Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ડો. એચ. એલ. ત્રિવેદીએ કિડની ક્ષેત્રે રોપેલ બીજ બન્યુ વટવૃક્ષ : ડો. કથીરિયા

સંસ્મરણો થકી શ્રધ્ધાંજલી અર્પણ : દેશ સેવા માટે વિદેશની જાહોજલાલી ત્યજનાર આ વ્યકિતના હ્ય્દયમાંથી હંમેશા કરૂણાભાવ છલકતો રહ્યો

રાજકોટ તા. ૪ : વિશ્વ વિખ્યાત સેવાભાવી ડોકટર તરીકેનું માન મેળવી જનાર ગુજરાતના સપુત એવા ડો. એચ. એલ. ત્રિવેદીના અવસાનથી મોટી ખોટ પડી હોવાનું જણાવી સંસ્મરણો થકી શ્રધ્ધાંજલી અર્પણ કરતા ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવેલ છે કેે હું બી.જે. મેડીકલ કોલેજ અમદાવાદ ખાતે એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતો ત્યારે આ વિરલ વ્યકિતએ દેશ સેવા માટે કેનેડાની જાહોજલાલી છોડી વતનની વાટ પકડી હતી.

આર.એસ.એસ.ના સંસ્કારોના કારણે તેમણે દેશપ્રેમને પ્રાધાન્ય આપ્યુ હતુ. નવરાત્રીના પ્રોફેસર્સ કવાટર્સમાં સાથે લીધેલા ગરબાના એ દ્રશ્યો આજે તાજા થાય છે. કવાટર્સથી નિકળી હોસ્ટેલ સુધી નિયમિત ટહેલવા જતુ આ દંપતિ કેનેડાથી અમદાવાદ મેડીકલ કોલેજમાં સેવારત બન્યાને થોડો સમય જ થયો ત્યાં સૌ સાથે આત્મિય નાતો કેળવી લીધો.

એ સમયે કીડની હોસ્પિટલ અને યુનિવર્સિટીની કલ્પના કરવી જ અશકય હતી. ત્યારે સીવીલ હોસ્પિટલના ઝીરો બ્લોના એક ખુણામાં 'પેરીટોનીયલ ડાયાલીસ' નો વિભાગ ડો. ત્રિવેદીએ શરૂ કર્યો હતો. એકલા હાથે શરૂઆત કરેલી અને પછી ધીરેધીરે પી.જી.ના રેસીડેન્ટ ડોકટર્સ (ત્યારે હાઉસમેન શબ્દ વપરાતો) તેમા કામ કરતા થયા તેટલો સિમિત સ્ટાફ હતો. અવા સમયે હીમો ડાયાલીસીસ હજુ કયાં આવ્યુ હતુ? ટ્રાન્સપ્લાન્ટની તો વાજ ન હતી. અમારે સૌરાષ્ટ્રના ડાયાલીસીસ માટે આવતા અને ક દર્દીઓની સાર સંભાળ ભલામણ માટે અવાર નવાર જવાનું થતુ.

ડો. કથીરીયાએ સંસ્મરણોને વાગોળતા જણાવેલ છે કે રાજકોટના કીડની સ્પેશ્યાલીસ્ટ ડો. જાગાણી, ડો. ત્રિવેદી રજીસ્ટ્રાર તરીકે સેવા આપતા. અભ્યાસના ભાગરૂપે ડો. ત્રિવેદીના લેકચર ભરવા પણ જતા. કાળક્રમે આ મહામાનવની ધીરજ, દીર્ઘદ્રષ્ટિ, પરીશ્રમ અને સેવા સમર્પણની ભાવનાને કારણે આ વિભાગ મોટો થતો જ ગયો. સિવીલ હોસ્પિટલના એક ખુણામાં શરૂ થયેલો વિભાગ આજે વિશાળ યુનિટ અને ત્યાર બાદ અત્યારની કીડની હોસ્પિટલરૂપે વટવૃક્ષનું સ્થાન જમાવ્યુ છે.

ડો. ત્રિવેદી પોતે તો નેફ્રોલોજીસ્ટ એટલે તેમણે ખુદ ટ્રાન્સપ્લાન્ટ ન કર્યા પરંતુ હોસ્પિટલ અને ટીચીંગ ઇન્સ્ટીટયુટના માધ્યમથી અનેક નેફ્રોલોજીસ્ટ-યુરોલોજીસ્ટ અને ટેકનીકલ સ્ટાફની દેશને ભેટ ધરી છે.

સમય જતા સિવીલ હોસ્પિટલના કેમ્પસમાં સેમી ગવર્નમેન્ટ કીડની હોસ્પિટલની સ્થાપના થઇ અને છેલ્લે ગુજરાત અને કેન્દ્ર સરકારના અનુદાનથી દેશની શ્રેષ્ઠ ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી સિવીલ હોસ્પિટલની બાજુના કેમ્પસમાં કાર્યરત બનેલ છે. આવા પદ્દમશ્રીથી વિભુતિ સૌરાષ્ટ્રના ચરાડગા ગામનું બ્રહ્મતેજ અને સમગ્ર રાષ્ટ્રના ડોકટર આલમ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. તેમ ડો. વલ્લભભાઇ કથીરીયા (મો.૯૦૯૯૩ ૭૭૫૭૭) એ સંસ્મરણો થકી શ્રધ્ધાસુમન અર્પતા જણાવેલ છે.

(11:54 am IST)