Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ભાજપે કૃષિક્ષેત્રે ચમત્કારો દ્વારા હરિતક્રાંતિ કરી : ગોવિંદભાઈ

રાજકોટ, તા. ૬ : કૃષિ ક્ષેત્રના વિકાસ માટે અને ખેડૂતના કલ્યાણ માટે વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૦૦૦ લાખની નાણાકીય જોગવાઈ સાથે પાક મૂલ્ય વર્ધિત યોજના અમલમાં મૂકવાનો નિર્ણય ભાજપની જ રાજય સરકારે લીધો છે. આ ઉપરાંત ખેત ઉત્પાદનની જાળવણી માટે રાજયમાં વધારાના ૬૦ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં પણ રાજય સરકારે સ્ફુર્તિપૂર્વક દોટ મૂકી છે. કૃષિ અને કૃષિકારના કલ્યાણાર્થે ભાજપની સરકાર ગઈકાલે પણ પ્રતિબદ્ધ હતી, આજે પણ સમર્પિત છે અને આવતીકાલે પણ પ્રયત્નશીલ રહેશે તેમ આજે રાજકોટ- ૭૦ વિધાનસભા બેઠકના ઉમેદવાર અને પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલે જંગી સભાને સંબોધતા કહ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, ''ધરતી પુત્ર છું, ખુદ ખેડૂતો માટે રાત - દિવસ ચિંતા કરૃં છું અને ખેડૂતોની સમસ્ત હલ કરવા દાયકાઓથી ખડેપગે રહ્યો છું.''ગોવિંદભાઈ પટેલના સમર્થનમાં યોજાયેલી આ જાહેરસભામાં વિધાનસભા-૭૦ના મતદારો, ટેકેદારો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભાજપ અને શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા કરવામાં આવેલા કૃષિ વિષયક કાર્યોનો ઉલ્લેખ કરતા પક્ષ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણીએ જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી પાક વિમા યોજના હેઠળ રાજયના ખેડૂતોને ૧૩૫ કરોડની સહાય આપવા પણ રાજય સરકારે નિર્ણય કર્યો છે. ખેડૂતોને જમીનમાં ઉગતા લગભગ ૮૬ જાતના વૃક્ષોને કાપવા માટે પરવાનગીમાંથી મુકિત આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

ભાજપના ઉમેદવાર શ્રી ગોવિંદભાઈ પટેલના સમર્થનમાં યોજાયેલી આ જાહેરસભામાં અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજે કોંગ્રેસની કિશાન વિરોધી નીતિઓની આકરી ઝાટકણી કાઢી હતી અને તથ્યો તથા આંકડાઓ સાથે પુરાવાઓ પણ આપ્યા હતા.

આ સભામાં ગોવિંદભાઈ પટેલ સાથે આગેવાન જીતુભાઈ મહેતા, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, જીતુભાઈ કોઠારી, ઉમેશભાઈ રાજયગુરૂ, કેતનભાઈ પટેલ, પ્રફુલભાઇ કાથરોટીયા તથા ભાજપના કાર્યકર્તાઓ સહિત વસાહતીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

(4:18 pm IST)