Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ગોંડલ ચોકડીએ એલીવેટેડ ફલાય ઓવર બ્રીજથી ૧૫૦ ફુટ રીંગ રોડ-ભાવનગર રોડનો ટ્રાફીક સરળ થઈ જશે

જે સ્થળે બ્રીજ બનનાર છે તેની સ્થળ મુલાકાત લેતા મેયર બીનાબેન આચાર્ય, નિતીનભાઈ ભારદ્વાજ, કમિશ્નર બંછાનિધી સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ

રાજકોટ, તા. ૬ :. શહેરના ગોંડલ રોડ ચોકડી પર એલીવેટેડ ફલાય ઓવર બ્રીજ બનાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે ત્યારે જે સ્થળે આ બ્રીજ બનવાનો છે તે સ્થળની મુલાકાત આજે મેયર બીનાબેન આચાર્ય તથા મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની સહિતના અધિકારી અને પદાધિકારીઓએ લીધી હતી. આ બ્રીજ બનવાથી ૧૫૦ ફુટ રીંગ રોડ તથા ભાવનગર હાઈવેથી ગોંડલ તરફ જવામાં ટ્રાફીકને વધુ સરળતા રહેશે.

આ અંગે મ્યુ. કમિશ્નરની સત્તાવાર યાદી મુજબ અમદાવાદ-રાજકોટ-પોરબંદર નેશનલ હાઈ-વે પર આવાગમન કરતા વાહનોના કારણે ગોંડલ રોડ-રિંગ રોડ ચોકડીએ ટ્રાફિકની સમસ્યા ખુબ જ રહે છે. શાપર-વેરાવળ ખાતે જી.આઈ.ડી.સી.ના ઝડપી વિકાસથી પણ ઉદ્યોગકારો, નોકરી કરતા લોકો અને અન્ય વ્યવસાયીઓની સતત આવ-જા રહે છે. ગોંડલ ચોકડીએ ટ્રાફિકની આ સમસ્યાના નિવારણ માટે નેશનલ હાઈવે પર ગોંડલ ચોકડી પાસે તાજેતરમાંજ ભારત સરકાર દ્વારા ગોંડલ ચોકડી પર ૧.૨ કિ.મી. લંબાઈનો ૬ માર્ગીય ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હોવાની કેન્દ્રીય મંત્રી  મનસુખભાઈ માંડવિયાએ જાહેરાત કરી હતી.

જે અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકાના માન. મેયર બીનાબેન આચાર્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નેશનલ હાઈ-વે ઓથોરિટીના પ્રોજેકટ ડાયરેકટર પી.કે.જૈન, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ અને મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાની, ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જીનીયરો  ચિરાગ પંડ્યા અને  કે.એસ.ગોહેલ વગેરેએ ગોંડલ ચોકડીની સાઈટ વિઝિટ કરી હતી. આ સ્થળ મુલાકાત દરમ્યાન એક જટિલ પ્રશ્નનો પણ ઉકેલ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં, હાલ વાહનચાલકોએ ગોંડલ ચોકડી ખાતેના સર્કલને ચક્કર લગાવવુ પડતુ હતુ  જેના કારણે પણ વાહનોની ગતો એકદમ ધીમી બનતા આ ચોકમાં ટ્રાફિક પ્રશ્ન ઉભો થતો રહે છેછે જેનો ઉકેલ લાવવાની યોજનાને આજે આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ આજની સ્થળ મુલાકાત અંગે માહિતી આપતા એમ કહ્યું હતું કે, આ સાઈટ વિઝિટ દરમ્યાન એ બાબત ખાસ ધ્યાનમાં લેવામાં આવી હતી કે, અત્યારે બી.આર.ટી.એસ.વાળા રોડ પરથી અમદાવાદ જવા-આવવા માટે બી.આર.ટી.એસ.ના છેલ્લા બસ સ્ટોપ પાસેથી ઙ્કયુ ટર્નઙ્ખ લઈ સર્કલને ચક્કર લગાવીને આવાગમન કરવું પડે છે. જેના કારણે ગોંડલ ચોક સતત વાહનોથી ધમધમતો જ રહે છે. જોકે હવે આ ચોક ખાતે એલિવેટેડ ફલાયઓવર બ્રિજ બની રહયો છે ત્યારે આ સર્કલને ચક્કર લગાવવાના પ્રશ્નનો પણ સાથોસાથ નિકાલ લાવવાનું આયોજન કરી લેવામાં આવેલ છે. જેમાં રાજકોટમાંથી ગોંડલ ચોક ખાતેથી અમદાવાદ તરફ જવા માટે વાહનચાલકો બી.આર.ટી.એસ. રોડ પર છેલ્લા બસ સ્ટોપ પાસેથી સીધા જ નેશનલ હાઈ-વે પરના ઓવરબ્રીજ પર જઈ શકે તે માટે એક નવા એલિવેટેડ રેમ્પનું નિર્માણ કરવામાં આવનાર છે. આ કાર્ય માટે પણ નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા રૂ.૪ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જયારે આ માટેની જમીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવશે.

ગોંડલ ચોકડીએ આ નવા એલિવેટેડ રેમ્પનું નિર્માણ થવાથી આ ચોકમાં રહેતું ટ્રાફિકનું ભારણ મહદ અંશે સાવ ઓચ્ચું થઇ જશે અને સરળ વાહનવ્યવહાર શકય બનશે તેવી આશા માન. મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ વ્યકત કરી હતી.(૨-૨૨)

(3:45 pm IST)