કાલે તા. ૫ને શનિવારે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રેસકોર્સ–૨ની બાજુમાં આશરે ૪૫ એકર જગ્યામાં આવેલ તળાવનું ખાતમુહુર્ત થશે. જેનું ક્ષેત્રફળ ૧,૬૩,૧૭૨ ચો.મી. છે. જેની મહત્તમ ઊંડાઈ ૬.૦૦ મી. જેવી છે. અને સરેરાશ ઊંડાઈ ૩.૦૦ થી ૩.૫૦ મી. જેટલી છે. અને સદરહુ તળાવ ૨.૦૦ થી ૨.૫૦ ઊંડું ઉતારી તેની જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવશે. આ કામગીરીનો શુભારંભ કાર્યક્રમની તૈયારીઓ અંગે આજે તા. ૪ના મેયર ડો. જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, વોટર વર્કસ સમિતિના ચેરમેન દલસુખભાઈ જાગાણી, ડેપ્યુટી કમિશનર ડી.જે.જાડેજા, સી.કે.નંદાણી, તથા સી.બી.ગણાત્રા, મ્યુનિસિપલ સેક્રેટરી એચ.પી.રૂપારેલિઆ, સિટી એન્જિીનયર ચિરાગભાઈ પંડયા, એડી. સિટી એન્જિીનયર ભાવેશભાઈ જોષી, સિટી એન્જિીનયર અલ્પનાબેન મિત્રા વિગેરે એ સ્થળ મુલાકાત લીધેલ હતી અને કાર્યક્રમની તૈયારીનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સુચના આપેલ તે વખતની તસ્વીર.
રાજકોટ તા. ૪ : શહેરની ભાગોળે બીજા રીંગ રોડ વિસ્તારમાં રૈયા સ્માર્ટસીટી પાર્કમાં નિર્માણ થઇ રહેલ રેસકોર્ષ-૨માં ૪૫ એકર જમીનમાં નિર્માણ થનાર રમણિય તળાવ અને પાર્કમાં પક્ષીઓ અને વનસ્પતિઓના આકર્ષણો ઉમેરાશે જેનું પ્રદર્શન આવતીકાલે આ તળાવના નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત કાર્યક્રમ સ્થળે યોજાશે.
આ અંગે સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા.૧-મે એટલે કે ગુજરાત સ્થાપના દિનથી રાજય સરકાર સમગ્ર ગુજરાતમાં જળાશયો-તળાવો ઉંડા કરવા માટે જળસંચય અભિયાન હાથ ધરવામાં આવેલ છે તે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા પણ એક વિરાટ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પૂર્વ ઝોન વિસ્તારમાં લાલપરી-રાંદરડા તળાવ છે એવી રીતે પશ્ચિમ ઝોનમાં પણ નવા રિંગ રોડ પર રૈયા વિસ્તારમાં રેસકોર્સ-૨ એરીયામાં સ્માર્ટ સિટી પાર્કમાં આશરે ૪૫ એકરમાં પથરાયેલા નેચરલ તળાવને વધુ ઊંડું ઉતારવાનું નક્કી કરવામાં આવેલ છે.
જેનો શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે આવતિકાલે સવારે ૯.૪પ વાગ્યાથી થશે. આ તળાવ લોકો માટે પ્રાકૃતિક સૌદર્ય ધરાવતું એક નવું પર્યટન સ્થળ બની રહેશે. જૈવિક વિવિધતા સભર સ્થળ બની રહેનાર આ સ્થળ વિવિધ પ્રજાતિઓના પશુ, પંખી, પ્રાણીઓ અને જીવ જંતુઓનું નવું સરનામું બનશે. રૈયા ખાતેનું તળાવ પર્યાવરણ અને ભૌતિક વિકાસની દ્રષ્ટિએ આ તળાવ રાજકોટ માટે વધુ એક આહલાદક સ્થળ બનશે જેમાં રાજકોટ મહાનગરપાલિકાની એક નવી પહેલ ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, તેમ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારશ્રીના સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી પામી ચુકેલા રાજકોટ શહેરને દેશમાં ચીત્રનગરી પ્રોજેકટ થકી એક નવી ઓળખ પ્રાપ્ત થઇ છે ત્યારે હવે રાજય સરકારશ્રીના સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ રૈયા વિસ્તારના સ્માર્ટ સીટી પાર્કમાં આવેલ તળાવ ઉંડુ કરી તેની જલસંગ્રહ ક્ષમતામાં વૃધ્ધિ કરવા ઉપરાંત તેનો ભૌતિક વિકાસ થનાર છે ત્યારે રાજકોટ શહેર આગામી દિવસોમાં લેઈક સિટી તરીકે પણ જાણીતું બનશે એવી આશા રાખી શકાય.