Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

રજપૂતપરાની હોટેલમાં જેતપુરના ધર્મેશભાઇ વાડોદરીયાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

બીજા બનાવમાં લક્ષ્મીનગર કવાર્ટરમાં માનસિક બિમારીને લીધે મરાઠા યુવાને ફાંસો ખાઇ જીવ દીધો

રાજકોટ તા. ૬: રજપૂતપરા-૩માં આવેલી હોટેલ સિટી-ઇનમાં ઉતરેલા જેતપુરના ધર્મેશભાઇ હસમુખભાઇ વાડોદરીયા (ઉ.૩૩) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસ દોડી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ રજપૂતપરામાં આવેલી હોટેલમાં ઉતરેલા જેતપુરના ધર્મેશભાઇ વાડોદરીયાને બપોરે દોઢ વાગ્યે ચેકઆઉટ કરવાનો સમય થઇ ગયો હોઇ તેમ છતાં રૂમ ખોલતાં ન હોઇ હોટેલના સ્ટાફે બાજુના રૂમમાંથી બીજો દરવાજો ખોલીને તપાસ કરતાં તેણે પંખામાં  ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. ઇએમટી જયદિપભાઇ અને પાઇલોટ ગોરધનભાઇ પહોંચ્યા હતાં. ઇએમટીની તપાસમાં ધર્મેશભાઇનું મોત નિપજ્યાની જાણ કરતાં એ-ડિવીઝનના એએસઆઇ દયાબેન અને રાઇટર સાજીદભાઇએ ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર ધર્મેશભાઇ ગઇકાલે આ હોટેલમાં ઉતર્યા હતાં. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં લક્ષ્મીનગર જીઇબી ઓફિસવાળી શેરીમાં આર.એમ.સી. કવાર્ટરમાં રહેતાં રોહિત ગુરૂદત્તભાઇ ચોૈહાણ (ઉ.૨૦) નામના મરાઠા યુવાને પંખામાં દોરી બાંધી ફાંસો ખાઇ લેતાં મોત નિપજ્યું છે. માલવીયાનગરના એએસઆઇ હીનાબેન મણવર અને રાઇટર હરેન્દ્રસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. માનસિક બિમારીથી કંટાળીને આ પગલું ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. તે એક બહેનથી નાનો હતો. (૧૪.૧૩)

(3:42 pm IST)