Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

યુવાન પુત્ર પછી કર્મકાંડી પિતા કમલેશભાઇ લાબડીયાનું પણ મોત

ભૂદેવને ઝેર પીવા અને બે સંતાનને પીવડાવવા મજબૂર કરનારા, છેતરાનારા સામે ગુનો નોંધાયો

એડવોકેટ આર. બી. વોરા અને દિલીપ કોરાટ સામે આઇપીસી કલમ ૩૦૬, ૧૧૪, ૪૦૬, ૩૮૭, ૧૨૦(બી) હેઠળ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૬: નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગર સામે આવેલા શિવમ્ પાર્ક-૨માં રહેતાં અને કર્મકાંડ કરી ગુજરાન ચલાવતાં કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.૪૦) નામના યુવાને પોતાના પુત્ર અંકિત (ઉ.વ.૨૨) અને પુત્રી કૃપાલી (ઉ.વ.૨૦)ને આ કોરોનાની દવા છે પી જાવ એટલે કોઇને કોરોના નહિ થાયતેમ કહી પાણીની બોટલોમાં ભેળવેલી ઝેરી દવા આપતાં બંને ભાઇ બહેન પી ગયા હતાં અને બાદમાં કમલેશભાઇ પણ પી ગયા હતાં. પત્નિ જયશ્રીબેનને શંકા ઉપજતાં તેણે દવા પીધી નહોતી. સારવાર દરમિયાન દિકરા અંકિતનું પરમ દિવસે મોત નિપજતાં પોલીસે જયશ્રીબેનની ફરિયાદ પરથી તેના પતિ કમલેશભાઇ સામે દિકરાની હત્યા અને દિકરીની હત્યાનો પ્રયાસ કરી આપઘાતનો પ્રયાસ કરવાનો ગુનો નોધ્યો છે. ગઇકાલે કમલશેભાઇએ પણ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ બનાવમાં કમલેશભાઇની સ્યુસાઇડ નોટને આધારે તેમને ઝેર પીવા અને સંતાનોને પીવડાવવા મજબૂર કરનારા, મકાનના સોદામાં છેતરપીંડી કરનારા સામે તાલુકા પોલીસે આઇપીસી કલમ ૩૦૬, ૧૧૪, ૪૦૬, ૩૮૭ અને ૧૨૦(બી) મુજબ કાવતરૂ ઘડી છેતરપિંડી કરી બળજબરી વાપરી એકબીજાને મદદ કરી ગુનો કરવા સબબ એફઆઇઆર દાખલ કરી છે. જેમાં આરોપી તરીકે એડવોકેટ આર.બી. વોરા તથા દિલીપ કોરાટના નામો અપાયા છે.

ઝેર પીધા બાદ કમલેશભાઇએ મોટા ભાઇને કહ્યું હતું કે- આર. બી. વોરા વકિલે મારી સાથે રૂપિયા બાબતે દગો કર્યો છે, રૂપિયાના વાંકે મારા દિકરા દિકરીના લગ્ન અટકી જશે. કમલેશભાઇ લાબડીયાએ રવિવારે રાતે પાણીની ચાર નાની બોટલોમાં ઝેર ભેળવ્યું હતું અને પત્નિ, પુત્ર, પુત્રીને આ કોરોનાની દવા છે પી જાવ તેમ કહ્યું હતું. પુત્ર-પુત્રીએ આ દવા પીધી હતી અને બાદમાં કમલેશભાઇએ પણ પીધી હતી. એ પછી બધા ઉલ્ટી કરવા માંડતાં પત્નિ જયશ્રીબેનને શંકા જતાં દવા પીધી નહોતી. આ કોરોનાની નહિ પણ ઝેરી દવા હોવાનું ખુલતાં ત્રણેયને હોસ્પિટલે ખસેડાયા હતાં. જેમાં સારવાર દરમિયાન ગત સાંજે પુત્ર અંકિતનું મોત નિપજ્યું હતું.

તાલુકા પોલીસે આ બનાવમાં જયશ્રીબેન લાબડીયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી તેના પતિ કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા સામે આઇપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૮ મુજબ ગુનો નોધ્યો હતો.

