Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

શરદી-તાવના ૬૭૪ કેસ : મચ્છરજન્ય રોગચાળો કાબુમાં

છેલ્લા સપ્તાહમાં ડેંગ્યુ -૧૨, મેલેરિયાના માત્ર ૧ અને ચિકનગુનિયાના ૩ કેસ નોંધાયા : મચ્છરોમાં ઉપદ્રવ અંગે ૧૨૫૮ ને નોટીસ : ૭ હજારનો દંડ

રાજકોટ તા. ૨૯ : શહેરમાં કોરોના હવે લગભગ કાબુમાં આવી ગયો છે પરંતુ  છેલ્લા ૭ દિવસમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાનાં ૧૬ કેસ નોંધાયા છે.  જયારે શરદી-ઉધરસ, ઝાડા-ઉલટીના ૬૭૪ તેમજ ડોગ બાઇટના ૨૭૩ કેસ નોંધાયા.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા. ૨૯ નવેમ્બર થી તા. ૫ ડિસેમ્બર સુધીમાં વિવિધ રોગચાળાના નોંધાયેલ કેસની વિગત આ મુજબ છે.

મચ્છરજન્ય રોગચાળાના ૧૬ કેસ

ડેન્ગ્યુના ૧૨ તથા મેલેરિયાના ૧ તથા ચિકનગુનિયાના ૩ કુલ ૧૬ કેસ નોંધાતા સીઝનના ડેન્ગ્યુના ૪૧૩, મેલેરિયાના ૫૫ તથા ચિકનગુનિયાના ૩૫ કેસ નોંધાયા છે.

૨૭૩ ડોગબાઇટના કેસ

છેલ્લા અઠવાડીયામાં મ.ન.પા.નાં આરોગ્ય કેન્દ્રોમાં કુતરા કરડવાના ૨૯૩ કેસ નોંધાયા છે. જે અસામાન્ય કહી શકાય તેમ હોય આ બાબત ચિતાજનક બની છે.

શરદી-તાવનાં ૬૦૦થી વધુ કેસ

દરમિયાન અન્ય રોગચાળો પણ યથાવત હોવાનું નોંધાયુ છે કેમ કે તા. ૨૯ નવેમ્બર થી ૫ ડિસેમ્બર દરમિયાન શરદી-ઉધરસના કેસ ૪૨૩ તેમજ સામાન્ય તાવના  ૨૧૬ અને ઝાડા ઉલ્ટીના કેસ ૩૫  સહિત કુલ  ૬૭૪ જેટલા દર્દીઓ નોંધાયા હતા.

મચ્છરો માટે ૭ હજારનો દંડ

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહકનિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૯ નવેમ્બર થી તા.૫ ડિસેમ્બર દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૪૩,૯૧૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૪૩૩૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૨૫૮ લોકોને નોટીસ આપી રૂ. ૭,૦૫૦ નો વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

(3:41 pm IST)