Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજકોટમાં કોરોનાના કેસો વધ્યા છે, ૧૮ ટકા પોઝિટિવીટી છે જેને ૭ ટકાથી નીચે લઇ જવાના પ્રયાસો-જયંતિ રવિ

ધનવંતરી રથ, સંજીવની રથ, ઉકાળાના ગુજરાત મોડેલની સમગ્ર દેશમાં નોંધ લેવાઇ છેઃ ડોર ટુ ડોર સર્વે વધારાયો છેઃ સુરત-અમદાવાદની જેમ રાજકોટમાં પણ કોરોના કાબુમાં આવશે : પ્લાઝમા ડોનેટ પર ભાર મુકાશેઃ માસ્ક પહેરવા પર, સોશિયલ ડિસ્ટન્સ પર રાજકોટવાસીઓને વધુ ભાર આપવા આરોગ્ય અગ્ર સચિવનો અનુરોધઃ ડોર ટુ ડોર સર્વે કરવા ૩૪૦ ટીમો કામે લગાડાઇ છેઃ વધારાના ૧૪૦ આયુષ ડોકટરો પણ જોડવામાં આવ્યા છેઃ રોજના ચાર ગણા ટેસ્ટ વધારયા છે : રાજકોટમાં કોન્ટેકટ ટ્રેસિંગ પણ વધારાયું: દરરોજના ૭૧ લોકોના કોન્ટેકટ ટ્રેસિંગ

અગ્ર આરોગ્ય સચીવ  જયંતિ રવિ સાથે કલેકટર  રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, મેડિકલ કોલેજના ડીન ડો. ગોૈરવી ધ્રુવ, સિવિલ હોસ્પિટલના તબિબી અધિક્ષક ડો. પંકજ બુચ, આરએમઓ ડો. એમ. સી. ચાવડા, જીલ્લા આરોગ્ય અધિકારીઓ તેમજ બીજા અધિકારીઓ જોડાયા હતાં. કોન્ફરન્સ હોલમાં એન્ટર થતાં પહેલા જયંંતિ રવિએ પણ અન્યોની સાથે સ્કેનરથી ટેમ્પરેચર ચેક કરાવ્યું હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭: વૈશ્વિક મહામારી કોરોનાના કેસ રાજકોટમાં સતત વધી રહ્યા હોઇ આજે તંત્રો સાથે સમિક્ષા કરવા રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટ આવી પહોંચ્યા હતાં. તેમણે સિવિલ હોસ્પિટલ કેમ્પસની પીડીયુ મેડિકલ કોલેજના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે રાજકોટમાં રાજકોટમાં કોરોનાના કેસ વધ્યા છે એ હકિકત છે. આજે ૧૮ ટકા પોઝિટિવિટી છે તે ઘટાડીને ૭ ટકાથી નીચે લઇ જવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ માટે ધનવંતરી રથ, સંજીવની રથના ઉપયોગથી ડોર ટુ ડોર સર્વે પણ વધારવામાં આવ્યો છે. આ કારણે કોવિડ-૧૯ના પ્રાથમિક લક્ષણો ઝડપથી શોધી શકવામાં સફળતા મળી છે. મૃત્યુદર ઘટ્યાનું તેમણે જણાવી કહ્યું હતું કે રાજકોટમાં આજે ૯૯૦ કેસ એકટીવ છે. જેમાંથી ૭૩૩ કેસ રાજકોટ શહેરના અને ૨૫૭ કેસ ગ્રામ્યના છે.

અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું એકટીજન કીટથી ૧૬ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. હવેથી રોજના ટેસ્ટનો દર ચારગણો વધારી દેવામાં આવ્યો છે. વ્હુની ગાઇડલાઇન મુજબ દર લાખે ૧૪૦ના ટેસ્ટ કરવાના હોય છે. તેના પ્રમાણમાં આપણે ચાર ગણા વધુ ટેસ્ટ કરીએ છીએ. ડોર ટુ ડોર સર્વેનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે અને આ માટે ૩૪૦ ટીમો શહેર-જીલ્લામાં કાર્યરત છે. વધારાના ૧૪૦ આયુષ ડોકટરોને પણ આ ટીમ સાથે જોડી દેવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને કલેકટર તંત્રને કોરોનાને અટકાવવા માટેના કોઇપણ પગલા લેવા માટેની વિશાળ સત્તાઓ આપવામાં આવી છે.  રાજકોટ જીલ્લામાં મૃત્યુ રેશિયો પણ ઘટ્યો હોવાનું તેમણે કહ્યું હતું. એ મુજબ રાજકોટ જીલ્લામાં ૩.૯  ટકા, શહેરમાં ૧.૯ અને રાજ્યમાં ૩.૯ ટકા મૃત્યુદર હોવાનું તેમણે જણાવ્યું હતું.

