Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કોરોના દર્દીના નામ જાહેર કરવાની માંગ સાથે

કોંગ્રેસના મંજુરી વિના ધરણા : ચાર આગેવાનોની અટકાયત

મ્યુ. કોર્પોરેશન ચોકમાં ધરણા - ઉપવાસ આંદોલન મંજુરી વિના શરૂ કરતા વિપક્ષી નેતા વશરામ સાગઠિયા તથા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, વિપક્ષનાં ઉપનેતા મનસુખભાઇ કાલરીયા તથા દંડક અતુલ રાજાણી સહિતના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત

અટકાયતઃ કોંગ્રેસ દ્વારા કોરોના દર્દીના નામો જાહેર કરવાની માંગ સાથે આજે બપોરે ૧૨ વાગ્યે મ્યુ.કોર્પોરેશનચોકમાં મંજુરી વગર ધરણા-ઉપવાસ આંદોલન શરૂ  કરતા જ પોલીસે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખ કાલરિયા, દંડક અતુલ રાજાણી સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર(તસ્વીરઃઅશોક બગથરીયા)

રાજકોટ તા. ૫ : શહેરમાં કોરોના સંક્રમણ બેફામ રીતે વધી રહ્યું છે ત્યારે દર્દીઓના નામ જાહેર કરવાથી સંક્રમણ આગળ વધતું અટકી શકે તેમ છે. છતાં તંત્ર દ્વારા એકાએક નામ જાહેર કરવાનું બંધ કરવામાં આવતા મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણી સહિતનાં આગેવાઓ દ્વારા આજે બપોરે ૧૨ વાગ્યે મ્યુ.કોર્પોરેશન ચોકમાં બેનર પ્રદર્શીત કરી ભાજપ અને મ્યુનિ.કમિશ્નર હાય હાયનાં સુત્રોચ્ચરો કર્યા હતા. કોંગ્રેસનાં આગેવાનો મંજુરી વિના આંદોલન શરૂ કરતા પોલીસ દ્વારા ચારેય આગેવનોની અટકાયત કરી હતી.

આ અંગે મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણીની યાદી જણાવે છે કે રાજકોટ શહેરમાં કોરોના પોઝીટીવ કેસોના નામ અને સરનામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૮ માર્ચ થી ૨૬જુલાઇસુધી જાહેર કરવામાં આવતા હતા પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા તા.૨૭ જુલાઇ થી ફકત આંકડાઓ જાહેર કરવા અંગે જાહેરાત કરવામાં આવી હતી ત્યાર બાદ કોંગ્રેસપક્ષના પદાધિકારીઓ દ્વારા તા.૨૮ જુલાઇના રોજ તેમજ તા.૩૧ ઓગ્સ્ટના રોજ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને નામ સરનામાં જાહેર કરવા અંગે રાજકોટની જનતાના આરોગ્યના હિતમાં રજુઆતો કરવામાં આવેલ હતી.

વધુમાં  શ્રી સાગઠીયા, શ્રી ગાયત્રીબા, શ્રી કાલરીયા તથા શ્રી રાજાણીએ જણાવ્યુ હતુ કે,  આજની તારીખે પણ જામનગર આરોગ્ય વિભાગ દ્વારા તા.૦૪/૦૮ રોજ ૫ પોઝીટીવ કેસના નામ અને સરનામાં જાહેર કરવામાં આવ્યા હતા તેમજ કચ્છ જિલ્લામાં રોજેરોજ નામ અને સરનામાં જાહેર કરવામાં આવે છે ત્યારે બધા શહેરો માટે શું અલગ અલગ કાયદાઓ હોય શકે ?

અંતમાં ચારેય આગેવાનોએ જણાવ્યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરે તા.૨૭/૦૭ ના રોજ જાહેરાત કરવામાં આવેલ હતી કે આજથી કોરોના પોઝીટીવ કેસોના નામ અને સરનામાં જાહેર નહિ કરીએ પરંતુ અમારા દ્વારા કોરોના પોઝીટીવ કેસોના નામ અને સરનામાં જાહેર કરવા માટેની રજુઆતો પરત્વે નાયબ કમિશ્નર દ્વારા લેખિત પ્રત્યુત્ત્।ર આપવામાં આવેલ છે અને તેમાં સ્પષ્ટપણે લખેલ છે કે સંક્રમિતનું સરનામુ જ જાહેર કરવામાં આવે છે. વાસ્તવમાં આ સરનામાં પણ જાહેર કરવામાં નથી આવતા તે રાજકોટની જનતા જાણે જ છે. આના ઉપરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે રાજકોટ મહાનગરપાલિકાના બંને અધિકારીઓમાં જ જો સંકલન નથી ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર રામભરોસે ચાલતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

(3:26 pm IST)