Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

છુટાછેડા પછી પણ પત્નિ પોલીસ કેસ કરશે એવા ભયથી ગાંધીગ્રામના આશિષગીરીએ ઝેર પીધું

બે શખ્સોએ મારકુટ કરી ધમકાવ્યાનો પણ યુવાનનો આક્ષેપ

રાજકોટ તા. ૬: ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે રહેતાં આશિષગીરી હેમંતગીરી ગોસ્વામી (ઉ.૩૦) નામના બાવાજી યુવાને પોપટપરા નાલા પાસે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

આશિષગીરીના કહેવા મુજબ તેના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. એક વર્ષ પહેલા તેની સાથે છુટાછેડા થઇ ગયા છે. પોતે સેન્ટીંગ કામ કરી ગુજરાન ચલાવે છે. છુટાછેડા થઇ ગયા પછી પણ પોતાને એવો સતત ભય છે કે પત્નિ કોઇ કેસમાં ફસાવશે. વળી આજે બે શખ્સોએ સ્વામિનારાયણ મંદિર પાસે આવી મારકુટ કરી ધમકી આપતાં પોતે ગભરાઇ ગયો હતો અને પોપટપરા પાસે જઇ ઝેર પી ગયો હતો. વિપુલ નામના આ શખ્સને પણ પૂર્વ પત્નિએ મોકલ્યાની આશિષગીરીએ શંકા દર્શાવી હતી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. (૧૪.૧૨)

(4:02 pm IST)