Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અઢાર પાપસ્થાનક સંસારનું કારણ છે, અઢાર પાપનું નિવારણ કરતા આવડે તે સંયમી : રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે અગ્નિકુંડમાં પાપોની આહુતિ આપીને શુદ્ઘિની સુગંધ પ્રસરવતાં દીક્ષાર્થીઓના હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા

રાજકોટઃ સંતો અને મહંતોની ભૂમિ એવી સૌરાષ્ટ્રની ધરા પર રાજકોટ નગરીમાં ત્યાગ અને વૈરાગ્યનો ડંકો બજાવીને ઉજવાઈ રહેલી મુમુક્ષુશ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુશ્રી આરાધનાબેન ડેલીવાળાની શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ એક પછી એક નવાં રેકોર્ડ સ્થાપિત કરતાં આગળ ને આગળ વધી રહ્યો છે.

દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન ચરણ-શરણમા આજીવન શરણાધીન થવા જઈ રહેલાં દીક્ષાર્થીઓના આ મહોત્સવમાં રાજકોટ નગરનાં ન માત્ર જૈન ભાવિકો પરંતુ અઢારે આલમ ઉત્સાહી બની છે ત્યારે આજના મહોત્સવનાં તૃતીય દિવસે વહેલી સવારનાં ધર્મ વત્સલ હેમલભાઈ મહેતાનાં નિવાસ સ્થાનથી દીક્ષાર્થીઓના સંયમભાવના અનુમોદના ગાન કરતી અલૌકિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીક્ષાર્થીઓના જયકાર કરતાં પ્રેરણાત્મક સૂત્રોની સુંદર સજાવટ સાથે ચાલતાં અનેક અનેક ભાવિકો, સુંદર રથ પર સવાર દીક્ષાર્થીઓ, શ્રીસંઘ શ્રેષ્ઠીવર્યો અને રાસમંડળી, મધુર સૂર રેલાવતાં બેન્ડ અને અનેક પ્રકારની વિવિધતા સાથે શોભતી આ શોભાયાત્રા ડુંગર દરબારનાં વિશાળ પ્રાંગણમાં આવીને વિરામ પામી હતી.

એક યાદગાર અને અવિસ્મરણીય ક્ષણ આ અવસરે જોડાઈ ગઈ હતી જયારે લુક એન લર્નના દીદીઓ એ હાથમાં દીપક અને પ્રજવલિત કોડિયાના પ્રતિક સાથે જયોત સે જયોત જલે નો સંદેશ પ્રસરાવીને દબદબા પૂર્વક દીક્ષાર્થી બહેનોનાં પ્રવેશ વધામણાં કરાવ્યાં હતાં. વિશેષમાં આ અવસરે આયોજિત કરવામાં આવેલા 'હુ હતો, હું હોઈશ' ના અદભૂત કાર્યક્રમ અંતર્ગત જૈન દર્શનમાં વર્ણવવામાં આવેલાં પાપનાં ૧૮ સ્થાન રૂપી ૧૮ પાત્રો કાળા પરિવેશમાં સજ્જ થઈને મુમુક્ષુઓ પર વાર કરતાં, મુમુક્ષુઓ ધ્યાનસ્થ દશામાં અને સમાધિભાવમાં મગ્ન બનીને પાપોને મૃતૅંપાય કરી દેવાના અંતર સ્પર્શી દ્રશ્યો સર્જવામાં આવ્યાં હતાં.

અઢાર પાપસ્થાનક સંબંધી વિશિષ્ટ સમજણ આપતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ કહ્યું હતું કે, પાપ છોડવા તે નહીં પરંતુ શરણાગતિ તે પાપ મુકિતનો શ્રેષ્ઠ ઉપાય હોય છે. અઢાર પાપ તે સંસારનું કારણ છે, પરંતુ તે પાપનું નિવારણ કરતાં જેને આવડે, તે સંયમી હોય છે. પાપને માત્ર છોડવાનો વિચાર કરવો તે અધૂરો વિચાર હોય છે પરંતુ પ્રભુને પામવાનો વિચાર કરવો તે પુર્ણ વિચાર હોય છે. પ્રભુને પામવાના પૂર્ણ વિચારથી પૂર્ણજ્ઞાની બનીને પાપમુકત બની શકાય છે. પરંતુ માત્ર પાપ છોડવાના અધૂરા વિચારે અધૂરા રહી જનારા અધકચરા જ્ઞાની માત્ર કચરો ફેલાવતાં હોય છે. જે શરણમાં આવે છે, જે ભકિત કરે છે એની અંદરના વિનયભાવના પ્રાગટ્યથી પાપ છોડવા નથી પડતાં પરંતુ પાપ છૂટી જ જતાં હોય છે.

