Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

સગીરા ઉપરના બળાત્કાર કેસમાં બાવાજી યુવાનને ૧૦ વર્ષની સજા

આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી અનેક વખત દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવેલઃ ડીએનએ ટેસ્ટમાં આરોપી ભૃણનો પિતા હોવાનું સાબીત થયેલઃ અધિક સેસન્સ જજશ્રી એમ.એમ.બાબીએ આપેલ ચુકાદો

રાજકોટ, તા., ૩: રાજકોટમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને પ્રેમઝાળમાં ફસાવી બ્લેકમેઇલ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારીને સગીરાને ગર્ભવતી બનાવવાના ગુનામાં પકડાયેલ અહીના બેડીપરા ગંગેશ્વર મહાદેવના મહાદેવના મંદિર પાસે રહેતા બાવાજી યુવાન અને સંગીત ઓરકેસ્ટ્રામાં તબલા વગાડનાર આરોપી હેમલ ભરતગીરી ગોસ્વામી સામેનો કેસ ચાલી જતા એડી. સેસન્સ જજશ્રી એમ.એમ.બાબીએ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે ૧૪ વર્ષની સગીર કન્યાને ગણેશ વિસર્જનના પ્રસંગે આરોપી હેમલ ભરતગીરી ગોસ્વામી સાથે પરીચય થતા પ્રેમ સંબંધ બંધાયેલ અને મોબાઇલ ઉપર લાંબા સમય સુધી વાતચીતો થતી ત્યાર બાદ એક દિવસે આરોપીએ ભોગ બનનારને ફોન કરી રાત્રીના જણાવેલ કે તારી બહેનપણી એશા તને બોલાવે છે તેથી ઘરની બહાર આવ. આ રીતે ભોગ બનનાર ગેલેરીમાં બહાર આવતા આરોપી બહાર ઉભો જણાયેલ. આ સમયે આરોપીએ જબરદસ્તીથી ભોગ બનનાર પાસે આવી તેણીને કપડા કાઢવા માટે બળજબરી કરેલ અને તેણીના મોઢે ડુચો મારી જબરદસ્તીથી શરીર સંબંધ બાંધેલ.

આ વખતે ભોગ બનનાર રાડ પાડવા જતી હતી ત્યારે આરોપીએ તેને બદનામ કરી નાખવાની ધમકી આપી ચુપ કરી દીધેલી. આ રીતે બળજબરી કરવામાં આરોપીને ફાવટ આવી જતા આરોપીએ ભોગ બનનાર સાથે આ પ્રકારનું બ્લેકમેઇલીંગ કરી અનેક વખત શરીર સંબંધ બાંધેલ. આ દરમ્યાન ભોગ બનનારને શરીરમાં ખુબ જ કળતર થતા તેણીના માતા-પિતાએ ડોકટર પાસે લઇ ગયેલા જયાં સોનોગ્રાફી કરાવતા ભોગ બનનાર સગર્ભા હોવાનું જણાયેલ. આ રીતે ભોગ બનનારના માતા-પિતાને હકીકતની જાણ થતા તેઓએ ભોગ બનનાર સાથે જઇને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ.

કાયદાના પ્રબંધો મુજબ ૨૦ અઠવાડીયાથી ઓછા સમયનો ગર્ભ હોય તો ગર્ભપાત કરાવવો માન્ય છે. આ રીતે ભોગ બનનારે પોતાની નાની ઉંમરને ધ્યાનમાં લઇ ગર્ભપાત કરાવેલ જેના ભૃણ સેમ્પલ લઇ આરોપીના લોહીના નમુના સાથે સરખામણી કરતા ડી.એન.એ. પરીક્ષણ મુજબ આ ભૃણનો પિતા આરોપી હેમલ ભરતગીરી ગોસ્વામી હોવાનું જણાયેલ. આ તમામ હકીકતોને ધ્યાનમાં લઇ મહિલા પોલીસ સ્ટેશનના તપાસનીસ અમલદાર એમ.જે.ત્રિવેદીએ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતું.

સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે ભારતીય પુરાવા અધિનિયમમાં જે સુધારો કરવામાં આવેલ છે તે સુધારાની કલમ-૧૧૪ (ક) મુજબ જયારે ભોગ બનનાર કોર્ટ સમક્ષની જુબાનીમાં જણાવેલ કે શરીર સંબંધ વખતે તેણીની સંમતી ન હતી ત્યારે ન્યાય અદાલતે સંમતી ન હોવાનું માનવુ ફરજીયાત છે. આ કારણે જયારે ભોગ બનનારે કોર્ટ સમક્ષની જુબાનીમાં જણાવેલ હોય કે તેણીની સંમતી ન હતી ત્યારે આ કેસ સ્પષ્ટપણે બળાત્કારનો જ થાય છે.

ફરીયાદ અને જુબાનીના વિરોધાભાષ બાબતે સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે ફરીાદ અથવા નિવેદન આપતી વખતે જે અધિકારી રૂબરૂ હકીકતો જણાવવામાં આવે છે તે સંજોગો અને નામ. કોર્ટમાં જયારે જુબાની આપવામાં આવે છે ત્યારે તે સંજોગો સંપુર્ણપણે ભિન્ન હોય છે. પોલીસ અધિકારી રૂબરૂ અપાયેલ નિવેદન શબ્દસહ લખાયેલ ન હોય પરંતુ ન્યાય અદાલતમાં આપવામાં આવેલ જુબાની શબ્દસહ નોંધવામાં આવે છે. આ કારણે ફરીયાદ અને જુબાનીમાં જો થોડી ઘણી ભિન્નતા હોય તો તેને વિરોધાભાષ ગણી ભોગ બનનારને ખોટા માની શકાય નહી. વધુમાં તેમ રજુઆત કરવામાં આવેલ કે જયારે ભારતીય પુરાવા અધિનિયમમાં ભો બનનારની સંમતી અંગે ચોક્કસ જોગવઇ  કરવામાં આવેલ હોય ત્યારે કાયદો ન્યાય અદાલત સમક્ષની એક માત્ર જુબાનીને જ મહત્વ આપે છે તેમ માનવું ઘટે અને તે સંજોગોમાં ફરીયાદ કે નિવેદનની વિગતો સાથે જુબાનીની હકીકતોની તુલના કરવી કાયદા મુજબ માન્ય નથી. આ તમામ રજુાઆતો ધ્યાનમાં લઇ પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ શ્રી એમ.એમ.બાબીએ આરોપી હેમલ ભરતગીરી ગોસ્વામીને પોકસો એકટની કલમ-૬ હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા તેમજ રૂ. ૧૫,૦૦૦ નો દંડ ફરમાવેલ છે.

આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરા રોકાયેલા હતા. (૪.૬)

(3:44 pm IST)