ડો. જયંતિ રવિએ આગળ કહ્યું હતું કે હોમ આઇસોલેશન એ ખુબ જ પોઝિટિવ વસ્તુ છે. રાજકોટમાં ૩૦ ટકાથી વધુ લોકોએ હોમ આઇસોલેશન પસંદ કર્યુ છે અને ૫૦ ટકા લોકોએ કોવિડમાં આઇસોલેટ થવાનું પસંદ કર્યુ છે. રાજકોટ શહેરમાં સુપર સ્પ્રેડર ગણાતાં ફેરીયાઓ સહિતનું સ્ક્રીનીંગ પણ વધારી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૬૭૨૯નું સ્ક્રીનીંગ કરાયું છે. જેમાંથી ૨૩૨૫ જેટલાને શરદી-ઉધરસ જેવા સામાન્ય લક્ષણો દેખાયા હતાં. તેમજ આટલા લોકોમાંથી માત્ર ૪૬ જણા જ પોઝિટિવ આવ્યા હતાં.  રાજકોટના પછાત વિસ્તારોમાં કોરોના સ્પ્રેડ થતો અટકી રહ્યો છે એ પણ ખુબ સારી બાબત હોવાનું તેમણે કહી લોકોને સતત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝેશન સહિતની બાબતોમાં વધુ ગંભીર બનવું જરૂરી હોવાની ટકોર તેમણે કરી હતી. લોકોને રોગ પ્રતિકારક શકિત વધારવા પણ જરૂરી પગલાઓ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

આરોગ્ય સચિવશ્રીએ વધુમાં કહ્યું હતું કે રાજકોટ શહેરમાં કોરોનાની ૧૮ ટકા પોઝિટિવિટી છે તે ઘટાડીને સાત ટકાથી નીચે લઇ જવા પ્રયાસો થઇ રહ્યા છે. આરોગ્ય સેતુ અને ઇતિહાસ નામની એપનો ઉપયોગ પણ ગુજરાતમાં સોૈથી વધુ થઇ રહ્યો છે. ધનવંતરી રથ, સંજીવની રથ અને ઉકાળા સહિતની શરૂઆત ગુજરાતમાં જ સોૈ પ્રથમ થઇ હતી અને આજે દેશભરમાં આ એક મોડેલ બની રહ્યું છે. ઇતિહાસ એપને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ વધુને વધુ વિકસીત કરાવવા સુચનો આપ્યા છે. ઇતિહાસ એપથી કોરોનાગ્રસ્ત વ્યકિતનું તમામ લોકેશન જાણી શકાય છે.

તેમણે પ્લાઝમા થેરાપી પ્રત્યે પણ ભાર મુકતાં જણાવ્યું હતું કે રાજકોટમાં ૮ કેસમાં આજે પ્લાટમા ડોનેટ થશે. આ કાર્યવહીને વધારી દેવામાં આવી છે. દરરોજ રાજકોટમાં ૪ પ્લાઝમા ડોનેટ થાય તે માટેનો ટારગેટ આરોગ્ય તંત્રને આપી દેવાયો છે. રાજકોટમાં કોન્ટેકટ ટ્રેસીંગ પણ વધારવામાં આવ્યાનું જયંતિ રવિએ કહ્યું હતું અને દરરોજ ૭૧ લોકોના કોન્ટેકટ ટ્રેસીંગ કરાય છે. તેમ જણાવ્યું હતું. જયંતિ રવિ આજે માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર થયેલા એરિયા તથા અને ધન્વંતરી રથ જ્યાં ફરે છે ત્યાં પણ મુલાકાત લેવા પહોંચ્યા હતાં. પોતે રાજકોટનું દરરોજ ગાંધીનગર બેઠા બેઠા મોનીટરીંગ કરતાં હોવાનું અને અમદાવાદ-સુરતની જેમ રાજકોટમાં પણ ઝડપથી કોરોનાના કેસો ઘટાડવામાં સફળતા મળશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

આજથી બેઠકમાં અગ્ર આરોગ્ય સચીવ  જયંતિ રવિ સાથે કલેકટર શ્રી રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, મેડિકલ કોલેજના ડીન ડો. ગોૈરવી ધ્રુવ, સિવિલ હોસ્પિટલના તબિબી અધિક્ષક ડો. પંકજ બુચ, આરએમઓ ડો. એમ. સી. ચાવડા, જીલ્લા આરોગ્ય અધિકારીઓ તેમજ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓ સહિતના જોડાયા હતાં.

સ્લમ વિસ્તારોમાં કોરોના આગળ વધતો અટકયો છે એ સારી બાબત

. રાજકોટમાં કોરોનાના કેસો વધી રહ્યા હોઇ તે કારણે આજે રાજકોટની મુલાકાતે આવેલા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં સ્લમ એરિયામાં કોરોના આગળ વધતો અટકયો છે એ ખુબ સારી બાબત છે. આ વિસ્તારના લોકો જાગૃત છે જ, હજુ પણ વધુ જાગૃત બની સરકારી માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરતાં રહે તે જરૂરી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનીટાઇઝેશન સતત વધારવા તેમણે શહેરીજનો જોગ અનુરોધ કર્યો હતો.

રાજકોટમાં દરરોજ ૪ પ્લાઝમા ડોનેટ થાય તેવો ટારગેટ

. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે રાજકોટમાં હવે પ્લાઝમા ડોનેશન પર વધુ ભાર મુકવામાં આવશે. સુરતમાં અત્યાર સુધીમાં ૨૬૫ પ્લાઝમા ડોનેટ થઇ ગયા છે. રાજકોટમાં પણ આ માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અહિ દરરોજ ૪ પ્લાઝમા ડોનેટ થાય અને થેરેપી થાય તે માટેનો ટારગેટ આરોગ્ય તંત્રને આપવામાં આવ્યો છે.

(3:15 pm IST)