Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કાળીપાટના બે દરબાર શખ્સોના ''ડબલમર્ડર'' કેસમાં બે આરોપીઓની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા.૭: કાળીપાટ ગામે દરબાર શખ્સોના ચકચારી ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓની જામીન અરજી નામંજુર કરવાનો રાજકોટની સેસન્સ અદાલતે હુકમ કર્યો હતો.

રાજકોટ તાલુકાના ભાવનગર રોડ પર આવેલા કાળીપાટ ગામમાં આજથી આઠેક વર્ષ પહેલા તારીખઃ ૧૦-૭-૨૦૧૧ના રોજ તાવા પ્રસાદના ધાર્મિક પ્રસંગમાં થયેલ ગાળાગાળી બાબતે કોળી જૂથે દરબાર જૂથ ઉપર કરેલ હુમલામાં બે બે દરબાર યુવાનો ૧. મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા ૨. વિશ્વજિતસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાની હત્યા થયેલી હતી. જેમાં તાલુકા પો.સ્ટે.થી ઇ.પી.કો.ની કલમ ૩૦૨,૩૦૭,૨૬,૩૨૫ વગેરેના કામ સબબ ગુનો નોંધાયેલ. આ ગુનાના કામે ૧૦ આરોપીઓની ધરપકડ થયેલી. જેમાના મોટાભાગના આરોપીઓ ખૂબ જ લાંબા સમયથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય જે માંથી સુરેશ રધાં દુધરેજિયા અને અને દિનેશ દેવશી દૂધરેજિયાએ હાલ-જિલ્લા જેલ રાજકોટ વાળાએ માનવતા ના ધોરણે વચગાળાના જામીન પર છૂટવા રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી.

જેમાંથી સુરેશ રઘાં દૂધરેજિયા અને અને દિનેશ દેવશી દૂધરેજિયા એ જેલમાંથીજ બે અલગ અલગ જામીન અરજી કરેલ. અને પોતાની ખેતીની જમીનમાં ચોમાસુ પાકમાં નીંદામણ,ખાતર,જંતુનાશક દવા તથા સાંતી હકાવા દિન-૩૦ના વચગાળાના જામીન માગેલ. પોતાના ઘરના મોટાભાગના સભ્યો આઠ વર્ષ ઉપરાંત ના સમયગાળાથી જેલમાં હોય આર્થિક પરિસ્થિતી ખરાબ થઇ જવા પામેલ હોય અને જો જામીન મળસે તો કોઇ પણ જામીનની શરતોનો ભંગ નહી કરે તેવી લેખિત રજૂઆતો કરેલ હતી.

રાજકોટના એડિશનલ સેશન્સ જજ શ્રી આર.એલ.ઠકકરએ બંને પક્ષોની દલીલો તથા મૂળ ફરિયાદીના લેખિત વાંધાઓ ધ્યાને લઇ નોંધેલ કે હાલ આ કેશ અંતિમ તબક્કામાં હોય. ડબલ મર્ડર જેવા ગંભીર ગુનાના આરોપીઓ હોય, ખેતી કામ કરવા માટે ઘરના અન્ય સભ્યો હાજર હોય અને આરોપીઓ અને ફરિયાદીઓ ઓ એક જ ગામમાં રહેતા હોય જેથી અદાલત ને મળેલ વિવેકબુદ્ધિની સતાનો ઉપયોગ આરોપીની તરફેણમાં કરવાનું ન્યાયોચિત જણાયેલ ના હોય બંને આરોપીઓની બે અલગ અલગ જામીન અરજીઓ રાજકોટના નામદાર એડિસનલ જજ સાહેબે નામંજૂર નામંજુર કરેલ છે. આ કામમાં સ્પે.પી.પી.તરીકે શ્રી અનિલ દેસાઇ તથા મૂળ ફરિયાદી તરફે વકીલ રૂપરાજસિંહ પરમાર,અજિત પરમાર, કુલદીપસિંહ બી જાડેજા. ભરત સોમાણી, શિવરાજસિંહ ઝાલા રોકાયેલ હતા.

(3:47 pm IST)