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રૈયા વિસ્તારમાં જોવા મળતા ૩૦ થી વધુ પ્રજાતિના જીવ જંતુઓ, ૫૦ થી વધુ પ્રજાતિના પ્રાણીઓ, ૧૦૦ થી વધુ પ્રજાતિના પક્ષીઓ અને ૧૫૦ થી વધુ વનસ્પતિઓનું એક પ્રદર્શન પણ આવતીકાલના તળાવ વિકાસ કાર્યક્રમ દરમ્યાન યોજાશે જેમાં ઉકત જૈવિક વિવિધતાઓ નિહાળવાની અમૂલ્ય તક લોકોને પ્રાપ્ત થશે. સાથોસાથ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જૈવિક વિવિધતાને આધાર આપે તે પ્રકારે ઘનિષ્ઠ વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. જેનાથી આ સમગ્ર એરીયામાં ગ્રીન કવરમાં વધારો થઇ શકશે જે ઉગ્ર ઉષ્ણતામાન સામે એક પ્રકારનું રક્ષણ કવચ પુરૂ પાડશે. તો વળી, નિસર્ગપ્રેમીઓ તેમજ સંશોધકો માટે પણ અભ્યાસ અને સંશોધન કાર્યમાં આ તળાવ આકર્ષણનું એક નવું કેન્દ્ર બની રહેશે.
દરમ્યાન ગઈ કાલે જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, ડેપ્યુટી કમિશનરશ્રીઓ ચેતન નંદાણી અને ડી. જે. જાડેજા, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, સિટી એન્જીશ્રીઓ શ્રી ચિરાગ પંડ્યા અને એડી. સિટી એન્જી.શ્રીઓ શ્રી બી.યુ.જોશી સહિતના સંબંધિત અધિકારીશ્રીઓએ રૈયા તળાવ સાઈટની મુલાકાત કરી હતી.
રેસકોર્ષ-૨ તળાવ નિર્માણ ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર આગેવાનો
રાજકોટ તા. ૪: સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ફેસ-૨માં ૪૫ એકરમાં નિર્માણ પામનાર તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનો શુભારંભ આવતીકાલે શનિવારે સવાર ૯:૪૫ કલાકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનાર છે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે. જયારે પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, તથા રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી ઉપસ્થિતિ રહેશે. અને મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષના દંડક રાજુભાઈ અઘેરા, એચ.જે. ઇન્ડસ્ટ્રીઝના પર્સોનલ મેનેજર જે.આર.કીકાણી, ભવાની ઇન્ડસ્ટ્રીઝના અતુલભાઈ જુઠાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડીકેટ સભ્ય ડો.નેહલભાઈ શુકલ, ડો.મેહુલભાઈ રૂપાણી, ડો.ભાવિનભાઈ કોઠારી, ડો.ગિરીશભાઈ ભીમાણી, ડો.વિજયભાઈ પટેલ, આર.કે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શિવલાલભાઈ રામાણી, મારવાડી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કેતનભાઈ મારવાડી, રોલેક્ષ રીંગ્સ પ્રા. લિ.ના ચેરમેન મનીષભાઈ માદેકા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં શહેરની સામાજીક સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, તથા જુદા જુદા એસોશિએશનો અને નગરજનોને ઉપસ્થિત રહેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, વોટર વર્કસ કમિટીના ચેરમેન દલસુખભાઈ જાગાણીએ અપીલ કરેલ છે.(૨૧.૩૨)
કાર્યક્રમ સ્થળે જવા માટે એસ.ટી.એ ૭૦ને બદલે ૫૦ બસ આપતા દોડધામ
રાજકોટ : રેસકોર્ષ-૨માં આવતિકાલે તળાવ નિર્માણના ખાતમુહુર્ત કાર્યક્રમમાં શહેરના તમામ ૧૮ વોર્ડમાંથી લોકોને જવા માટે એસ.ટી. વિભાગ પાસે ૭૦ બસ માંગવામાં આવેલ પરંતુ એસ.ટી.એ માત્ર ૫૦ બસ ફાળવતા છેલ્લી ઘડીએ તંત્રવાહકોમાં દોડધામ મચી ગઇ હતી.