Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કાલે ૨૩.૫૮ કરોડના વિવિધ વિકાસ કામોને લીલીઝંડી

મનપા દ્વારા 'વિકાસ દિવસ' અંતર્ગત : EWS-૨ના ૧૬૭૬ આવાસોનો કાલે ડ્રો : આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે

રાજકોટ,તા. ૬  :રાજય સરકારશ્રીના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી (સેવાયજ્ઞ) અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વિકાસ દિવસ' અંતર્ગત જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ તા.૭ સવારે ૦૯:૪૫ કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના વરદ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ, હાઉસિંગ સમિતિ ચેરમેન વર્ષાબેન રાણપરા તથા બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીની સંયુકત યાદીમાં જણાવ્યું હતું.

શહેરના જુદા જુદા વોર્ડમાં વિવિધ વિકાસ કામો પૈકી રૂ.૧૩.૨૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.૧૦.૩૭ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત મળી કુલ રૂ.૨૩.૫૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થશે. આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલ EWS-2ના ૧૬૭૬ આવાસોના ફાળવણી ડ્રો પણ કરવામાં આવનાર છે.

આ પ્રંસગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી વિગેરે ઉપસ્થિત રહેશે. 

(3:57 pm IST)