Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કાલે પર્યાવરણ દિન પ્રસંગે શહેરીજનો, સામાજીક સંસ્થાઓ તથા વૃક્ષ પ્રેમીઓને વૃક્ષારોપણ કરવા પદાધિકારીઓની અપીલ

રાજકોટ તા. ૪ : આજે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જ માટે ચિંતિત છે. કલાઈમેટ ચેન્જના કારણે ઋતુચક્રમાં ફેરફારો આવતા રહે છે જેથી અનેક આફતોનો સામનો કરવો પડે છે. પશુ, પક્ષી, પ્રાણીઓ અને માનવીને શુદ્ઘ હવા મળે તે માટે પર્યાવરણની સુરક્ષા કરવી ખુબજ જરૂરી છે. આવતીકાલ તા.૦૫ જુન ૨૦૨૦ના રોજ પર્યાવરણ દિનના અનુસંધાને શહેરના નગરજનો, સામાજીક સંસ્થાઓ તથા વૃક્ષપ્રેમીઓએ વૃક્ષારોપણ કરવા મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, તથા ગાર્ડન સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી પણ દર વર્ષે ઓગષ્ટ માસમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે છે. ગત ૨જી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે શહેરના આજીડેમ સાઈટ ખાતે આશરે ૪૭ એકર જમીનમાં અર્બન ફોરેસ્ટ (ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાન)નો શુભારંભ કરવામાં આવેલ. ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં વૃક્ષોનું ખુબજ મહત્વ રહેલ છે અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે. રાજય સરકારે પણ રાજયમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવો અભિયાન હાથ ધરેલ છે.

પ્રદુષિત માહોલ અને પર્યાવરણ જાહેર સ્વાસ્થયને કેટલું નુકશાન કરે છે તેમજ શુદ્ઘ પર્યાવરણ કેટલું લાભદાયી છે તેનાથી પણ આપણે સૌ વાકેફ છીએ. વૃક્ષો સમગ્ર સમાજના જાહેર હિતમાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે તમામ નાગરિક ભાઈ-બહેનો વધુમાં વધુ સંખ્યામાં વૃક્ષારોપણ કરે વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા ગત ૦૫ જુન ૨૦૧૯માં શહેરના ત્રણેય ઝોનમાં વૃક્ષારોપણ થાય તે માટે તરૂયાત્રા યોજવામાં આવેલ. આપણું શહેર પ્રદુષણ મુકત અને હરિયાળું બને તે માટે સૌ સાથે મળી શહેરમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવા અને તેનું જતન કરવા પદાધિકારીશ્રીઓએ ફરીને સૌને અપીલ કરેલ.

(3:04 pm IST)