રાજકોટ,તા.૭: સમસ્ત પાટીદાર સમાજ દ્વારા રાજકોટ ખાતે પ્રથમ વખત લેઉવા અને કડવા પટેલના લીડરોની ''પાટીદાર મહા પરિષદ'' માર્ચ ૨૦૨૦ મા મળશે. આ અંગે સમસ્ત પાટીદાર સમાજનાં પ્રમુખ મુકેશભાઈ મેરજા અને મહિલા પ્રમુખ ગીતાબેન પટેલની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ આ ''પાટીદાર મહા પરિષદ''માં પાટીદાર સમાજનાં મહાનુભાવો, ઉદ્યોગપતિ, ભામાશાઓ, અધિકારીઓ, જાહેર ક્ષેત્રનાં લીડરો, આગેવાનો, સમાજની સંસ્થાનાં પ્રતીનીધીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, શિક્ષણ ક્ષેત્રનાં માંધાતાઓ, કોર્પોરેટર ક્ષેત્રનાં અનુભવીઓ, લેખકો, પત્રકારો, આઈટી ક્ષેત્રનાં નિષ્ણાંતો, ડોકટર્સ, એંજીનીયર, વકીલ, વૈજ્ઞાનીકો, ખેતીવાડી ઉત્પન બજાર સમીતી સાથે જોડાયેલ નેતાઓ, દુધ મંડળીના આગેવાનો, સરપંચ, મંત્રી, ગ્રામ પંચાયતનાં સભ્યો, રાજકીય આગેવાનો, સોસાયટીઓના પ્રમુખ, મંત્રી, પટેલ સમાજના કારોબારીના સભ્યો, મોટા એવોર્ડ મેળવનાર મહાનુભાવો, સમાજસેવકો, કોઈપણ સંસ્થાના હોદ્દેદારો- આગેવાનો ઉપસ્થિત રહેશે.
હાલમાં સમાજ સામે ઉભા થયેલા પડકારોના ઉપાયો સોધવા અને વિશાળ વસ્તી ધરાવતા સમાજ માટે જયારે અનેક પટેલોની સંસ્થાઓ સમાજસેવા કરી રહી છે. તેનુ એક પ્લેટફોર્મ ઉભુ કરી આ સેવાઓનો સમાજમાં વ્યાપ વધે અને વધુને વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે ચિંતનશિબિરમાં દરેકનાં મંતવ્યો ગ્રુપ વાઈઝ મેળવી તેની સમીક્ષા કરી બધા શિબિઆર્થીઓ દ્વારા મળેલ નિષ્કર્ષનો એક અહેવાલ પ્રગટ કરી તમામ સમાજનાં મોભીઓ દ્વારા સમાજનાં નાનામાં નાનાં વ્યકિત સુધી પહોંચાડી સમાજની રૂઢી, રિતિ રિવાજો અને અમુક બદીઓ, વ્યશન, ખોટાખર્ચ વગેરે પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવશે, સાથે સાથે હાલના સમયમાં જરૂરી જીવનશૈલી અને સ્કીલ ડેવલોપમેંટ, બીઝનેસ વિકાસ, ઉચ્ચ અભ્યાસ, આપણી પરંપરાગત પધ્ધતિઓમાં ફેરફાર, ખેતીવાડીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય અને ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા થાય તેવી અવેરનેશને પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે સાથે પાટીદાર સમાજ અન્ય સમાજો સાથે રહી સમરસતા દ્વારા એકતા થકી એક આદર્શ સર્વસમાજનું નિર્માણ કરી અને એકતા કરી શકે તેવું આયોજન કરાશે તેમ યાદીમાં જણાવાયું છે.
આ નિઃશુલ્ક પાટીદાર મહા પરીષદમાં જોડાવા માટે સમસ્ત પાટીદાર સમાજનાં વોટ્સએપ નંબર મો.૮૩૨૦૫ ૦૯૨૦૩, ૯૪૨૬૭ ૩૭૨૭૩ રજીસ્ટ્રેશન કરાવી લેવું.
આ કાર્યમાં સમસ્ત પાટીદાર સમાજની મેનેજીંગ કમીટી મુકેશભાઈ મેરજા, નાથાભાઈ કાલરીયા, ગીતાબેન પટેલ, વિભાબેન પટેલ, ચંદુભાઈ વિરાણી, વલ્લભભાઈ કટારીયા, ગોવિંદભાઈ વરમોરા અને શૈલેષભાઈ ગોવાણી જહેમત ઉઠાવી રહ્યા છે. સમસ્ત પાટીદાર સમાજ, ૩ ગંગા જમુના સરસ્વતી ટાવર, યુનિ.રોડ, રાજકોટ મો.૯૪૨૬૭ ૩૭૨૭૩.