Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

રાજાશાહી બાદ સૌ પ્રથમ તળાવ 'અટલ સરોવર'નું નિર્માણઃ વિજયભાઇ

સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કોર્પોરેશન દ્વારા રાજકોટમાં આવેલ રેસકોર્ષ ફેસ-ર માં તળાવ ઊંડુ ઉતારવાનો પ્રારંભ : નાત-જાતના ભેદભાવ ભૂલી સૌ રાજકોટવાસીઓ - અઢારેય વરણે તળાવ નિર્માણમાં શ્રમદાન કર્યુઃ તળાવમાં ૪૦૦ એમ.એલ.ડી.થી વધુ જળસંગ્રહ થશે

સાથી હાથ બઢાનાઃ રેસકોર્ષ (૨)ની ૪૫ એકર જમીનમાં તળાવ નિર્માણનો પ્રારંભ રાજકોટવાસીઓના શ્રમદાન થકી થયો હતો. આ અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના નેતાઓના શ્રમદાન થકી થયો હતો. તે પ્રસંગની તસ્વીરોમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, મહિલા મોરચાના અગ્રણી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડે. મેયર ડો. દર્શિતાબેન, મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રવાસન નિગમના રાજુભાઈ ધ્રુવ, ડો. હપાણી, નિતીનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ વગેરે દર્શાય છે. ઉપરની તસ્વીરમાં કાર્યક્રમના મંચ પર ઉપસ્થિત મહેમાનો દર્શાય છે તથા અન્ય તસ્વીરોમાં જે તળાવનું નિર્માણ થઈ રહ્યુ છે તેનો 'એરિયલ વ્યુ' નજરે પડે છે (તસ્વીરોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૫ : શહેરની ભાગોળે બીજા રીંગ રોડ ઉપર રૈયા વિસ્તારમાં નિર્માણ પામનાર રેસકોર્ષ-૨નાં સંકુલમાં ૪૫ એકર જગ્યામાં તળાવનું નિર્માણ થનાર છે. જેના શ્રમદાનનો પ્રારંભ આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું હતું કે, રાજકોટમાં રાજાશાહી વખતના બે તળાવ 'લાલપરી - રાંદરડા' હતા ત્યારબાદ આજે ૧૫૦ વર્ષ પછી સૌ પ્રથમ વખત રાજકોટવાસીઓનાં સહયોગ અને શ્રમદાનથી મ્યુ.કોર્પોરેશન દ્વારા રમણીય તળાવનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેના થકી રાજકોટ પાણીની દ્રષ્ટિએ વધુ મજબૂત બનશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આ તળાવનું નામ 'અટલ સરોવર' રાખવાની જાહેરાત કરી હતી.

'સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ફેસ-૨માં ૪૫ એકરમાં તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનો શુભારંભ આજે સવારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનસમુદાયને સંબોધતા માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રૈયા સ્માર્ટ સિટી, રેસકોર્ષ-૨ના વિસ્તારના આ તળાવને ઊંડું ઉતારવાના અભિયાનમાં આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ તમામને અભિનંદન પાઠવું છું. રાજય સરકારે ગુજરાતને પાણીદાર બનાવવા માટે 'સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૧૮'  હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૬,૦૦૦ જેટલા કામો શરૂ થયા છે. રાજયના ૧૩,૦૦૦ જેટલા ચેકડેમ, તળાવ, સહિતના વિવિધ જળાશયો ઊંડા ઉતારવામાં આવી રહ્યા છે. ૩૪ નદીઓના આવરા સાફ કરી, આ નદીઓને પુનજીર્વિત કરવાનું કામ પણ ગતિમાં છે. ૫,૦૦૦ કેનાલોની સફાઈ થઇ રહી છે. તો સાથો સાથ ૩૩,૦૦૦ જેટલા એરવાલ્વ, સમ્પ તથા વોટર ટેન્કો વિગેરે પણ સાફ કરવામાં આવી રહ્યા છે. મને એ વાતનો આનંદ છે કે, રાજય વ્યાપી આ અભિયાનને લોકોએ પોતાનું અભિયાન બનાવી લીધું છે. આજે સવારે જ બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર પરના એક નાનકડા ગામમાં તળાવને ઊંડું ઉતારવા મોટી સંખ્યામાં લોકો શ્રમદાન આપી રહ્યા હતા, તે ખરેખર આનંદની વાત છે.

રાજકોટમાં રાજાશાહી વખતમાં લાલપરી અને રાંદરડા તળાવ બન્યા બાદ બીજું એક પણ નવું તળાવ અત્યાર સુધીમાં બન્યું ન હતું અને હવે ૧૫૦ વર્ષ બાદ રાજકોટમાં રેસકોર્ષ-૨ના વિસ્તારમાં એક તળાવને વિકસિત કરવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં લગભગ રૂ.૪૨ કરોડ જેવો ખર્ચ થનાર છે.

