Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

અનલોક-૮માં પણ માસ્ક, જાહેરમાં થુંકવાની મનાઇ સહિતના નિયમો અને આદેશોનું પાલન અનિવાર્ય

ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશેઃ જાહેરનામુ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ તા.૫: નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી અન્વયે પ્રતિદિન વધી રહેલા કેસોને અટકાવવા અને તકેદારીના ભાગ રૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા તા.૩૧/૦૧/૨૦૨૧ સુધી અનલોક-૮ની મુદત વધારવામાં આવી છે. તે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના સમગ્ર વિસ્તારમાં પોલીસ કમિશનરે જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ વ્યકિત રૂ.૧૦૦૦ દંડ લાગુ કર્યો છે. જાહેરમાં થૂંકવા બદલ જે તે વ્યકિત રૂ. ૫૦૦ના દંડને પાત્ર થશે. કન્ટેઇમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇન્મેન્ટ  ઝોન જાહેર કરેલ વિસ્તારમાં તેમજ ભવિષ્યમાં કન્ટેઇમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે સમગ્ર વિસ્તારમાં તા.૩૧/૦૧/૨૦૨૧ સુધી લોકડાઉન અમલમાં રહેશે. આવા વિસ્તારોમાં માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓ અને તબીબી કારણોસર જ હેરફેર કરી શકાશે.

કામદારો કર્મચારીઓ/ દુકાનના માલીકો જેમના ઘર/મકાનો કન્ટેઇમેન્ટ/માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં આવે છે તેમને કન્ટેઇમેન્ટ કે માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તારમાંથી બહાર જવા પર પ્રતિબંધ રહેશે. સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જાહેર સ્થળોએ સક્ષમ સત્ત્।ાધિકારીની પૂર્વ પરવાનગી વગર કોઇ પણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહીં  કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ  હાજર રહેવું નહીં સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે ચાર થી વધુ વ્યકિતઓએ સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ઔધોગિક / વાણિજય  એકમો/કારખાનાઓ/ઓફિસો તેમજ અન્ય કામકાજ સ્થળો એ કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે સાધનો જેવા માસ્ક, સેનેટાઇઝર વગેરેનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે અને સોશીયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે તેમજ વર્ક ફોમ હોમને પ્રાધાન્ય આપવાનું રહેશે. રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમાં ફેરીયાઓ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા નક્કી કરવામાં આવેલ જગ્યાઓએ વેપાર કરી શકશે. અને તેમાં ULB  દ્વારા બહાર પાડેલ એસ.ઓ.પી.નું ચુસ્ત-પણે પાલન કરવાનું રહેશે.

ઓટો રીક્ષામાં ૧ ડ્રાઇવર તેમજ ૦૨ (બે) મુસાફર સાથે પરિવહન કરી શકાશે. જેમાં ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. કેબ્ઝ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટ કારમાં એક ડ્રાઇવર તથા ૩ (ત્રણ) મુસાફર સાથે પરીવહન કરી શકાશે. કેબ્ઝ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટર્સ તેમજ પ્રાઇવેટ કારમાં છ કે તેનાથી વધારે સીટીંગ કેપેસીટી હોય તો એ કાર એક ડ્રાઇવર તથા ૪ (ચાર) મુસાફર સાથે પરીવહન કરી શકશે. જેમાં ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. આ સિવાય જાહેરનામામાં દર્શાવેલ કુલ  ૨૮ બાબતોનો પ્રતિબંધ રહેશે. શહેરમાં રાત્રિ કર્ફયુ અમલમાં હોવાથી કર્ફયુ સમય દરમ્યાન લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ પર પ્રતિબંધ રહેશે. આ હુકમનો અમલ તા.૩૧/૦૧/૨૦૨૧ કલાક સુધી કરવાનો રહેશે, જેના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(12:46 pm IST)