Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

લોહાનગરમાં ૧૭ વર્ષની અનીષા વાહનેકીયાનો ફાંસો ખાઇ આપઘાત

તરૂણીના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ

રાજકોટ તા. ૫ : લોહાનગર ટેલીફોન એકસચેન્જ પાસે રહેતી તરૂણીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલા લોહાનગર ટેલીફોન એકસચેન્જ નજીક રહેતી અનીષા વિજયભાઇ વાહનેકીયા (ઉ.વ.૧૭) એ ગઇકાલે પોતાના ઘરે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો તરૂણીને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદમાં તેને તાકીદે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં તેનું મોત નિપજ્યું હોવાનું તપાસનીશ તબીબે જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં એ-ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. આર.આર.સોલંકીએ તપાસ હાથ ધરી હતી. મૃતક અનીષા ચાર ભાઇ-બહેનમાં નાની હતી તેના પિતા જૂના કપડા વેચવાનું કામ કરે છે. તરૂણીએ કયા કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:07 pm IST)