Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રાજકોટમાં ગોંડલ રોડના પટેલ વિહાર પરોઠા હાઉસવાળા હસમુખભાઇ પાંચાણીએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

વહેલી સવારે ધર્મપત્‍નિ જાગતાં રૂમમાં પતિ ન દેખાયાઃ બહાર આવતાં હોલમાં લટકતાં મળ્‍યાઃ આર્થિક સંકડામણ હોવાની શક્‍યતા સ્‍વજનોએ જણાવી

હસમુખભાઇ પાંચાણી (પટેલ)નો નિષ્‍પ્રાણ દેહ, તેમનું રેસ્‍ટોરન્‍ટ અને નિવાસસ્‍થાન જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૫: શહેરના જુના અને જાણીતા ગોંડલ રોડ પર આવેલા પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ અને પરોઠા હાઉસના સંચાલક પટેલ વૃધ્‍ધે વહેલી સવારે ગળાફાંસો ખાઇ દુનિયા છોડી દેતાં પરિવારજનો અને બહોળા મિત્રવર્તુળ તથા સગા સ્‍નેહીઓમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
જાણવા મળ્‍યા મુજબ યુનિવર્સિટી રોડ ધોળકીયા સ્‍કૂલ નજીક કૃષ્‍ણનગર મેઇન રોડ પર રહેતાં હસમુખભાઇ પરષોત્તમભાઇ પાંચાણી (પટેલ) (ઉ.વ.૬૫)એ વહેલી સવારે પોતાના ઘરે હોલમાં છતના હુકમાં ચુંદડી બાંધી દેહ લટકાવી ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં માલવીયાનગરના એએસઆઇ ગીતાબેન પંડયા તથા દિગ્‍વીજભાઇ ગઢવી સહિતે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલે ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ હસમુખભાઇ પાંચાણી ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં ત્રણ પુત્રો છે. વહેલી સવારે ચારેક વાગ્‍યે તેમના ધર્મપત્‍નિ જાગ્‍યા ત્‍યારે હસમુખભાઇ રૂમમાં જોવા ન મળતાં પત્‍નિ હોલમાં આવતાં ત્‍યાં પતિને લટકતાં જોતાં કલ્‍પાંત કરી મુકતાં બીજા પરિવારજનો જાગી ગયા હતાં.
હસમુખભાઇના સ્‍વજનોએ પોસ્‍ટ મોર્ટમ રૂમ ખાતે જણાવ્‍યું હતું કે આમ તો તેમને કોઇપણ જાતની તકલીફ નહોતી. પણ હાલમાં કદાચ આર્થિક સંકડામણમાં આવી ગયા હોય તેવી શક્‍યતા છે. જો કે ચોક્કસ કારણ બહાર આવ્‍યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. હસમુખભાઇ પાંચાણી રાજકોટમાં ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ અને પરોઠા હાઉસ નામે વર્ષોથી ધંધો કરતાં હતાં. ગોંડલ રોડ પરનું તેમનું પરોઠા હાઉસ વર્ષો જુનુ અને લોકોમાં જાણીતું છે.

 

(10:44 am IST)