Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કિલોએ દોઢથી બે રૂ.નો વધારો આપી ખેડૂતોની મશ્કરી કરી

૨૦૧૯નો પાક લણવા માટે મોદી સરકારે ખેડૂતોને આપી ટેકાના ભાવની લોલીપોપ : ડો.દિનેશ ચોવટીયા : મનમોહનસિંહે ૭૫ હજાર કરોડનું દેવુ માફ કરી રાહત આપી હતી : ખેડૂતોને દિકરો હોવી સરકારથી ભરમાશે નહિં

રાજકોટ, તા. ૫ : કેન્દ્ર સરકારે મગફળી, કપાસ, સોયાબીન, બાજરી અને જુવાર સહિતનાં ખરીફ પાકના ટેકાના ભાવમાં નગણ્ય વધારો કરીને ખેડૂતોની મશ્કરી કરી છે તેમ જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને સામાજીક અગ્રણી ડો.દિનેશ ચોવટીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતોને લોલીપોપ આપી છે પરંતુ ખેડૂતો હવે સરકારને બરાબર ઓળખી ગયા છે અને તેની કોઈ જાળમાં ફસાશે નહિં.

ખેડૂતો લાંબા સમયથી ન્યાયી સમર્થનમૂલ્યની માંગણી કરી રહ્યા હતા, પરંતુ હંમેશા વોટબેંકને જ નજરમાં રાખતી મોદી સરકારે કોઈ ધ્યાન આપ્યુ ન હતું અને હવે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નજીક દેખાણી એટલે ટેકાના ભાવ વધારી ખેડૂતોને ભરમાવવાનો પ્રયાસ કર્યો છે. સરકારે જે મામૂલી ભાવ વધારો આપ્યો છે તેનાથી મોટો વર્ગ નારાજ થયો છે. સરકારે કિલોએ માત્ર દોઢથી બે રૂપિયાનો વધારો જાહેર કરી ખેડૂતોની મશ્કરી કરી છે. કેન્દ્ર સરકારે આ ટેકાના ભાવ વધારાથી તિજોરી ઉપર ૧૫૦૦૦ કરોડ રૂપિયાનો બોજો વધશે તેવું કહ્યું છે પણ ખેડૂતોને બરાબર યાદ છે કે યુપીએની સરકાર સમયે વડાપ્રધાન ડો.મનમોહનસિંહે ખેડૂતોના ૭૫ હજાર કરોડનું દેવુ માફ કરી દીધુ હતું. વાસ્તવમાં ડો. મનમોહનસિંહની સરકાર ખેડૂતોની વેદના સમજતી હતી જયારે વર્તમાન ભાજપની સરકાર સંવેદનહીન છે.

ડો.ચોવટીયાએ એમ પણ કહ્યું છે કે સરકારે ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવ માટે નવી ફોર્મ્યુલા બનાવવાનો ઈરાદો જાહેર કર્યો છે પણ આવા પગલાથી લોકોના ઘરનું બજેટ વિખાઈ જશે અને મોંઘવારી ભડકશે. સરકારે ખેડૂતો માટે નિર્ણય લેતા પહેલા ૨૦૧૯ની ચૂંટણી ધ્યાનમાં રાખી છે. સરકાર ખેડૂતોના મનમાં એવુ ઠસાવવા માગે છે કે તેની આવક બમણી થવાની છે પણ વાસ્તવિકતા જોજનો દૂર છે. આજે દેશના અનેક રાજયોમાં ખેડૂતોની હાલત ઘણી ખરાબ છે અને જગતનો તાત આપઘાત કરવા માટે મજબૂર બની રહ્યો છે. ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની મશ્કરી કરવામાં આવે એનાથી મોટી શરમજનક કઈ બાબત હોઈ શકે. ખેડૂતો સાથે રાજરમત બંધ કરવી જોઈએ તેવી માંગણી પણ કરી છે.

(12:52 pm IST)