Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

૧૨મીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ, ગર્લ્સ હોસ્ટેલ, લાઇબ્રેરીનું મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે ઇ-લોકાર્પણ

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ૨૫ હજાર છાત્રોને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર સંબોધશે

રાજકોટ તા. ૬ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. ૧રમી જાન્યુઆરી ર૦ર૧ને મંગળવારના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી 'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિતે વિવિધ કાર્યક્રમોનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા સંલગ્ન કોલેજોના રપ૦૦૦ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પરથી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે સંબોધન કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે અભ્યાસ કરતાં વિદેશના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે કુલપતિશ્રી અને ઉપકુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ આશરે રૂ. ૪ કરોડ (ચાર કરોડ) ના ખર્ચે નવનિર્માણ પામેલ આધુનીક ઈન્ટરનેશ્નલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ તથા કેમ્પસ ખાતે આવેલ સરસ્વતી વિમેન્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને વાંચનની સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી સ્વાઘ્યાય પરિવારના પૂજય પાંડુરંગ દાદાની ચેર દ્વારા સરસ્વતી હોસ્ટેલ ખાતે નવનિર્માણ પામેલ સુંદર લાઈબ્રેરીનું  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ–લોકાર્પણ કરવામાં આવશે.

સાથે સાથે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે નૂતન પ્રકલ્પના ભાગરૂપે આશરે રૂ. ૬ કરોડ (છ કરોડ) ના ખર્ચે તૈયાર થનાર અતિ અદ્યતન લાઈબ્રેરી તથા આશરે રૂ. ૧.રપ કરોડ (સવા કરોડ) ના ખર્ચે તૈયાર થનાર ઓપન એર થીએટરનું  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ–ખાતમુહુર્ત કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હરહંમેશ શિક્ષણની સાથે સાથે સેવા પરમો ધર્મના સુત્રને સાકાર કરી અને છેવાડાના માનવીની ચિંતા કરી સામાજીક ઉતરદાયિત્વના ભાગરૂપે અનેકવિધ સેવાકિય પ્રકલ્પો હાથ ધરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને અનુદાનીત કોલેજોના એન.એસ.એસ. ના કેડેટસ દ્વારા એકપણ દિવસ ઘરે રહ્યા વગર વિવિધ જીલ્લાઓમાં કોરોનાના કપરા સમયમાં કોરોના વોરીયર્સ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે.

આ સેવાકિય કાર્યની યાદી રૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને અનુદાનીત કોલેજોના એન.એસ.એસ.ના કેડેટસ દ્વારા કરવામાં આવેલ કામગીરીનું પ્રસિઘ્ધ કરવામાં આવેલ એક સોવેનીયરનું વિમોચન પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ–વિમોચન કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

(3:00 pm IST)