Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રાજકોટની ખાનગી કોવિડ-૧૯ હોસ્પિટલોનું 'ફાયર ઓડીટ' થતા ૮ જગ્યાએ પોલ ખુલી : સાધનો નહોતા : ચેતવણી અપાઇ

અમદાવાદ હોસ્પિટલમાં અગ્નિતાંડવના પડઘા : રાજકોટ કોર્પોરેશનનું તંત્ર સફાળુ જાગ્યુ : સિવિલના નવા જ બિલ્ડીંગમાં કોવિડ-હોસ્પીટલ બનાવાઇ છે જેના ફાયર એન.ઓ.સી.અંગે વિવાદઃ શ્રેયસ, ઉદય, મંગલમ્ (ન્યુ વોકહાર્ટ), પરમ, જયનાથ સહીતની ૮ હોસ્પીટલોમાં પણ ફાયર એન.ઓ.સી. બાબતે તાકિદ કરાઇઃ

રાજકોટ તા. ૬ : અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગની દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી ઉઠી છે અને તાબડતોબ રાજ્યના અન્ય શહેરોની કોવિડ-૧૯ હોસ્પિટલોનું ફાયર ઓડિટ કરાવવા આદેશો આપતા તેના પગલે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે શહેરની ૧૪ જેટલી કોવિડ હોસ્પિટલોના સર્વે માટે ફાયરબ્રિગેડની ટીમો દોડાવી હતી.

આ સર્વેમાં શહેરની ૮ જેટલી ખાનગી કોવિડ હોસ્પીટલોમાં સાધનો ઓછા હોવાનું ખૂલતા ખળભળાટ મચી ગયો છે. આ બાબતે આ તમામ હોસ્પીટલમાં ફાયર એન.ઓ.સી અંતે ફાયર બ્રીગેડની ટીમે તાકિદે કરી હતી.

શ્રી અગ્રવાલે અકિલાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોવિડ-૧૯ હોસ્પિટલોનું ફાયર ઓડિટ કરવા આદેશ આપ્યો છે તેથી આજે સવારથી જ સ્ટાર સીનર્જી, પરમ, એચ.સી.જી., ગીરીરાજ, ઉદય હોસ્પિટલ, શ્રેયસ હોસ્પિટલ, વોકહાર્ટ વગેરે સહિતની ૧૩ કોવિડ-૧૯ હોસ્પિટલોમાં ફાયર બ્રિગેડની ટુકડીઓ મોકલી અને આ હોસ્પિટલોમાં આગ - અકસ્માત વખતે ઇમરજન્સી ગેટ, ફાયર એકસ્ટીમ્બ્યુસર, પર્યાપ્ત પાણીનો અનામત જથ્થો વગેરે રેસ્કયુ સાધનો છે કે નહી? તેનો સર્વે શરૂ કરાવ્યો છે જે હોસ્પિટલોમાં આ સાધનોની ઉણપ જોવા મળશે તેની સામે નોટીસ અને મંજુરી રદ્દ કરવા સુધીની કાર્યવાહી થશે.

દરમિયાન બપોર સુધીના સર્વેમાં ૧૩ કોવિડ-૧૯ હોસ્પિીટલો પૈકી ૮ ખાનગી હોસ્પીટલોમાં નિયમ મુજબ ફાયર રેસ્કયુના સાધનો નહી હોવાનું એન.ઓ.સી. નહી હોવાનું અને ઓછા સાધનો હોવાનું ખૂલ્યુ હતું જેમાં વિદ્યાનગર મેઇન રોડ પરની શ્રેયસ હોસ્પીટલ (એન.ઓ.સી. લેવા તાકદ) ઉદય (ગોકુલ હોસ્પીટલ) ને નિયમ મુજબ સાધનો રાખવા તાકિદ મંગલમ્ ન્યુ વોકહાર્ટ ૧પ૦ રીંગ રોડ, તથા પરમ હોસ્પીટલ કરણપરા, જયનાથ, વગેરેનો સમાવેશ થાય છે. તેમ સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

સિવિલની કોવિડ હોસ્પીટલમાં એન.ઓ.સી.નો વિવાદ

દરમિયાન જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પીટલમાં બનાવેલ નવ નિર્મિત બિલ્ડીંગ કે જેમાં કોવિડ-૧૯ હોસ્પીટલ બનાવાઇ છે તેનુ ફાયર એન.ઓ.સી. નહી હોવા બાબતે વિવાદ થયો છે.

કેમ કે આ બિલ્ડીંગના ફાયર એન.ઓ.સી. અંગે ફાયર બ્રિગેડના અધિકારીને સિવિલ હોસ્પીટલના અધિકારીઓએ ફોન કર્યા હોવાની વાતો વહેતી થઇ હતી. આથી આ બાબતે કલેકટર કચેરી સુધી આ બાબત પહોંચી હતી. જો કે કલેકટર કચેરીની અધિકારીઓએ આ બાબત નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે બિલ્ડીંગ નવુજ છે. તેથી તેનુ ફાયર એન.ઓ.સી.લેવાયુ જ હોય.

(4:15 pm IST)