મુખ્યમંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, રાજયની એક માસની આ ચળવળથી રાજયમાં ૧૧,૦૦૦ લાખ ઘન મીટર વધુ જળ સંગ્રહી શકાશે અને આટલું ખોદાણ થતા જે માટી અને કાંપ નીકળશે તેનો ખેતી, રસ્તા વિગેરે કામોમાં ઉપયોગ થઇ શકશે અને લોકો તેને વિનામુલ્યે લઈ જઈ શકશે. સરકારે તેની રોયલ્ટી પણ માફ કરી છે. રાજયનું આ અભિયાન દેશનું સૌથી મોટું જળ સંચય અભિયાન છે. ગુજરાતે આ અભિયાન થકી દેશને એક નવી દિશા તથા નવો રાહ ચીંધ્યો છે. એક માસમાં રાજય સરકાર ત્રણ મહત્વના કદમ ઉઠાવી રહી છે. જેમાં, ડ્રેનેજના વોટરને ટ્રીટ કર્યા વગર સીધુ જ છોડી શકાશે નહી, ટ્રીટમેન્ટ બાદ શુધ્ધ જળ તળાવમાં છોડવામાં આવશે. આ માટેની રીસાયકિલંગ પોલીસી તુરંતમાં જાહેર કરવામાં આવશે.

રાજય સરકારનો બીજો મહત્વનો નિર્ણય દરિયાના ખારા પાણીને મીઠું કરવા અંગેનો છે. જામનગર નજીક જોડિયા ખાતે રૂ.૮૦૦ કરોડના ખર્ચે ડીસેલીનેશન પ્લાન્ટ નાખી દરિયાના ખારા પાણીને મીઠું બનાવવામાં આવશે. ૧૦ કરોડ લિટરની  પાણીની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ જેવા જ અન્ય ૧૦ પ્લાન્ટ કચ્છ, સૌરાષ્ટ્ર અને દહેજ સુધીના દરિયા કાંઠાના વિસ્તારમાં સ્થાપવામાં આવશે. દેશમાં તામિલનાડુના ચેન્નાઈ બાદ આવા પ્લાન્ટ ધરાવનાર ગુજરાત સમગ્ર દેશમાં બીજું રાજય બનશે.

રાજયમાં ભરુચ પાસે નર્મદાના મીઠા પાણી દરિયાના ખારા પાણી સાથે ભળી રહ્યા છે. ખારા પાણીને મીઠા પાણી સાથે ભળતું અટકાવવા માટે રાજય સરકારે રૂ.૪,૦૦૦ કરોડના ખર્ચે એક ડેમ બનાવવાનો નિર્ણય કર્યો છે.

અંતમાં, મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વોટર રીચાર્જ, રીડ્યુસ, રીસાયકિલંગ, અને રિયુઝની નીતિ આપણે અપનાવવી પડશે. 'જલ હે તો કલ હેે' જળ સંચય અભિયાનેને જન અભિયાને બનાવવું પડશે અને જય શ્રી કૃષ્ણેની સાથે જળ શ્રી કૃષ્ણે કહેવું પડશે. રાજકોટમાં રૈયા ખાતે વિકસિત થનાર આ તળાવને મુખ્યમંત્રીશ્રીએ 'અટલ સરોવર' નામકરણ કરેલ હતું.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, નિર્ણાયક સરકારના નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટને આપેલા આ નવા નજરાણા બદલ સૌ વતી તેમના પ્રત્યે આભારની લાગણી વ્યકત કરું છું. રાજય હોય કે કેન્દ્ર સરકાર રાજકોટને સુવિધા આપવામાં કદી પાછુ વાળીને જોયું નથી. નવું એરપોર્ટ, નવું બસ પોર્ટ, આજી-૧ ડેમમાં નર્મદાના નીર વિગેરે જેવા વિકાસ કાર્યોની હારમાળા સર્જાવી છે. રાજય સરકારે આગામી ચોમાસા સુધી પાણીની કોઈ મુશ્કેલી ન થાય તેવી ખાતરી આપી છે. ત્યારે આપણે સૌએ પાણીનું મુલ્ય સમજી, તેનો બચાવ તથા કરકસરયુકત ઉપયોગ કરવો એ આપણી સૌની ફરજ છે. રાજય સરકારના સુજલામ સુફલામ ઙ્કજળ સંચય અભિયાન-૨૦૧૮ે હેઠળ રાજકોટના લાલપરી તળાવમાંથી ૪ દિવસમાં ૬,૫૦૦ ઘન મીટર કાપ બહાર કાઢ્યો છે. સાથો સાથ આજી નદી શુદ્ઘિકરણ ઝુંબેશમાં પણ ૫૦૦ ટન કચરો બહાર કાઢ્યો છે. હવે અહીં રૈયા સ્માર્ટ સિટી પાર્કમાં પણ તળાવ ઊંડું ઉતારીશું. રાજકોટ આ ઝુંબેશમાં જરાય પાછળ નહી રહે. જળ સંચય અભિયાનમાં દરેક વ્યકિત ઉત્સાહભેર યોગદાન આપે તેવી હૃદયપૂર્વકની અપીલ કરું છું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ કર્યું હતું જયારે મહાનગરપાલિકાના પદાધિકારીશ્રી તથા શહેર ભાજપના હોદ્દેદારોએ મુખ્યમંત્રીશ્રીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. વોટર વર્કસ કમિટીના ચેરમેન શ્રી દલસુખભાઈ જાગાણીએ મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરેલ. જયારે આભાર દર્શન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઇ પટેલએ કરેલ હતું. આ પ્રસંગે રાજય સરકારશ્રી દ્વારા હાથ ધરાયેલ જળ સંચય યોજના અંતર્ગત થનાર વિકાસ કામો તથા રાજકોટ મહાનગરપાલિકાના વિકાસ કામોનો વિડીયો પ્રદર્શિત કરાયો હતો.

