Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ભાજપ સરકારે ભારતીયોને હંમેશા સુખ, શાંતિ, સલામતી, સ્વાસ્થ્ય, સન્માન, સહાયતા, સુવિધાઓ આપી જનસેવા કરી

આજે ૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે રાજુભાઈ ધ્રુવે ભાજપ કાર્યકરો- પ્રજાજનોને શુભેચ્છાઓ પાઠવીઃ આફત સમયે પ્રજાની પડખે ઉભા રહેવામાં ભાજપનાં કાર્યકરો સદાય અગ્રેસરઃ ભાજપ કોઈ પક્ષ નહીં પરંતુ દેશસેવકો રાષ્ટ્રભકતોનો પરિવારઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ,તા.૬: ૬ એપ્રિલ ૧૯૮૦ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મુંબઈમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી વગેરે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કરવામાં આવી હતી. આજ રોજ સોમવાર, ૬ એપ્રિલે ભાજપની સ્થાપનાનાં ૪૦ વર્ષ પૂર્ણ થાય છે. આ ૪૦ વર્ષનાં સમયગાળામાં ભારતીય જનતા પાર્ટીએ વિશ્વનાં સૌથી મોટા રાજકીય પક્ષ બનવાની ઉપલબ્ધિ સાથે રાજય-કેન્દ્રની સત્તામાં રહીને અનેક કાયદાઓનું નિર્માણ, નિયમોની નાબૂદી, યોજનાઓની જાહેરાત, રાહતકાર્યો, સહાયતા કરીને સદાય દેશ અને જનતાની સેવા કરી છે એવું જણાવતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, આજે ભાજપ રાષ્ટ્રવાદી વિચારધારા, સુરાજય શાસનપધ્ધતિ અને પરંપરાગત મૂલ્યોની જાળવણી કરનાર વિશ્વનો સૌથી મોટો રાજનૈતિક પક્ષ બની ગયો છે. એવું કહેવામાં અતિશયોકિત નહીં રહે કે ભારતીય જનતા પાર્ટી એ કોઈ પક્ષ નહીં પરંતુ દેશસેવકો-રાષ્ટ્રવાદીઓનો પરિવાર છે. વિશ્વની સૌથી મહાન અને મોટી લોકશાહીનાં દરેક ધર્મ, સઘળા સંપ્રદાય, સમગ્ર સમાજ માટે સમભાવ - સેવાભાવ રાખનાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે દેશહિત માટે જીવન સમર્પિત કરવાનું ગૌરવ છે. ભાજપ પરિવારનાં સભ્ય હોવાનો આનંદ છે.

અગાઉનાં ભારત અને આજનાં ભારતની તુલના કરતાં આપોઆપ ખ્યાલ આવી જાય છે કે, કયાં પ્રકારે કોંગ્રેસની સરખામણીમાં કેન્દ્ર-રાજયમાં ભાજપ સરકારે વિકાસની હરણફાળ ભરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડાનાં નેતૃત્વમાં આજે ભારત અને ભાજપ એકબીજાનો પર્યાય બની ચૂકયા છે. વિશ્વભરમાં ભારતની નામના-પ્રસંશા થઈ રહી છે. આપણો દેશ વિકસિત દેશોથી પણ એક ડગલું આગળ ચાલી રહ્યો છે. રાજયમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પક્ષ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનાં નેતૃત્વમાં સરકાર-સંગઠન સુંદર તાલમેલથી ગુજરાતની વિકાસગાથા સુવર્ણ અક્ષરે આલેખી રહ્યાં છે. આજે જયારે વિશ્વભર સહિત ભારતમાં કોરોનાની મહામારીએ માજા મૂકી છે ત્યારે ભાજપ સરકારે ઈતિહાસમાં સૌ પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં જનતાને વિવિધ સહાયતા-સુવિધાઓઓ અર્પણ કરી લોકોનાં જીવની કાળજી રાખવામાં જરા પણ પાછીપાની કરી નથી. વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના હોય કે વિશ્વની સૌથી મોટી આર્થિક સહાયતા. ભાજપ સરકારે ભારતીયોને હંમેશા સુખ, શાંતિ, સલામતી, સ્વાસ્થ્ય, સન્માન, સહાયતા, સુવિધાઓ આપી જનસેવા કરી છે. દેશ પર જયારે-જયારે આફત આવી છે ત્યારે-ત્યારે પ્રજાની પડખે ઉભા રહેવામાં ભાજપનાં કાર્યકરો સદાય અગ્રેસર રહ્યાં છે. દરેક દેશસેવક પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ભાજપનાં કાર્યકર. રાષ્ટ્રસેવાનાં આશય સાથે લાખો-કરોડો લોકો ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યાં છે.

