Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મીઠાપુરથી પ્રેમી સાથે ભાગેલી પરિણીતા રાજકોટમાં પકડાઇ ગઇઃ પ્રેમીને તેના પિતા લઇ જતાં જીવ દીધો

જામનગરના યુવાન સાથે લગ્નના દસ જ દિવસ પછી અલગ પડી ગઇ'તીઃ હાલમાં બહેનપણી સાથે રાજકોટ રહેતી'તીઃ આપઘાત કરનાર કાજલ મકવાણા (વાલ્મિકી)ની બહેનપણી અંજલી કહે છે-કાજલને મીઠાપુરના વાલ્મિકી યુવાન હાર્દિક સાથે પ્રેમ હતોઃ આઠમને દિવસે બંને ભાગ્યા'તાઃ પોતે પણ સાથે હતીઃ પ્રેમીથી અલગ પડી જતાં તે ખુબ દુઃખી થઇ ગઇ હતી

કાજલ મકવાણાનો મૃતદેહ અને વિગતો જણાવનાર તેની બહેનપણી અંજલી ચોૈહાણ

રાજકોટ તા. ૭: જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં. ૧૪૫ની બાજુમાં બહેનપણી સાથે રહેતી જામનગરની પરિણીતા અને હાલ મીઠાપુર માવતરે રહેતી કાજલ પ્રકાશભાઇ મકવાણા (ઉ.૨૦)એ પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોતે આઠમને દિવસે મીઠાપુરથી પ્રેમી સાથે ભાગી નીકળી હતી. પરમ દિવસે પ્રેમીના પિતાએ આવી બંનેને શોધી કાઢતાં અને પ્રેમીને સાથે લઇ જતાં આઘાતને કારણે આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ આર. જે. જાડેજા અને રાઇટર દિગ્વીજયસિંહ ગોહિલે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કાજલ ત્રણ બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના લગ્ન બે વર્ષ પહેલા જામનગરના પ્રકાશ મકવાણા સાથે થયા હતાં. પણ લગ્નના દસ-બાર દિવસમાં જ બંને વચ્ચે વાંધો પડતાં તેણી મીઠાપુર માવતરે આવી ગઇ હતી અને માતા રંજનબેન તથા પિતા તુલસીભાઇ ગોહેલ સાથે રહેતી હતી.

કાજલની બહેનપણી મીઠાપુરની અંજલી ચોૈહાણે જણાવ્યું હતું કે હાલમાં છએક માસથી પોતે અને કાજલ બંને રાજકોટ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતી હતી. થોડા દિવસ પહેલા જ બંને મીઠાપુર ગઇ હતી. કાજલને મીઠાપુરના હાર્દિક ઝાલા સાથે એકાદ વર્ષથી પ્રેમ હતો. આ બંને આઠમને દિવસે ત્યાંથી ભાગી નીકળ્યા હતાં. હાર્દિક અપરિણીત છે. બંનેની સાથે પોતે પણ રાજકોટ ભાગી આવી હતી. જો કે પરમ દિવસે હાર્દિકને શોધતા શોધતા તેના પિતા સહિતના લોકો રાજકોટ આવ્યા હતાં અને હાર્દિકને સાથે લઇને જતાં રહ્યા હતાં. તેના પિતાએ કાજલ અને પોતાને મારકુટ પણ કરી હતી. પ્રેમીથી અલગ પડી જતાં કાજલ ખુબ દુઃખી થઇ ગઇ હતી અને રડતી હતી.

ગત સાંજે પોતે ઘંટેશ્વર પાસે શાકભાજી લેવા ગઇ હતી અને પાછી કવાર્ટર ખાતે આવી ત્યારે કાજલ લટકતી જોવા મળતાં ૧૦૮ બોલાવી હતી. પણ તેના ડોકટરે કાજલ મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યુ હતું. 

દિકરીએ આપઘાત કર્યાની જાણ થતાં મીઠાપુરથી તેના માતા સહિતના સ્વજનો રાજકોટ દોડી આવ્યા હતાં. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૯)

 

(12:15 pm IST)