બાદમાં, માન.મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીગણ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, તેમજ જુદા જુદા સમાજના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની સાથે રેસકોર્ષ-૨ તળાવમાં શ્રમદાન કરી, આ તળાવ ઊંડું ઉતારવાના અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેલ. તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, કલેકટર ડો.રાહુલ બી. ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલૌત, રાજકોટ શહેર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષના દંડક રાજુભાઈ અઘેરા, રાજકોટના સંગઠન પ્રભારી અને કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, એચ.જે. ઇન્ડસ્ટ્રીઝના પર્સોનલ મેનેજર જે.આર.કીકાણી, ભવાની ઇન્ડસ્ટ્રીઝના અતુલભાઈ જુઠાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડીકેટ સભ્ય ડો.નેહલભાઈ શુકલ, ડો.મેહુલભાઈ રૂપાણી, ડો.ભાવિનભાઈ કોઠારી, ડો.વિજયભાઈ પટેલ, ડો.અમિત હપાણી, ડો.વિજય દેસાણી, શહેર ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, આર.કે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શિવલાલભાઈ રામાણી, મારવાડી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કેતનભાઈ મારવાડી, રોલેક્ષ રીંગ્સ પ્રા. લિ.ના ચેરમેન મનીષભાઈ માદેકા, સહકારી અગ્રણી શ્રી જયોતિન્દ્રભાઈ મહેતા, વી.વી.પી.એન્જીનીયરીંગ કોલેજના ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, અગ્રણી બિલ્ડર સ્મિતભાઈ કનેરિયા, અગ્રણી ઉદ્યોગપતિ શંભુભાઈ પરસાણા, મહેન્દ્રભાઈ ફળદુ, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, બાલાજી વેફર્સ પ્રા. લિ.ના ભીખાભાઈ વિરાણી, રમેશભાઈ ટીલાળા, તેમજ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહેલ.

રૈયા વિસ્તારના સ્માર્ટ સિટી પાર્કની વિશેષતાઓ

રાજકોટ : શહેરની ભાગોળે આવેલ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર રેસકોર્ષ-૨ ખાતે કુદરતી તળાવને ઉંડુ ઉતારી તેના વિકાસકાર્યોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તળાવ આસપાસ બ્યુટીફિકેશન સાથે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જે આ મુજબ છે.

તળાવની મધ્યમમાં બર્ડ આઇલેન્ડ તથા ફાઉન્ટેન દ્વારા રમણીય નજારો લોકોનું આકર્ષણ કેન્દ્ર બનશે.

તળાવની ફરતે જોગિંગ ટ્રેક બનાવી લોકોને ફિટનેસ માટે પ્રોત્સાહિત કરી શકાશે.

તળાવની બાજુમાં ચિલ્ડ્રન પાર્ક તથા સ્કલ્પચરની થીમ પર બગીચો, જે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતા એમ્ફી થિયેટર

મલ્ટી લેવલ પાર્કિંગ

એકિઝબિશન ગેલેરી - રાજકોટ શહેરના કલા પ્રેમીઓ માટે સ્ટેટ ઓફ આર્ટ એકિઝબિશન ગેલેરી

ફૂડ કોર્ટ રાજકોટની સ્વાદ પ્રેમી જનતા માટે કાઠિયાવાડ, રજવાડી જેવા મેનુ સાથે વિવિધ વાનગીઓથી સજ્જ ફૂડ કોર્ટ

તળાવની અંદર બારેમાસ પાણી ભરેલું રહે તે માટે Evaportranspiration દ્વારા થતાં દરરોજ ૪ થી ૫ એમ.એલ.ડી.ના ઘટાડાને પૈસા ખાતેના એસ.ટી.પી. પર ૨૮ એમ.એલ.ડી.ના ટર્શીયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પૂર્તિ કરવામાં આવશે.

 રૈયા વિસ્તારમાં જોવા મળતા ૩૦થી વધુ પ્રજાતિના જીવજંતુઓ, ૧૦૦થી વધુ પ્રજાતિના પ્રાણીઓ તથા ૧૫૦થી વધુ વનસ્પતિઓનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બનશે.

(3:50 pm IST)