કમલેશભાઇને હોસ્પિટલે લઇ જવામાં આવતાં હતાં ત્યારે તેમના ભાઇ કાનજીભાઇને કમલેશભાઇના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં મકાનના સોદાના રૂ. ૬૫ લાખ બાબતે વકિલ આર.ડી. વોરા, દિલીપભાઇ કોરાટે ખોટા આક્ષેપ કરેલ છે અને તેના કારણે પોતે આર્થિક સંકડામણમાં છે એ  સહિતની હકિકત કમલેશભાઇએ લખી હતી અને આ કારણે જ દવા પીધી હોવાનું પણ લખ્યું હતું.

સારવાર દરમિયાન પરમ દિવસે દિકરા અંકિતનું મોત થયા બાદ ગઇકાલે સાંજે કમલેશભાઇએ પણ દમ તોડી દીધો હતો.  

ચિઠ્ઠીમાં જે પાંચ નામોનો ઉલ્લેખ છે એ તમામનો શું રોલ છે? એ જાણવા પોલીસે ફોન જોડ્યા હતાં તેમજ ઘરે તપાસ કરી હતી. પરંતુ ફોન બંધ આવ્યા હતાં અને કોઇ મળી આવ્યા નહોતાં.  તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એ. જી. અંબાસણા, ભરતભાઇ વનાણી, પીએસઆઇ એન. ડી. ડામોર સહિતની ટીમે આ બનાવમાં મૃતકના ભાઇ અથવા પત્નિને ફરિયાદી બનાવી આઇપીસી ૩૦૬, ૧૧૪, ૪૦૬ સહિતની કલમો હેઠળ જવાબદારો સામે ગુનો નોધવા તજવીજ હાથ ધરી છે.

બીજી તરફ બ્રહ્મસમાજના આગેવાનો રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ દર્શિતભાઈ જાની, પ્રદેશ ભાજપા અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા ભાજપા અગ્રણી કશ્યપભાઈ શુક્લજીતુભાઇ મહેતા સહિતે ગઇકાલે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી આ બનાવમાં ન્યાયી-તટસ્થ તપાસ થાય અને કોઇપણ જવાબદાર છટકી ન જાય તેવી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

દરમિયાન આજે ફરીથી સાંસદ રામભાઇ મોકરીયા, કશ્યપભાઇ શુક્લ, દર્શીતભાઇ જાની સહિતના સ્વ. કમલેશભાઇ લાબડીયાના નિવાસ સ્થાને બપોરે પહોચ્યા હતાં અને ખરેખર શું ઘટના બની તેની માહિતી મેળવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે ભૂદેવ કમલેશભાઇ લાબડીયા સાથે મકાનના સોદામાં ચોક્કસપણે ઠગાઇ થઇ છે. કોઇ માણસે પોતે ખોટુ કર્યુ હોય તો તે જાતે આવું પગલુ ન ભરે અને પોતાના સંતાનો સાથે કંઇ આવું ન કરે. કમલેશભાઇ લાબડીયા સાથે છેતરપીંડી થતાં તેઓ મજબૂર થઇ ગયા હતાં. પોલીસે ત્વરીત કાર્યવાહી કરી ભૂદેવ પરિવારને ન્યાય અપાવે તેવી બ્રહ્મસમાજની માંગણી છે.

  • રાજકોટ જીલ્લા કર્મકાંડી ભૂદેવ સંગઠનની પોલીસ કમિશનરને રજૂઆતઃ કમલેશભાઇ લાબડીયાની વિષપાનની ઘટનામાં જવાબદારો સામે કડક પગલા લો

રાજકોટ તા. ૫: કમલેશભાઇ લાબડીયાએ પુત્રી અને પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધાની ઘટનામાં કમલેશભાઇ તથા પુત્રના મૃત્યુ થયા છે. તેમની પુત્રી સારવાર હેઠળ છે. દરમિયાન આ બનાવમાં ન્યાયી તપાસ કરી જવાબદારો સામે કડક પગલા લેવા વધુ એક રજૂઆત કર્મકાંડી ભૂદેવ સંગઠન તરફથી થઇ છે.

કર્મકાંડી ભૂદેવ સંગઠનના રાજકોટ જીલ્લાના અધ્યક્ષ હિરેનભાઇ ત્રિવેદી, ઉપાધ્યક્ષ ડો. હિરેનભાઇ જાષી, કમલેશભાઇ ત્રિવેદી, મહામંત્રી ગોપાલભાઇ જાની અને મહામંત્રી જયેશભાઇ પંડ્યાએ પોલીસ કમિશનરશ્રીને લેખિત રજૂઆત કરી કર્મકાંડી યુવાન કમલેશભાઇ લાબડીયાની વિષપાનની ઘટનામાં ન્યાયીક અને તટસ્થ તપાસ કરવા માંગણી કરી છે.

રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે ભૂદેક કમલેશભાઇ લાબડીયાએ તેમના પુત્ર અને પુત્રીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પિતા કમલેશભાઇ અને પુત્ર અંકિતના મૃત્યુ થયા છે. કમલેશભાઇએ સ્યુસાઇડ નોટમાં મરવાના સંજાગોનો ઉલ્લેખ કર્યો છે તેના આધારે પોલીસે તાકીદે જવાબદારો સામે કાર્યવહી કરવી જરૂરી છે. વિશ્વાસઘાત, છેતરપીંડી, મરવા માટેના સંજાગો ઉભા કરવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવા અને જે કોઇ જવાબદાર હોય તેમની સામે કડક પગલા લેવા કર્મકાંડી ભૂદેવ સંગઠનની માંગણી છે. તેમ રજૂઆતના અંતમાં જણાવાયું છે.

  • બ્રહ્મ સમાજના ત્રણ મુદ્દા
  • સ્યુસાઇડ નોટને આધારે પોલીસ ફરિયાદી કેમ ન બની?આરોપીઓના મોબાઇલ લોકેશનની તપાસ કેમ ન કરી? બીજા કેસોમાં પ્રેશર કરતી પોલીસ આ કેસમાં કેમ પ્રેશર કરી શકતી નથી?

રાજકોટ તા. ૫: સમસ્ત બ્રહ્મમ સમાજના આગેવાનો શ્રી રામભાઇ મોકરીયા, કશ્યપભાઇ શુક્લ, દર્શીતભાઇ જાની સહિતનાએ ભૂદેવ સ્વ. કમલેશભાઇ લાબડીયાના પરિવારજનોને તેમના નિવાસ સ્થાને મળી તેમને સાંત્વના આપી હતી અને તમામ વિગતો જાણી હતી. બ્રહ્મ સમાજના આગેવાનોએ ત્રણ મુખ્ય મુદ્દા તપાસ માંગી લે તેવા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોઇપણ વ્યક્તિ આપઘાત કરે અને એ પહેલા સ્યુસાઇડ નોટ લખે તો તેને જ અંતિમ નિવેદન ગણીને પોલીસ કાર્યવાહી કરી શકે. આ કેસમાં હજુ શોધી પોલીસે કેમ કંઇ કર્યુ નથી? ચિઠ્ઠીને આધારે પોલીસ પણ ફરિયાદી બની શકતી હતી. છતાં ફરિયાદીની રાહ જાવામાં કેમ આવી? ખુબ મોટી રકમનો મામલો છે અને મોટા લોકો સંડોવાયેલા છે ત્યારે પોલીસ પોતે ફરિયાદી શું કામ ન બની?બીજા બનાવમાં પોલીસને આરોપી ન મળે તો તેમના સ્વજનોને કે પરિચીતો કે આશરો આપનારને પ્રેસર આપીને બોલાવે છે, આ બનાવમાં પોલીસ કેમ પ્રેશર નથી આપતી? પોલીસની કામગીરી પર બ્રહ્મસમાજને શંકા ઉપજી છે. આગોતરાની વ્યવસ્થા થઇ જાય તેવી કામગીરી હોવાની શંકા ઉદ્દભવી છે. મોબાઇલ લોકેશનને આધારે શા માટે પોલીસે કોઇ કાર્યવાહી નથી કરી.

બ્રહ્મસમાજના આગેવાનોએ કહ્યું હતું કે ૮૫ લાખ જેવી રકમ ઘરમાં આવે તો દેખાવી જોઇએ ને. કોઇ રૂપિયા માટે પોતે મરી ન જાય કે દિકરા-દિકરીને ઝેર ન આપે. જા કોઇ મરવા તૈયાર હોય તો બ્રહ્મસમાજ એક કરોડ આપવા તૈયાર છે. આ કેસમાં ભૂદેવ કમલેશભાઇ સાથે છેતરપીંડી થઇ જ હતી અને આ કારણે જ તેઓ મરી જવા મજબુર થયા હોઇ સત્વરે પોલીસ કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે. તેમ આગેવાનોએ કહ્યું હતું.

(4:19 pm IST)