Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

માંડા ડુંગરના મયુરને પૂર્વ પ્રેમિકાએ ફોન કરી મળવા બોલાવ્યો, તેના પતિએ ઘરમાં ખેંચી બેફામ ફટકાર્યો

રાજુ ભરવાડ, જલા ભરવાડ, ચોથા ભરવાડ અને લાલા ભરવાડ સામે મયુરની ફરિયાદ પરથી એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ફરિયાદઃ સામે મયુર વિરૂધ્ધ ઘરમાં ઘુસી નિર્લજ્જ હુમલો કરી બળાત્કાર ગુજારવાનો ગુનો દાખલ

રાજકોટ તા. ૪: આજીડેમથી આગળ માંડા ડુંગર પાસે ભીમરાવનગર-૧માં રહેતાં વણકર યુવાનને પૂર્વ પ્રેમિકાએ ફોન કરી ઘરે આવવાનું કહેતાં તે ત્યાં જતાં તેણીના પતિ સહિતના ચાર જણાએ તેને ઘરમાં ખેંચી જઇ પાઇપ-લાકડીથી  બેફામ માર મારતાં હોસ્પિટલના બિછાને પહોંચતા પોલીસે તેની ફરિયાદ પરથી ચાર ભરવાડ શખ્સો  વિરૂધ્ધ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પરિણીતા સાથેના પ્રેમસંબંધની તેના પતિને જાણ થઇ જતાં ત્રણ માસથી આ સંબંધ પુરો કરી નાંખ્યો હતો. છતાં ખાર રાખી તેણીના પતિ સહિતનાએ હુમલો કર્યાનું આ યુવાને ફરિયાદમાં જણાવ્યું છે.

આજીડેમ પોલીસે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા માંડા ડુંગર પાસે ભીમરાવનગર-૧માં રહેતાં મયુર કરસનભાઇ બથવાર (ઉ.૨૧) નામના વણકર યુવાનની ફરિયાદ પરથી રાજુ ભરવાડ, જલા બોળીયા (ભરવાડ), ચોથા બોળીયા અને લાલા બોળીયા સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૪૦૩, ૧૧૪, ૧૩૫ તથા એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

મયુરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું સેન્ટીંગ કામ કરી ગુજરાન ચલાવું છું. મારે ઘર નજીક રહેતાં રાજુભાઇ બોળીયાની પત્નિ સાથે છએક મહિના પહેલા પ્રેમસંબંધ હતો. તેના પતિને જાણ થઇ જતાં મેં આજથી ત્રણેક મહિના પહેલા પ્રેમસંબંધ પુરો કરી નાંખ્યો હતો. સોમવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે હું મારા ઘર પાસે નાગબાઇ ચોકમાં હતો ત્યારે રાજુભાઇની ઘરવાળીએ ફોન કરી તું મારા ઘરે આવ તેમ કહેતાં હું થોડીવાર પછી તેના ઘર પાસે જતાં રાજુભાઇ, તેના ભાઇ જલાભાઇ, ચોથાભાઇ, કોૈટુંબીકભાઇ લાલાભાઇ એમ ચારેય મને તેના ઘરમાં લઇ ગયા હતાં.

એ પછી મને લાકડીથી અને પાઇપથી ચારેયએ આડેધડ માર માર્યો હતો. બંને પગના નળામાં લોહી નીકળવા માંડતા હું પડી ગયો હતો. જલાભાઇએ લોખંડના પાઇપથી ડાબી આંખ નીચે ઘા ફટકાર્યો હતો. તેમજ માથામાં, ડાબા હાથ, વાંસામાં ઇજા થઇ હતી. મારાો મોબાઇલ ફોન પણ પડી જતાં ચારમાંથી કોઇએ લઇ લીધો હતો. હું બેભાન જેવો થઇ ગયો હતો. આજુબાજુમાંથી બીજા માણસો ભેગા થઇ જતાં અને રાજુભાઇના સગાઓ પણ આવી જતાં બાદમાં મને છોડી મુકયો હતો. એ પછી મારા માતા-પિતા સહિતના આવી ગયા હતાં અને મને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

મારે રાજુભાઇની પત્નિ સાથે પ્રેમસંબંધ હતો એ મુકી દીધો હતો. આમ છતાં ખાર રાખી ઘરે બોલાવી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો. પી.આઇ. પી.એન. વાઘેલા,  વિરેન્દ્રસિંહ ઝાલા, કિરીટભાઇ રામાવત સહિતે ગુનો દાખલ કર્યો હતો. મયુરને પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

મયુરે ઘરમાં ઘુસી બે સંતાનની માતાને મુંગો દઇ ધમકાવી છરીની અણીએ બળાત્કાર ગુજાર્યાનો ગુનો નોંધાયો

. મયુર બથવારની ધોલધપાટ થતાં તે હોસ્પિટલમાં દાખલ થતાં તેની ફરિયાદ પરથી પોલીસે ચાર ભરવાડ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ મયુર સામે એક મહિલાએ ઘરમાં ઘુસી છરીની અણીએ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

મહિલાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે મયુર કરસનભાઇ બથવાર સામે આઇપીસી ૪૫૨, ૩૫૪, ૫૦૬ (૨), ૩૭૬, જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. ભોગ બનેલી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આજથી એક મહિના પહેલા પોતે ઘરમાં હતી ત્યારે મયુરે ઘરમાં ઘુસી જઇ મોઢે મુંગો દઇ બળજબરીથી ચુંબન કર્યા હતાં. એ પછી ગઇકાલે એટલે કે સોમવારે મયુરે ફરીથી મહિલાના ઘરમાં ઘુસી જઇ તેના બાળકો સુતા હતાં ત્યારે તેણીને મોઢે મુંગો દઇ છરી બતાવી બંને બાળકોને મારી નાંખવાની ધમકી આપી રૂમમાં લઇ જઇ મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પી.આઇ. પી.એન. વાઘેલા, વિરેન્દ્રસિંહ, કિરીટભાઇ રામાવત સહિતે અલગથી ગુનો નોંધ્યો છે. હોસ્પિટલમાંથી મયુરને રજા અપાયા પછી તેની આ ગુનામાં ધરપકડ કરવામાં આવશે.

(3:11 pm IST)