Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કાલે વિશ્વ પર્યાવરણ દિવસ : કોરોનાએ પ્રકૃતિ સાથે અનુસંધાન કરાવી દિધુ : પ્રદૂષણ દૂર કર્યું : હવે 'આપણે' જાળવવું તે ફરજ

પ્રદૂષણથી પીડાતો દરેક આમ જન લોકડાઉનને કારણે થોડો બહાર નીકળ્યો પરંતુ હવે અનલોક-૧માં પ્રકૃતિને ૪૭માં વર્ષમાં પ્રવેશને વધાવીએ : પ્રદૂષણ ઓછું થતા હિમાલયની પર્વતમાળાના દર્શન થયા : કસ્તુરી જેવી સુગંધ ધરાવતા 'મલબાર વણીયર' નામના પ્રાણીઓ વિહાર કરતા જોવા મળ્યા : આવો સંકલ્પ કરીએ કાલે પર્યાવરણ દિવસે એક છોડ રોપી... તેના જતન થકી પ્રકૃતિની જાળવણી કરીએ

૫ મી જૂન ૧૯૭૪થી 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી શરૂ કરવામાં આવી. આ ઉજવણી શરૂ થયાને ૨૦૨૦ માં ૪૬ વર્ષ પૂર્ણ થશે. આ વર્ષની ઉજવણીની થીમ છે “Time for Nature” અર્થાત પ્રકૃતિ માટે સમય ફાળવીએ.

ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં માનવજાત સમક્ષ ઉભી થયેલી કોવિડ-૧૯ની મહામારીના કારણે સમગ્ર વિશ્વ સમક્ષ અનેક આશ્યર્યજનક ઘટનાઓનું સુખદ સર્જન થયું છે. થોડા સમય પહેલા પ્રદૂષણથી પીડાતા માનવીઓની પીડા આજે કોરોનાના કારણે ઉભી થયેલી લોકડાઉનની પરિસ્થિતિના પરિણામે મહદ અંશે ઓછી થઈ છે. પર્યાવરણમાં આમ અચાનક આવેલો આ બદલાવ આપણા સૌ માટે સુખદ આંચકારૂપ છે. પૃથ્વી ઉપર ઘટતી જતી વૃક્ષોની સંખ્યાની સાથે જળ અને વાયુ પ્રદુષણમાં છેલ્લા કેટલાક દાયકામાં થયેલો નોંધપાત્ર વધારો એ આપણા પર્યાવરણ માટે ખતરારૂપ બની રહયો છે. જેના કારણે આજે આપણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહયાં છીએ. તેવા સમયે સમગ્ર વિશ્વમાં પ્રત્યેક વર્ષે કરવામાં આવતી પર્યાવરણ દિવસની ઉજવણી વિશે જાણીએ.

પ્રાચીન ભારતમાં પ્રકૃતિનું સંરક્ષણ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યું હોવાનું તેના શિલાલેખો પરથી જાણવા મળે છે. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલાલેખોમાં જોવા મળે છે. પણ આ ઉજવણીના બીજ આધુનિક વિશ્વમાં ૧૯૭૨માં પ્રસ્થાપિત થયા. યુનાઇટેડ નેશન્સના નેજા હેઠળ પર્યાવરણીય સમસ્યાઓ પર પહેલી મોટી પરિષદ, સ્ટોકહોમ (સ્વિડન)માં ૫-૧૬ જૂન દરમિયાન યોજાઈ હતી. તેનું મુખ્ય લક્ષ્ય પર્યાવરણને સાચવવા અને તેની સામે ઊભા થનાર પડકારને કેવી રીતે દૂર કરવા તેના પર એક સામાન્ય દૃષ્ટિકોણ બનાવવાનું હતું, ત્યારબાદ વર્ષ ૧૯૭૩માં ૧૫ ડિસેમ્બરના રોજ જનરલ એસેમ્બ્લીએ ઠરાવ કરીને ૫ મી જૂનને વૈશ્વિક પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું. ૧૫ ડિસેમ્બરના રોજ, જનરલ એસેમ્બ્લીએ અન્ય ઠરાવ દ્વારા પર્યાવરણીય મુદ્દાઓ પર વિશિષ્ટ કામ કરવા માટે સંયુકત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એજન્સીની રચના પણ કરી. જે હાલ વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. આ એજન્સીના માર્ગદર્શન નીચે સૌ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ૧૯૭૪ થી શરૂ કરવામાં આવી.

આ તો થઈ તેની ઉજવણીની વાત. પણ હાલના સંજોગોમાં આપણી આસપાસના પર્યાવરણનો અર્થ સમજવો પણ અતિ આવશ્યક છે. પર્યાવરણનો સામાન્ય અર્થ 'પૃથ્વીની આસપાસનું આવરણ' એવો થાય છે. માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિ અને સજીવો વચ્ચેના પારસ્પરિક સંબંધને 'પર્યાવરણ' કહેવામાં આવે છે. એ દ્વષ્ટિએ માનવીની આજુબાજુ રહેલાં સઘળાં પ્રાકૃતિક તત્વોના સમૂહનો સમાવેશ પર્યાવરણમાં થાય છે.

ઔદ્યોગિક વિકાસને પગલે માનવીએ પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્વક, આયોજનબદ્ઘ ઉપયોગ કરવાને બદલે તેનો ઈચ્છા અનુસાર બેફામ દૂરપયોગ કર્યો, પરિણામે પૃથ્વીના વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં અનિચ્છનીય વધારો થયો. જેને કારણે માનવી સહિત પશુ-પક્ષી, વનસ્પતિ અને પ્રાકૃતિક સંપદાઓ પર વિપરીત પરિણામો મળ્યા. પર્યાવરણ પ્રેમીઓએ પૃથ્વીના પર્યાવરણને દૂષિત થતું રોકવા અનેક કાર્યક્રમો આપ્યા. પર્યાવરણ પ્રત્યે લોકજાગૃતિ પણ વધી. છતાં વાસ્તવિકતા એ રહી છે પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું. જો કે હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીનો એક લાભ વૈશ્વિક પર્યાવરણને પણ થયો છે. જેમાં લોકડાઉનની સ્થિતિએ અગત્યનો ભાગ ભજવ્યો.

