Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોરબી રોડ પરના રામાણી પાર્કમાં ધાર્મિક બાંધકામનું ડિમોલીશન કરશો નહિં: કોંગ્રેસ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૪માં મોરબી રોડ પરના રામાણી પાર્કના બગીચામાં આવેલ ધાર્મિક બાંધકામનું ડિમોલીશન નહિ કરવા કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસે મ્યુ. કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, શહેરના મોરબી રોડ ઉપર આવેલ રેવન્યુ સર્વે નં. ૫૧ પૈકી ૨ ઉપર બનાવવામાં આવેલ કાયદેસર કોર્પોરેશન અને કલેકટરની મંજુરીવાળા બીનખેતી થયેલ પ્લોટમાં બાગ-બગીચા બનાવવા સાર્વજનિક પ્લોટ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓએ સાર્વજનિક પ્લોટમાં અસંખ્ય વૃક્ષો વાવી તેનું જતન કરેલ છે અને રહેવાસીઓએ સાથે મળી સુંદર બગીચો, નાનુ એવુ મંદિર બનાવેલ છે. જેને તોડી પાડવાની હીલચાલ સામે સ્થાનિક રહેવાસીઓનો વિરોધ છે. તેથી આ ધાર્મિક બાંધકામ નહી તોડવા માંગ છે. આ રજૂઆતમાં અરવિંદભાઈ ભેંસાણીયા, વિરલ ભટ્ટ સહિતના વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:57 pm IST)