Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ઓલ ઈન્‍ડિયા એન્‍ટી ટેરરિસ્‍ટ ફ્રન્‍ટના ચેરમેન મનિન્‍દરજીત સિંહ બિટ્ટાએ મા ખોડલના કર્યા દર્શન

રાજકોટઃ  ઓલ ઈન્‍ડિયા એન્‍ટી ટેરરિસ્‍ટ ફ્રન્‍ટના ચેરમેન મનિન્‍દરજીત સિંહ બીટ્ટાએ ખોડલધામ મંદિરે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ લીધા હતા.

 તેઓ રાજકોટથી મોટરમાર્ગે કાગવડ ગામ નજીક આવેલા સુપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે પહોંચ્‍યા હતા. ખોડલધામ મંદિરે પહોંચ્‍યા બાદ મનિન્‍દરજીત સિંહ બિટ્ટાએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લઈ ધન્‍યતા અનુભવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓએ મનિન્‍દરજીત સિંહ બિટ્ટાજીનું ભાવપૂર્ણ સ્‍વાગત કર્યું હતું. માતાજીના દર્શન બાદ મનિન્‍દરજીત સિંહ બિટ્ટાએ કલાનો વારસો ધરાવતા ખોડલધામ મંદિરને નિહાળ્‍યું હતું. ઉપરાંત મંદિર પરિસરમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓને પણ નજીકથી નિહાળી હતી. બાદમાં મનિન્‍દરજીત સિંહ બિટ્ટાએ ખોડલધામ મંદિરના અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ પણ લીધો હતો.

મહત્‍વનું છે કે મનિન્‍દરજીત સિંહ બિટ્ટા ઓલ ઈન્‍ડિયા એન્‍ટી ટેરરિસ્‍ટ ફ્રન્‍ટના બેનર હેઠળ સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. ખાસ કરીને તેઓ શહીદ સૈનિકો અને આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મદદરૂપ થવાનું કાર્ય કરી રહ્યા છે. સાથે જ દેશમાંથી આતંકવાદના નિર્મૂલન માટે પણ મૂહિમ ચલાવી રહ્યા છે. તેઓ શહીદ વીર ભગતસિંહથી ખૂબ જ પ્રભાવિત છે.

(4:35 pm IST)