ભાજપનું સંગઠન રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડતા, રાષ્ટ્રીય ઓળખ અને રાષ્ટ્રીય શકિત સાથે સંકળાયેલું છે. ભાજપની વિચારધારા સૌને સમાન ગણવાની અને સૌન સન્માનભર્યા હક્ક આપવાની છે. રામ મંદિર, ત્રણ તલાક, સીએએ, કલમ ૩૭૦, પુલવામા હુમલો, કોરોના વગેરે જેવી ઘટનાઓમાં ભાજપ સરકારે દાખવેલી કુનેહ-કામયાબી કાબિલેદાદ છે. ભારતીય રાજકરણનાં ઈતિહાસમાં ભાજપનો ઈતિહાસ રાષ્ટ્રીય આંદોલન-ક્રાંતિ સમાન છે. આવનારી સદીઓ સુધી જયારે-જયારે રાષ્ટ્રીય અને વૈશ્વિકસ્તરે ભારતને ગૌરવભેર યાદ કરવામાં આવશે ત્યારે-ત્યારે તેની સાથે ભાજપ અને તેના નેતા-કાર્યકરોઓનું પણ માનભેર સ્મરણ કરવામાં આવશે. આ પક્ષનાં સિદ્ઘાંતોનાં મૂળમાં જ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, અરવિંદ દ્યોષ, બાળ ગંગાધર તિલક, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર અને સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રહિતની રાષ્ટ્રવાદી વિચારધારા સિંચાયલી છે. ઈ.સ. ૧૯૫૧માં શ્યામાપ્રસાદ મુખર્જીનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં દ્રિતીય સરસંચાલક ગુરૂજીની પ્રેરણાથી જનસંઘઘ્ની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ઈ.સ. ૧૯૫૩માં શ્યામાપ્રસાદ મુખર્જીનાં જી 'કાશ્મીર બચાવો' આંદોલન દરમિયાન જેલવાસ અને શંકાસ્પદ રાજકીય હત્યા બાદ ખરા અર્થમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે જનસંઘનો કાર્યભાર સંભાળ્યો. તેમણે જનસંઘનો સંગઠનાત્મક અને વૈચારિક પાયો નાખી દેશને એક શુદ્ઘ રાષ્ટ્રવાદી સંગઠનની ભેટ આપી.

ભાજપની પંચનિષ્ઠાઓ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનીતિએ ભારતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનો વિશ્વને પરિચય આપ્યો છે. દેશની અંદર સ્થપાયેલું શાંતિ અને સુરાજયનું વાતાવરણ એ ભારતીય જનતા પક્ષનાં સુશાસનનું પરિણામ છે. હકીકતમાં જનસંઘ-ભાજપની સ્થાપના બાદ જ ભારતમાં હિંદુ પ્રજાને સ્વતંત્રતાની ખરી અનુભૂતિ થઈ. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી - પ.દીનદયાળ ઉપાધ્યાય ત્યારબાદ અટલ બિહારી વાજપેયી - લાલકૃષ્ણ આડવાણી અને તેમના બાદ નરેન્દ્રભાઈ મોદી - અમિતભાઇ શાહનું ખૂબ મહત્વનું પ્રદાન જનસંઘ-ભાજપને મજબૂત અને ભારતને શકિતશાળી બનાવવામાં રહ્યું છે. રાષ્ટ્રવાદ, એક ભારત - શ્રેષ્ઠ ભારત અને સામાજીક ભાઈચારની વિચારધારને આજે કેન્દ્રમાં ભાજપ સરકારના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનાં નેતૃત્વમાં પક્ષનાં તમામ સનિષ્ઠ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ આગળ વધારી રહયા છે તેમ અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવી ભાજપ સ્થાપના દિન નિમિત્તે પક્ષનાં તમામ કાર્યકરો અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

(11:50 am IST)