Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વિશ્વ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબ યુગાન્ડાની મુલાકાતે : યોવેરી મ્યુસોવેનીએ હરખથી આવકાર્યા

નવીનીકરણ, એકતા, શાંતિના મુદ્દાઓ ઉપર નિખાલસતાથી ચર્ચા : વેપારી પ્રતિનિધિ મંડળ પણ મળ્યુ : ટુંક સમયમાં રાજકોટની મુલાકાતે

રાજકોટ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝ હોલીનેશ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક અલી કદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) એ યુગાન્ડાની મુલાકાત લીધી હતી. રાજય હાઉસ એન્ટેમ્બેમાં યુગાન્ડા દેશના રાષ્ટ્રપતિ શ્રી યોવેરી મ્યુસોવેનીએ તેઓને ભાવથી આવકાર્યા હતા. નવીનીકરણ, એકતા, શાંતિના મુદ્દાઓ ઉપર નિખાલસતાથી વાતો કરી હતી. આ તકે ગોમ્બે હોસ્પિટલમાં કરાયેલ નવીનીકરણ બદલ અને તેમના આવા ઇરાદાઓ બદલ આભાર વ્યકત કરાયો હતો. ડો. સૈયદના સાહેબેએ પણ રાષ્ટ્રપતિને શાલ ઓઢાડી સન્માન કરેલ. આ પ્રસંગે શહેજાદા કુસૈયભાઇ સાહેબ, શહેજાદા જાફરૂસ્સાદીકભાઇ સાહેબ, શહેજાદા તાહાભાઇ સાહેબ, શહેજાદા હુશેનભાઇ સાહેબ, જનાબ મહેમલભાલ સાહેબ, જનાબ કુસૈયભાઇ સાહેબ, દાઉદી વ્હોરા સમાજના વેપારી પ્રતિનિધિ મંડળના ભાઇઓએ પણ રાષ્ટ્રપતિની મુલાકાત લઇ વ્યપાપર વ્યવસાયને લગતી ચર્ચા કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.) ટુંક સમયમાં ગુજરાત આવી રાજકોટની મુલાકતે આવી રહ્યા હોય આ પ્રાંતના દાઉદી વ્હોરા સમાજમાં અનેરા આનંદની લાગણી છવાઇ છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી હોવાનું જોહરકાર્ડસવાળા શેખ યુસુફભાઇ (ફોન ૯૪૨૮૮ ૯૪૭૫૨) ની યાદીમાં જણાવાયુ છે.

(12:49 pm IST)