Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ક્રુરતાથી ૮ ભેંસોને આયશરમાં ખીચોખીચ બાંધીને લઇ જતાં કલ્યાણપુરના બે શખ્સ માધાપર ચોકડીએ પકડાયા

મોડી રાત્રે ગાંધીગ્રામ પોલીસ મથકે ગોૈરક્ષકોના ટોળા ભેગા થયાઃ ડીસીપીની રજૂઆત કરી ગુનો દાખલ કરાવાયો

રાજકોટ તા. ૬: રાત્રીના નવેક વાગ્યે ગોૈરક્ષકોએ માધાપર ચોકડીએથી એક આયશર પકડ્યું હતું. જેમાં ૮ ભેંસોની ખીચોખીચ એકબીજાને અડોઅડ ઘાંસ-પાણીની વ્યવસ્થા વગર બાંધીને લઇ જવાતી હોઇ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવતાં પોલીસે કલ્યાણપુર પંથકના બે શખ્સો સામે કાર્યવાહી કરી હતી.

આ બાબતે એસટી વર્કશોપ પાછળ ગુ.હા. બોર્ડ કવાર્ટર વીર નર્મદ ટાઉનશીપ બ્લોક નં. ૪૦૧માં રહેતાં અને છુટક બાંધકામનો ધંધો કરવા ઉપરાંત ગોૈરક્ષક દળ રાજકોટમાં સંગઠન મંત્રી તરીકે સેવા આપતાં મુળ વિસાવદરના ઉમેશ કિરીટભાઇ વાઝા (ધોબી) (ઉ.૨૮)ની ફરિયાદ પરથી સવદાસ રણમલભાઇ ભોતીયા (ઉ.૩૫-રહે. રાજપરા તા. કલ્યાણપુર) અને ધના રામભાઇ ભોતીયા (ઉ.૫૦-રહે. રાજપરા) સામે પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના કાયદા સહિમતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આયશર ગાડી જીજે૩૭ટી-૪૫૮૮ જપ્ત કરી ૮ ભેંસોને મુકત કરાવી પાંજરાપોળમાં મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉમેશ વાઝાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મિત્ર રવિરાજસિંહ ચુડાસમાને શાપરથી ફોન કરીને જણાવ્યું હતું કે પડધરથી જામનગર આવી રહેલી આયશર ગાડી ૪૫૮૮માં ઢોર ભર્યા છે. જેથી પોતે તથા બીજા કાર્યકરો પરેશ તોપણ, અલ્પેશ લહેરૂ, ધવલ ઝરીયા, જેકીભાઇ, પ્રશાંત વોરા સહિતના વોચમાં હતાં. બાતમી મુજબની ગાડી આવતાં તેને અટકાવી તપાસ કરતાં પાછળ ઠાઠામાં ૮ ભેંસોને ખીચોખીચ ટુંકા દોરડાથી બાંધી રખાયાનું અને નીચે રેતી કે ઘાંચ પણ નહોઇ તેમજ પાણી પણ ન હોઇ આધાર પુરાવા બતાવવાનું કહેતાં ચાલક અને સાથેના શખ્સે ન બતાવતાં પોલીસને જાણ કરી હતી.  માલધારી આગેવાન રાજુભાઇ ઝુંઝાના કહેવા મુજબ પ્રારંભે પોલીસે ફરિયાદ નોંધવાની ના પાડી હતી અને ખુબ સમય લગાડ્યો હતો. આ કારણે મોટી સંખ્યામાં ગોૈસેવકો ભેગા થઇ ગયા હતાં. ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાને રજૂઆત કરવામાં આવી હતી. પીએસઆઇ એમ.ડી. વાળાએ ગુનો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ એસ. વી. સોમૈયાએ હાથ ધરી છે.

(1:36 pm IST)