News of Tuesday, 7th July 2020
રાજકોટ તા. ૭: અત્રે રોણકીની કરોડો રૂપિયાની કિંમતી જમીન સંબંધે થયેલ ફરીયાદમાં બોગસ કુલમુખત્યારનામું તથા બોગસ દસ્તાવેજ બનાવવામાં આરોપી હિરાભાઇ પમાભાઇ સાગઠીયાની ધરપકડ થતા પાંચ દિવસના રીમાન્ડ ઉપર કોર્ટે સોંપવાનો હુકમ કર્યો હતો.
સદરહું ફરીયાદના ગુન્હાના કામે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ. એમ. ગઢવી એ આરોપીની ધરપકડ કરી દિવસ-૧૪ ના રીમાન્ડ માંગેલ અને હાલનો ગુનો જે કહેવાતું સને ર૦૧૦ના રોજ નોટરી એ. કે. ટોળીયા પાસે નોટરી કરાવેલ કુલ મુખત્યારનામા આધારે દસ્તાવેજ રજીસ્ટર કરાવી ગુનો આચરેલ હોય, જે કુલ મુખત્યારનામાની નોટરી એ. કે. ટોળીયાના રજીસ્ટરમાં કોઇ નોંધ ન હોય, જે બાબતે હાલના આરોપીની ઉંડાણ પૂર્વક તપાસ કરવા હાજરીની જરૂરીયાત છે તેમજ બોગસ, બનાવટી કુલ મુખત્યારનામાના આધારે હાલના આરોપી તથા ગીરીરાજસિંહના નામે દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે કુલ મુખત્યારનામું કોના દ્વારા? કઇ જગ્યાએ? કેવી રીતે બનાવવામાં આવેલ છે? તે બાબતે તપાસ કરવા તેમજ બોગસ કુલ મુખત્યારનામું ઉભું કરવામાં આવેલ જેમાં નોટરી એ. કે. ટોળીયાના સહી સીકકા કોના દ્વારા કરવામાં આવેલ? તેમજ કયા આરોપીની શું ભુમીકા છે?
પંદિર દિવસ બાદ બે સાટાખત કરી આપવામાં આવેલ હોવાની હકિકત જણાવેલ છે તે સાટાખત કોના નામે કરવામાં આવેલ છે? તેની તપાસ કરવી ખુબજ જરૂરી હોય, તેમજ અસલ દસ્તાવેજ તથા અસલ કુલ મુખત્યારનામુ તપાસ દરમ્યાન મળી આવેલ ન હોય, જે અસલ દસ્તાવેજો બાબતે માહિતી જણાવતો ન હોય, જયારે અસલ દસ્તાવેજ બાબતેઢ હાલનો આરોપી જ માહિતી આપી શકે તેમ હોય, તે બાબતે તપાસ કરવા તેમજ અન્ય અટક કરવાના બાકી આરોપીઓ બાબતે વધુ તપાસ કરવા તેમજ હાલના આરોપીને અન્ય કોણે કોણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુનામાં મદદ કરેલ છે તેમજ આરોપી નાસતો ફરતો હોય, તે દરમ્યાન મજકુર આરોપી કયા કોની પાસે રોકાયેલ? તેને કોને કોને આશરો આપેલ? તે બાબતે હાલનો આરોપી જ સ્પષ્ટ હકિકત જણાવી શકે તેમ હોય, વધુ તપાસ કરવા હાલના આરોપીની હાજરી જરૂરીયાત છે તે માટે રીમાન્ડની જરૂરીયાત હોવાનું જણાવી ચીફ જયુ. મેજી. સમક્ષ રજુ કરતા ગુન્હાની ગંભીરતા જોઇ તેમજ આચરવામાં આવેલી મોડેસ ઓપરેન્ડી ધ્યાને લઇ અદાલતે પાંચ દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે.
આ પાંચ દિવસના રીમાન્ડ દરમ્યાન ઘણી ચોંકાવનારી વિગતો અને અન્ય ઘણા આરોપીઓની સંડોવણી તપાસનીશ અધિકારી સમક્ષ આવી શકે તેમ છે અને તેથી આ કૌભાંડમાં ઘણા મોટા માથાના ફરતે કાનુની સંકજો કસાઇ રહ્યો છે અને ફરીયાદમાં જે આરોપીના નામ આપવામાં આવેલા તે કાનુની સકંજો કસાઇ રહ્યો છે અને ફરીયાદમાં જે આરોપીના નામ આપવામાં આવેલા છે તેઓ પોલીસની ધરપકડથી બચવા માટે ભુગર્ભમાં ઉતરી ગયેલ છે તેવું જાણવા મળે છે.
આ કામમાં મુળ ફરીયાદી રમેશભાઇ બાબુભાઇ પરસાણા વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અર્જુન એસ. પટેલ, મુકેશ જી. ગોંડલીયા, સત્યજીત જે. ભટ્ટી, જીગર બી. નસીત, સચીન બી. સગપરીયા રોકાયેલા છે.