Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

રાજકોટના પુર્વ ડેપ્યુટી મેયર માવજીભાઇ ડોડીયાના પુત્ર નીલેશભાઇનું હૃદયરોગના હુમલાથી અવસાનઃ ગમગીની

શ્રીકોલોનીમાં નિવાસ સ્થાન નજીક પાનની દૂકાને જ ઢળી પડ્યાઃ હોસ્પિટલમાં ખસેડાયા પણ મોડુ થઇ ગયું: બે દિકરી-એક દિકરાએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ,તા.૫: ભાજપના પીઢ અગ્રણી અને રાજકોટના પૂર્વ ડે.મેયર તથા નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિનાં પુર્વ ચેરમેન માવજીભાઇ ડોડીયાના પુત્ર નિલેશભાઇ ડોડીયાનું ગઇકાલે મોડી સાંજે હ્ય્દયરોગનો હુમલો આવતા નિધન થતા ડોડીયા પરિવાર અને બહોળા વર્તુળોમાં શોકની લાગણી ફેલાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ નિલેશભાઇ (ઉ.વ-૪૭) ગત સાંજે તેમના નિવાસસ્થાન પર્ણ કુટીર વિસ્તાર શ્રીકોલોનીમાં પાનની દુકાને હતા ત્યારે અચાનક હૃદયરોગનો તિવ્ર હુમલો આવતાં ત્યા જ ઢળી પડયા હતા. પરિવારજનોને જાણ થતા તુરંત જ દોડી આવ્યા હતાં અને નિલેશભાઇને પંચનાથ હોસ્પિટલે લઇ ગયા હતાં. પરંતુ અહિ નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું તબિબોએ જાહેર કરતાં સમગ્ર ડોડીયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

માવજીભાઇ ડોડીયાને ત્રણ પુત્રો મહેશભાઇ અને નિમેષભાઇમાં મૃત્યુ પામનાર નિલેશભાઇ બીજા નંબરે હતાં.  તેમના દુઃખદ અવસાનથી ૧૩ અને ૯ વર્ષની દિકરી તથા અઢી વર્ષના દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેઓ કન્સ્ટ્રકશન અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. તેમજ અનેક સેવાકીય પ્રવૃતિઓમાં પણ મોખરે રહેતાં હતાં. તેઓ સરળ મળતાવડા સ્વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં હતાં.

આજે સવારે તેમના નિવાસ સ્થાનેથી નીકળેલ સ્મશાન યાત્રામાં સરકારની ગાઇડ લાઇન મુજબ રાજકીય આગેવાનો, મીત્રો તથા પરિવારજનો જોડાયા હતા. તેઓ પિતા, ધર્મપત્નિ, માતા, સંતાનો, ભાઇઓ સહિતના સ્વજનોને વિલાપ કરતાં છોડી ગયા છે.

(1:18 pm IST)