Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ગોંડલ રોડ પર આયુર્વેદિક દવા વેંચતા પંજાબના બલવીરસિંઘ પર સળીયાથી હુમલો

બાજુમાં બીજો દવાનો તંબુ નાંખવાની ના પાડતાં રાજેશ, બાદલ, ઓમકાર અને જીવણ તૂટી પડ્યાઃ હાથ-પગમાં ફ્રેકચરઃ યુવાન સિવિલ હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૬: ગોંડલ રોડ પર પરફેકટના શો રૂમ પાસે ફૂટપાથ નજીક તંબુ રાખી આયુર્વેદિક દવા વેંચતા મુળ પંજાબના અને હાલ કાલાવડ રોડ કોસ્મોપ્લેકસ સિનેમા સામે મોટા મવામાં રહેતાં બલવીરસિંઘ તારાસિંઘ રાજપૂત (ઉ.૪૦)ને તે પોતાના તંબુ પર હતો ત્યારે રાજેશ, બાદલ, ઓમકાર અને જીવણે લોખંડના સળીયાથી હુમલો કરી બેફામ માર મારી હાથ-પગમાં ફ્રેકચર કરી નાંખતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. બલવીરસિંઘના કહેવા મુજબ પોતે લાંબા સમયથી ગોંડલ રોડ પર તંબુ રાખી આયુર્વેદિક દવાનું વેંચાણ કરે છે. હવે બાજુમાં જ રાજેશ સહિતનાએ દવાનો તંબુ નાંખતા તેને દૂર તંબુ રાખવાનું કહેતાં આ બધાએ ઉશ્કેરાઇ જઇ હુમલો કરી દીધો હતો.

(4:20 pm IST)