Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

સાંસ્કૃતિક સીમોલ્લંઘનનો ઝળહળતો તેજપુંજ શ્રીમદ્દભગવદ્દગીતા પાઠશાળા

મર્યાદાપુરુષોત્ત્।મ રામે રાવણને પરાજિત કરવા પ્રયાણ કર્યું, તે દિવસ એટલે દશેરા. તેથી જ આ 'સીમોલ્લંઘન'નો દિવસ ગણાય છે. 'સીમોલ્લંઘન' એટલે અસત્ય પર સત્યનો વિજય કરવા સીમા ઓળંગવી. 'સીમોલ્લંઘન' એટલે દૈવી કાર્યને માટે પગલાં માંડવા. 'સીમોલ્લંઘન' એટલે ભેદની સીમાઓ ઓળંગીને તેજસ્વી વિચારો બીજા સુધી પહોંચાડવા. 'સીમોલ્લંઘન' એટલે કોઈને પારકો ન સમજતાં સૌની સાથે દૈવી સંબંધ બાંધવો.

આવા સાંસ્કૃતિક સીમોલ્લંઘનને સાકાર કરવા, 'દશેરા'ના દિવસે ઈ.સ. ૧૯૨૬ માં મુંબઈ ખાતે 'શ્રીમદ્દભગવદ્દગીતા પાઠશાળાની સ્થાપના થઈ. 'સ્વાધ્યાય' કાર્યના પ્રવર્તક પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રીજી આઠવલે (પૂજનીય દાદાજી) ની કર્મભૂમિ એટલે આ પાઠશાળા ! 

પાઠશાળાની સ્થાપના દાદાજીના પિતાશ્રી પૂ. વૈજનાથશાસ્ત્રીજી (એટલેકે પૂજનીય તાત્યાજી) એ કરી હતી. આ પાઠશાળા એ કોઈ થોડુંઘણું સંસ્કૃતનું પારાયણ કરાવનારી નાનીસૂની પાઠશાળા નથી, પરંતુ આખેઆખી સંસ્કૃતિનો જીર્ણોદ્ઘાર કરનારા વિચારોનો ઝળહળતો તેજપુંજ છે. આ પાઠશાળાએ માણસમાં શીલ નિર્માણ થાય તેવા વિચારોની અવિરત ગંગા વહાવી છે.

પૂજનીય દાદાજીએ માત્ર અને માત્ર ભગવાન અને સમગ્ર માનવજાતને નજરમાં રાખીને જ આ પાઠશાળા ચલાવી છે. આજે પણ લાખો સ્વાધ્યાયીઓની પ્રેરણાદાયી પાવન ગંગા એટલે પાઠશાળા. પૂજનીય દાદાજી કહે કે- સીમોલ્લંઘન એટલે યુદ્ઘ કરવા કે માથા કાપવા જવું તેવો અર્થ બિલકુલ નથી, પરંતુ માણસના માથામાં રહેલા વિચારો બદલાવવાના છે. તે માટેનું સાંસ્કૃતિક કાર્ય પાઠશાળાએ કર્યું છે. પાઠશાળાના માધ્યમથી દાદાજીએ નાત-જાત, ગરીબ-તવંગર, અભણ-વિદ્વાન કે આવી બધી જ સીમાઓને ઓળંગી- નવયુગનું સીમોલ્લંઘન દાખવ્યું છે; અને દૈવી સંબંધોથી મધમધતો નવલો સ્વાધ્યાય પરિવાર રચ્યો છે.

ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે, રામ અને કૃષ્ણે પણ આવું સીમોલ્લંદ્યન કરેલ છે. ત્રેતાયુગમાં ભગવાન રામે ૧૪ વર્ષના વનવાસ દરમ્યાન જબરદસ્ત સાંસ્કૃતિક કાર્ય કર્યું હતું. વાનર, નિષાદ, કિરાત, દસ્યુ, ભીલ, વનવાસી જેવી અનેક જાતિના લોકોને રામ મળ્યા. અયોધ્યાના રાજકુમાર રામે વનવાસ સહન કરીને બધા જ સીમાડાઓ ઓળંગીને આ પુંજોને સંસ્કાર આપી ધન્ય કર્યા હતા. ભગવાન કૃષ્ણે પણ બાળપણમાં ગોકુલ-મથુરાની આસપાસના સેંકડો ગામોમાં ગોપ-ગોપીઓમાં પરિવર્તન લાવીને સાંસ્કૃતિક કાર્ય કર્યું હતું. આજના યુગમાં સાંસ્કૃતિક કાર્ય એટલે દાદાજીના શબ્દોમાં કહીએ તો- શ્નછેવાડાના માનવ સુધી ભગવાનની વાતો લઈ જવી. અને આવું કાર્ય કરનારા લાખો લોકો આજે પાઠશાળાની પ્રેરણાથી તૈયાર થયા છે.

એકાદ વ્યકિતએ જાતે નિશ્યિત કરીને પ્રભુકાર્ય કરવું તે કદાચ સરળ લાગે; પરંતુ લાખો લોકોને આ રસ્તે વાળવા તે દુષ્કર છે. આવું દુષ્કર કાર્ય આજે પાઠશાળાએ કરી બતાવ્યું છે. તેથી જ પ્રખર વૈશ્વિક અભ્યાસુઓ પણ કહે છે કે, શ્નલાખો લોકો પ્રભુકાર્ય માટે નિઃસ્વાર્થતાથી પોતાનો ટાઈમ, ટિફિન, ટિકિટ લઈને વર્ષો સુધી નીકળતા હોય- આવું સાંસ્કૃતિક સીમોલ્લંદ્યન વૈશ્વિક ઈતિહાસમાં કયાંયે જ્ઞાત નથી. આ વિરાટ સીમોલ્લંઘન આજે પાઠશાળાના માધ્યમથી દાદાજીએ સાકારિત કર્યું છે.

આજે અક્ષરશઃ લાખો સ્વાધ્યાયી ભાઈ-બહેનો પાઠશાળાથી પ્રેરણા પામ્યા છે. તેઓ પોતાનો યથાશકિત સમય ભગવદ્દકાર્યાર્થ અર્પણ કરી રહ્યાં છે. ભગવાન માટે કૃતજ્ઞતા વ્યકત કરવા ત્રિકાળ સંધ્યા સમાજના અંતિમ વ્યકિત સુધી પહોંચાડી રહ્યા છે. તે માટે દર અઠવાડિયે ભાવફેરી, દર પખવાડિયે એકાદશી અને દર મહિને એક દહાડો વ્રત તરીકે નીકળી રહ્યા છે.

આવા અલૌકિક પરિવારની ધુરા દાદાજીના સુપુત્રી એવા પૂજનીય દીદીજી (એટલેકે પૂજનીય ધનશ્રી તળવલકર) સાફલ્યપૂર્વક આજે સંભાળી રહ્યાં છે. પાઠશાળાના તેજસ્વી વિચારોની પાછળ દાદાજીની અને દીદીજીની ચૈતન્યશકિત દીસે છે. પાઠશાળાનો વિચાર-સ્પર્શ પામીને દરેક માનવને લાગે છે કે હું પણ મારી બનતી શકિતથી પ્રભુકાર્ય કરું, કૃતિભકિત કરું. માનવને કૃતિભકિત અને ભાવભકિતનો સમન્વય દાખવનાર પૂજનીય દાદાજીને અને પૂજનીય દીદીજીને આ વિરાટ પાઠશાળાના સ્થાપના દિવસે (દશેરાના પવિત્ર દિવસે) શતશઃ વંદન.

(3:44 pm IST)