એની સાથેજ, ૧૮ પાપોની ઉંડાણભરી અને રસપ્રદ સમજ આપવા ખાસ પધારેલા   પારસભાઈએ અત્યંત અદભૂત શૈલીમાં સમજણ આપતાં ઉપસ્થિત સહુ ગરકાવ બની ગયાં હતાં. એટલું જ નહીં પરંતુ સમગ્ર વાતાવરણમાં શુધ્ધિનાં શુભ તરંગો પ્રસારિત થયા હતાં જયારે આત્માની રચાયેલી વિશાળ કદની પ્રતિકૃતિ પર લાગેલાં પાપોને દીક્ષાર્થી બહેનો દ્વારા દૂર કરીને અગ્નિકુંડના પ્રતિકમા આહુતિ આપતાં દ્રશ્યોએ ઉપસ્થિત અનેક અનેકની આત્મધરા પર એક હલચલ મચાવી દીધી હતી.

આ અવસરે મૌલિક શૈલીનું પ્રાગટ્ય કરીને અત્યંત પ્રભાવક વાણીમાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ દીક્ષા લક્ષી પુણ્યોદયની વાત કરતાં સમજાવ્યું હતું કે, દીક્ષાનો મહોત્સવ, દીક્ષા મહોત્સવની ભવ્યતા અનેકોને પ્રેરણા આપવા માટે સર્જાતી હોય છે. આજની બે આત્માઓની દીક્ષા તે હજારોની ભાવદીક્ષાનું કારણ બને એવા લક્ષ્ય સાથે આવા મહોત્સવનું આયોજન થતું હોય છે. દીક્ષા કયારેય ભાગ્યથી નથી લેવાતી પરંતુ અંતરના ભાવથી લેવાતી હોય છે. એકપણ આત્મા કયારેય પૂર્વમાં દીક્ષા લખાવીને નથી આવતો પરંતુ કર્મક્ષયના પુરુષાર્થથી દીક્ષા લેવાતી હોય છે. દીક્ષાર્થીઓ એવા સદભાગી બનતાં હોય છે કે કલ્યાણના કરોડપતિ બનવાની જાણે એમને લોટરી લાગી જતી હોય છે.

આ અવસરે નવ વર્ષના બાળક કૈવન કોઠારીએ પોતાના જન્મદિન નિમિત્ત્।ે મુમુક્ષુઓનું ભાવભીનું સન્માન કરીને શ્રી આચારાંગ સૂત્રની ગાથાઓનું પઠન કરવા સ્વરૂપ ગીફ્ટ અર્પણ કરતાં દરેકે દરેક ભાવિક આશ્યચર્ય સાથે અહોભાવિત થયો હતો.

ઉપરાંતમાં દીક્ષા મહોત્સવની ભવ્યતાના સર્જન પાછળ રાત-દિવસ સ્વયંનો ભોગ અને સેવા અર્પણ કરી રહેલાં સેવાર્થીઓની કદર પ્રશસ્તિ કરતાં કહ્યું હતું કે, જે સેવા કરે છે એને આપવું કંઈ નથી પડતું પરંતુ સહજ જ બધું મળી જતું હોય છે. પૈસા માટે તો અનેક અનેક લોકો પરસેવો પાડતાં હોય છે પરંતુ તે માત્ર એક સ્વાર્થ બનીને રહી જતાં હોય છે. જયારે કે પ્રભુસેવા માટે પરસેવો પાડવો તે પરમાર્થ હોય છે અને આવો પરમાર્થ કરનાર તે ધન્યાતિધન્ય બની જતાં હોય છે.

આત્મયાત્રાની થીમ પર ઉજવાઈ રહેલાં દીક્ષા મહોત્સવથી પરિચિત કરાવતાં આત્મયાત્રા-પરમયાત્રાના સુંદર ગીત પર આ અવસરે નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવેલ. 

આત્મ ધરાને ઢંઢોળી દેતાં આવા અનેરા કાર્યક્રમોની હારમાળામાં આવતીકાલ તા.૫ને બુધવારના સવારના  ૮   કલાકે  હિતેનભાઈ મહેતાના નિવાસસ્થાન સૌરભ, સૂર્યોદય સોસાયટી, વોકહાર્ટ  હોસ્પિટલની સામેની ગલી-રાજકોટ ખાતેથી દીક્ષાર્થીઓની સંયમ શોભાયાત્રાના આયોજન સાથે સવારના  ૯ કલાકે સંયમ વંદનાવલી અને રજોહરણ દર્શનનો વિશિષ્ટ કાર્યક્રમ શ્રી ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ૧૫૦ રીંગ રોડ, જેડ બ્લુની સામે, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે. સહુને પધારવા ભાવભરી વિનંતી કરાઇ છે.

(3:44 pm IST)