લોકડાઉનના પરિણામે આપણને શું શું જોવા મળ્યું છે એ કહેવું હોય તો એમ કહી શકાય કે,  શહેરોની પ્રદુષિત હવા શુધ્ધ થઈ, આપણા આસપાસની વાત કરીએ તો વન્યપ્રાણીઓ ખુલ્લામાં જોવા મળ્યા. તો પંજાબના જલંધરથી હિમાલયની પર્વતમાળાના દર્શન થયા. હિમાલયની ગોદમાં ફકત ૨૦૦ કિલોમીટર દૂર હોવા છતાં અહીંના રહેવાસીઓ છેલ્લા ત્રીસેક વર્ષથી હિમાલયની ધોળાધર રેન્જ જોઇ શકતા નહોતા વિચાર કરો, એક આખી પેઢી નીકળી ગઇ ત્યાં સુધી કોઇ આ પર્વતમાળાને જોઇ શકતું નહોતું અને આજે લોકો સ્પષ્ટ દેખાતી આ પહાડીના ફોટોગ્રાફસ શેર કરી રહયા છે, કસ્તૂરી જેવી સુગંધની નૈસર્ગીક ભેટ ધરાવતાં નાજૂક નમણાં 'મલબાર વણીયર' નામનાં પ્રાણીઓ કેરળનાં ગામોની શેરીઓમાં વિહાર કરતા દ્રશ્યમાન થયા, દેશનાં સમુદ્રતટે ફલેમિંગો પક્ષી ગીતગુંજન કરી રહ્યા હતા અને દરિયાઈ કાંઠાળ વિસ્તારોમાં જે પહેલા કયારેય જોવા નહોતી મળતી તે ડોલ્ફિન ત્યાં આવીને ઉછળકૂદ કરતી આપણે જોઈ શકયા. અરે.. પ્રદુષણ ઓછું થવાને કારણે ઓઝોનના સ્તરનું ગાબડું આપમેળે પૂરાઈ                ગયું. આ અને આવી તો કેટલીય ઘટનાઓ લોકડાઉન દરમિયાન જોવા મળી છે. પણ આ લોકડાઉન હવે અનલોક થયું છે.      

અત્યારે દુનિયાની સામે અનેક પ્રકારના પ્રદૂષણનો ખતરો છે. જેમાં પાણીનું, હવાનું, જમીનનું તથા થર્મલનું પ્રદુષણ, ઉપરાંત રેડિયો એકિટવ પ્રદૂષણ, ઘોંઘાટનું પ્રદૂષણ અને પ્રકાશનું પ્રદૂષણ. આ બધા પ્રદૂષણો લોકડાઉનને કારણે અંશતઃ ઘટવા લાગ્યા હતા. પણ હવે લોકડાઉન જયારે અનલોક થયું છે, લોકો ફરી તેમના ધંધા – રોજગારમાં વ્યસ્ત થવા લાગ્યા છે, ઉદ્યોગો પૂનઃ ધમધમવા લાગ્યા છે, તેવા સમયે ફરી આ પ્રદુષણ રૂપી રાક્ષસનો સામનો આપડે કરવો ન પડે તે માટે આપણે ઘણું કરી શકીએ. આ માટેની શરૂઆત આપણે આપણાથી જ કરવી પડશે. પહેલા તો આપણે પર્યાવરણ પ્રત્યે સજાગ બનવું પડશે સાથો સાથ લોકોને પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા પડશે. આપણાં પરિવારમાં, કાર્યાલયમાં અથવા આપણાં વિસ્તારમાં પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા ફેલાવી શકીએ. અરે.. બીજું કંઈ નહિ તો એક નાનકડો છોડ રોપી તેનું જતન કરી શકીએ છીએ. જે આપણને પ્રકૃતિ સાથે વાર્તાલાપ કરવામાં સહાય કરશે અને કંઈક નવું કરવાની તક આપશે.

કોવિડ-૧૯ ને કારણે જીવનમાં કદી ન કલ્પેલી સામાજિક – આર્થિક પરિસ્થિતિ આપણે અનુભવી છે, ત્યારે પ્રકૃત્ત્િ। પ્રત્યેના પ્રેમને અને તેની સાથેના આપણાં સંબંધોને પુનઃ મજબૂત કરવાના આ મહામૂલા અવસરને આપણે કાયમ માટે ટકાવી રાખીને પર્યાવરણના જતનની સાથે આપણી આવનારી પેઢીને સ્વચ્છ – સુંદર પર્યાવરણની ભેટ આપીએ. અત્યારે તો આપણે કોરોનાથી બચવા માસ્ક પહેરીએ છીએ પણ જો પર્યાવરણની યોગ્ય રીતે જાળવણી નહીં કરીએ તો એ દિવસ દૂર નથી જયારે પ્રદુષણથી બચવા આપણે માસ્ક પહેરવા પડશે. તો ચાલો આ વિશ્વ પર્યાવરણના દિવસે પર્યાવરણની જાળવણી માટે સમય ફાળવવા અને એક છોડ રોપી તેના જતન થકી પ્રકૃતિની જાળવણી માટે સંકલ્પબધ્ધ બનીએ...

: આલેખન :

શુભમ અંબાણી

માહિતી બ્યુરો, રાજકોટ.

(3:07 pm IST)