Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

દાઝીયુ તેલ ફરી વાર વપરાય તો શરીરને તો નુકશાન કરે જ છે પરંતુ ગટરમાં નાખવામાં આવે તો આ તેલ પાણીને પણ પ્રદુષિત કરે છે

રાજકોટ: દિવાળીના તહેવાર આવે એટલે દર વર્ષે ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ જાય છે. દિવાળીના તહેવારોમાં  ભરપૂર પ્રમાણમાં મીઠાઈ અને ફરસાણ ખવાતા હોય છે. આ માટે માર્કેટમાં સસ્તાથી લઈને મોંઘા દરના મીઠાઈ અને ફરસાણ વેચાતા હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દિવાળી પહેલા ચેકિંગ હાથ ધરતુ હોય છે. અધિકારીઓ દ્વારા વિવિધ દુકાનો પર દરોડા પાડવામાં આવે છે. મીઠાઈ, ફરસાણની સાથે ડ્રાયફ્રુટની દુકાનો પર પણ ચેકિંગ હાથ ધરાય છે. ફરસાણની દુકાનોમાં એકવાર વપરાયેલા તેલને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. દુકાનદારો તેલ ઓછું વાપરવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. આવામાં એક ગ્રાહક તરીકે તમારે કેટલીક માહિતી જાણવી જરૂરી છે.

 રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા આજે સવારે સતત ત્રીજા દિવસે ફરસાણ, મીઠાઈ અને ડ્રાયફ્રૂટના વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં અલગ અલગ 4 ટીમો બનાવી ફરસાણ, મીઠાઇ અને ડ્રાયફ્રૂટની દુકાન પર મનપાની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરી ફરસાણની દુકાનોમાં TPC મશીન સાથે રાખી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટોટલ પોલાર કમ્પાઉન્ટર મશીનની મદદથી આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ બનાવવામા ઉપયોગમાં લેવામાં આવતા તેલની ગુણવતા ચકાસવામાં આવતી હોય છે. પોઇન્ટ 25 થી વધુ ની માત્રા જણાય તો તે તેલ દાઝિયું તેલ માનવામાં આવતું હોય છે અને તેનો ઉપયોગ કરી શકાતો નથી. જો કે આજ રોજ કરેલ મનપાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન એક પણ જગ્યાએ દાઝિયા તેલનો ઉપયોગ ન થતો હોવાનું સામે આવ્યું હતું.

શુ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઇ ?

- ફરસાણ તળવા માટેના ખાદ્ય તેલની ટોટલ પોલાર કમ્પાઉન્ડ 25 થી વધારે હોય તેવા ઉપયોગ પર પ્રતિબંધ છે

- ફરસાણ વારંવાર અને લાંબો સમય તળવાથી તેલ કાળુ પડી જાય છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે

- TPC 25 થી વધારે હોય તે તેલ વાપરવા યોગ્ય નથી. 20 સુધીના TPC તેલયુ ફરસાણ આરોગ્યને નુકસાન થતું નથી

- વારંવાર ફરસાણ તેલમાં તળવાથી, દાઝીયું તેલ વાપરવાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે

દાઝિયા તેલની મોટી આડઅસર

(૧) દાઝીયું તેલ પર્યાવરણ માટે ગંભીર અસરકર્તા છે. આ તેલ ગટરમાં નાખવાથી STP પ્લાન્ટને પણ નુકશાન પહોચે છે. પાણીના તળ, નદી અને સમુદ્રના પાણી પ્રદુષિત થાય છે.

(૨) દાઝિયા તેલનો ફરસાણ બનાવવામાં ઉપયોગ કરવાથી આવા ફરસાણના ઉપયોગથી હાઈપરટેન્શન, અલ્ઝાઇમર, હૃદયરોગ, લીવરના રોગ, પેરેલીસીસ, કેન્સર જેવા રોગ થાય છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં નાનામવા રોડ, મવડી રોડ, નવલનગર, ગુરુપ્રસાદ ચોક સહિત વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગઇકાલે 64 કિલો પસ્તી, 3 કિલો દાઝિયું તેલ અને 23 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે ખાદ્યતેલના બોર્ડ ન દર્શાવનાર અને વાસી ખોરાક વેચનાર 20 વેપારીઓને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.

(5:17 pm IST)