Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ધરમનગરમાં સાગર રાઠોડનો ફાંસો ખાઇ આપઘાત

એકના એક પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ : કારણ જાણવા તપાસ

રાજકોટ, તા. પ : મવડી પ્લોટ ધરમનગરમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ મવડી પ્લોટમાં આવેલ ધરમનગર શેરી નં.૩માં રહેતા સાગર ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ.ર૩) એ પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. સવારે તેના માતા-પિતા ઘરે આવ્યા ત્યારે રૂમનો દરવાજો ખોલીને જોતા પુત્ર લટકતી હાલતમાં નજરે પડતા દેકારો મચાવતા પરિવારજનો તથા પાડોશીઓ એકઠા થઇ ગયા હતાં બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.એમ. રાઠવા તથા રાઇટર નારણભાઇ ભરવાડે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક એક ભાઇ એક બહેનમાં મોટો હતો તે અપરણિત હતો તે પ્રાઇવેટ નોકરી કરતો હતો. પિતા કડીયા કામ કરે છે તેણે કયા કારણોસર આ પગલુ કર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:58 pm IST)