Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગોંડલ ચોકડીએ સૌરાષ્‍ટ્રનો પ્રથમ સિકસલેન બ્રિજ ખુલ્લો મુકતા ભુપેન્‍દ્રભાઇ પટેલ

વિકાસપથ પર અગ્રેસર ગુજરાત : ૮૯ કરોડના ખર્ચે બનેલા ૧.ર૦ કિલો મીટર લાંબા એલીવેટેડ ફલાય ઓવરનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણઃ રાજકોટ-જેતપુર-ગોંડલની મુસાફરી વધુ સુગમ અને ઝડપી બનશે

રાજકોટના ભાગોળે ગોંડલ રોડ ચોકડીએ નિર્માણ પામેલા ગુજરાતના પ્રથમ સીંગલ પિઅર ફલાય ઓવરનું લોકાર્પણ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું તે વખતની તસ્‍વીર. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૬: વિકાસના પથ ઉપર અગ્રેસર રહેવાની નેમ સાથે કામ કરતી સરકાર દ્વારા રાજકોટ જિલ્લાને માર્ગ-પરિવહન ક્ષેત્રે વધુ એક ભેટ આપતા રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે આજે આશરે રૂપિયા ૮૯ કરોડના ખર્ચે ગોંડલ ચોકડી ખાતે તૈયાર થયેલા સિકસ લેન ઓવરબ્રિજનું ઉદઘાટન કરીને લોકાર્પિત કર્યો હતો. આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીએ વિધિવત શ્રીફળ વધેરીને તકતીનું અનાવરણ કરીને બ્રિજને ખુલ્લો મુક્‍યો હતો.

    આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સ્‍વાગત પ્રવચન કરતા મુખ્‍યમંત્રીશ્રીને ગોંડલ ચોકડી બ્રિજની કામગીરી અંગેની  વિગતો આપી હતી.

ઉલ્લેનીય છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા દ્વારા નિર્મિત આ ૧.૨૦ કિલોમીટર લાંબા સિકસ લેન ઓવરબ્રિજને કારણે રાજકોટ - જેતપુર - ગોંડલ સહિત અમદાવાદ, પોરબંદર અને સોમનાથની મુસાફરી વધુ સુગમ બનશે.  સિંગલ પિયર પર સિક્‍સ લેન એલિવેટેડ આ ફલાયઓવર બંને બાજુઓ પર કેન્‍ટીલીવર પોરિયન પ્રીકાસ્‍ટ RCC પર આધારિત  છે. આ ફલાયઓવરના નિર્માણથી ભારે ટ્રાફિકની સમસ્‍યા હળવી થવા સાથે મુસાફરી ઝડપી બનશે અને  લોકોની સુવિધામાં વધારો થશે. આગામી સમયમાં  ફલાયઓવરની નીચે લેન્‍ડસ્‍કેપીંગની કામગીરી પણ કરવામાં આવશે. છોડ અને ફૂલોની વચ્‍ચે સરળતાથી હરી ફરી શકાય તેવી સુવિધા સાથે અત્‍યાધુનિક કોંક્રિટ સ્‍ટ્રકચર સાથે નૈસર્ગિક સૌંદર્યના સમન્‍વય સાથેનું સુંદર દૃશ્‍ય ઊભું કરશે.

 આ પ્રસંગે રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઈ પટેલ, સાંસદ  મોહનભાઈ કુંડારીયા,  રમેશભાઈ ધડુક,  રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય  રમેશભાઈ ટીલાળા,  ઉદયભાઈ કાનગડ, મેયર  પ્રદિપ ડવ, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ  ભુપતભાઈ બોદર, અગ્રણી કમલેશ મીરાણી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ, મ્‍યુનિસિપલ કમિશનર  અમીત અરોરા, પી.જી.વી. સી.એલ.એમ.ડી  વરુણ કુમાર બરનવાલ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયાના પ્રાદેશિક અધિકારી એન. એન. ગિરી, પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર  સંજય યાદવ, પ્રાંત અધિકારી સંદીપ વર્મા તેમજ  સૂરજ સુથાર તેમજ બ્રિજ નિર્માણ સાથે જોડાયેલા સંબંધિત મુખ્‍ય અધિકારીઓ અને ઇજનેરો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(11:50 am IST)