Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

'તુ જાડી થઇ ગઇ છો, ગમતી નથી...' શીલ્પાબેન ગોસ્વામીને જામનગરમાં સાસુ અને સસરાનો ત્રાસ

પતિ હેમલગીરી, સાસુ સરસ્વતી અને સસરા વિજયગીરી સામે ફરિયાદ

રાજકોટ તા.૬: કોઠારીયા રોડ હુડકો કવાર્ટર પાછળ આશાપુરા -૧૫માં રહેતી બાવાજી પરિણીતાને 'તુ જાડી થઇ ગઇ છો, મને તુ ગમતી નથી' કહી જામનગરમાં પતિ, સાસુ અને સસરા ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ હુડકો કવાર્ટર પાછળ આશાપુરા -૧૫માં માવતરે આવેલ શિલ્પા હેમલગીરી ગોસ્વામી (ઉ.વ.૨૭) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે છેલ્લા બે માસથી રાજકોટમાં પોતાના માવતર સાથે રહે છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. પોતાના બે વર્ષ પહેલા જામનગરમાં રહેતા વિજયગીરી ભીમગીરી ગોસ્વામીના દીકરા હેમલગીરી ગોસ્વામી સાથે જામનગરની કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્ન કરીને પોતે રાજકોટ ભાડાના મકાનમાં નાગેશ્વર શિવમ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૨માં આઠ માસ સુધી રોકાયેલ અને મારા પતિ મને ઘરકામ બાબતે અવાર-નવાર ટોર્ચર કરતા અને કહેતા કે તને સારી રસોઇ પણ બનાવતા આવડતી નથી અને ઘરમાં સારૂ કામ પણ કરતી નથી તેમજ મારા સાસુ સરસ્વતી બેન અને સસરા વિજયગીરી પતિ હેમલગીરીને ફોનમાં ચઢામણી કરતા કે તારી પત્ની સરકારી નોકરી કરે છે. જેથી તને ટાઇમે જમવાનું તો આપે છે ને? તેમ કહેતા હતા, પોતે ઘરની તમામ જવાબદારી નીભાવતા છતાં કદર થતી નહી. આ બાબતે પતિ પોતાની સાથે અવારનવાર મારકુટ કરતા હતા અને જામનગર રહેવા માટે જતું રહેવું છે તેમ વાત કરતા અને તારી રાજકોટમાં નોકરી છોડી દેવાની પણ વાત કરતા હતા. આથી બંને જામનગર જતા રહયા હતા અને હું ડેઇલી જામનગરથી રાજકોટ અપડાઉન કરતી અને સર્વિસ પરથી રાત્રે ટાઇમે ઘરે જાંઉ ત્યાં સુધી મારા સાસુએ રસોઇ પણ ન બનાવેલ હોઇ જેથી હું રસોઇ બનાવતી હતી ત્યારે સાસુ ઝઘડો કરી'તું અમારા ઘરને લાયક જ નથી.' મને દોઢ મહિનાની પ્રેગનેન્સી મીસ થઇ જતા મને મારા સાસુ-સસરા કહેતા કે 'હવે તને કોઇ દિવસ બાળક થશે જ નહી' તેવુ કહી માનસીક ટોર્ચર કરતા હતા. અને પતિ હેમલગીરી અભ્યાસ કરતો હોઇ તેથી તારા મમ્મી-પપ્પા પાસેથી પૈસા લઇ આવ તેમ કહેતા હતા. અને પતિ અવારનવાર કહેતો કે 'તુ જાડી થઇ ગઇ છો' જેથી તુ મને ગમતી નથી તેમ મેણા ટોણા મારતા હતા. સાસુ મારા પતિને કહેતા હતા કે 'તારી પત્નીને બાળક થતુ નથી જેથી તને આનાથી પણ સારી છોકરી સાથે લગ્ન કરાવી દેશુ તેમ કહી ઝઘડો કરી ત્રાસ આપતા હતા. આ અંગે શીલ્પાબેન ગોસ્વામીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ આર.એમ. સાવલીયાએ તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં મોરબી રોડ સોહમનગરમાં રહેતી મનીષા મનીષભાઇ જાદવ (ઉ.વ.૨૬)ને પતિ મનિષ અરવિંદભાઇ જાદવ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન અવારનવાર નજીવી બાબતે ઝઘડો કરી તુ મને ગમતી નથી તેમ કહી અવારનવાર ગાળો આપી મારકુટ કરતો હતો. આ અંગે મનિષાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એચ.જે. બરવાડીયાએ તપાસ હાથ ધરી છે.(૧.૨૦)

(4:30 pm IST)