુમતિ આપીને પરમ ઉપકાર કરનાર એવા મુમુક્ષુ બહેનોના માતા-પિતા પ્રત્યે ઉપકારની અભિવ્યકિત કરીને એમના ચરણ પૂજન સાથે વંદના અને અભિવંદના અર્પણ કરશે મુમુક્ષુ બહેનો. અને સાથે જ મમતા અને વાત્સલ્યનો ખોળો પાથરીને વ્હાલી દીકરીને અતિમવાર સ્નેહથી ભીંજવી દેતાં માતા-પિતાના એ હૃદયસ્પર્શી  થયો ના માત્ર હજારોની આંખોના ખૂણા ભીંજવશે પરંતુ દરેકના અંતરને પણ અહોભાવની ભીનાશથી ભીંજવી દેશે.

માતા-પિતા અને મુમુક્ષુ દીકરીઓ વચ્ચેના પ્રેમ અને સ્નેહના આદાન-પ્રદાન એ અદ્દભૂત ક્ષણો બાદ આ અવસરે મુમુક્ષુ બહેનોને ભાવભીની વિદાય આપતાં વિદાય સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સ્નેહી-સ્વજનો-પરિવારજનો, સંઘ અને સમાજની ભાવભીની વિદાય અને સંયમ જીવન માટેની શુભેચ્છાઓ પામ્યાં બાદ મુમુક્ષુ બહેનોના શ્રીમુખેથી વિદાયના ભાવોની અભિવ્યકિતનું શ્રવણ કરવાનો અનેરો લાભ આ અવસરે ભાવિકોને પ્રાપ્ત થશે.

ચતુર્વિધ સંઘ, સ્વજન-પરિવાર અને હજારો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે રેલાતાં મધુર ગીત-સંગીતના સૂરોની સાથે મુમુક્ષુઓને વિદાય આપ્યાં બાદ બપોરના ૩ કલાકે એટલે કે સંસાર જીવનની અંતિમ પૂર્વ સંધ્યાએ મહોત્સવનો અંતિમ કાર્યક્રમ કોળિયા વિધિનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આજીવન ભિક્ષા કરીને જીવનનિર્વાહ કરવા નીકળી રહેલી વ્હાલી દીકરીને સ્વજનો દ્વારા અંતિમવાર પોતાના હાથે મિષ્ટ ભોજનના કોળિયા ખવડાવવામાં આવશે. સ્વજનોની લાગણી, પ્રેમ અને સ્નેહ મિશ્રીત મિષ્ટ અન્નના કવલના આદાન-પ્રદાન કરતો આ અવસર ઉજવીને સ્વજનો મુમુક્ષુ બહેનો સાથે અંતિમવાર યાદગાર ક્ષણોને વ્યતીત કરશે.

હજારો હૃદયના અંતરની સંવેદનાઓને જાગૃત કરી દેતાં આ અવસરોમાં પધારીને જીવનને ધન્ય બનાવવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને શ્રી ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ૧૫૦ રીંગ રોડ, જેક બ્લુની સામે - રાજકોટ ખાતે પધારવા સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘોએ ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.(૩૦.૪)

(11:54 am IST)