Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

શોષિત કરાર આધારિત બીનશૈક્ષણિક કર્મચારીને ખાનગી એજન્સીના હવાલે ન કરો

તાકીદે નિર્ણય રદ કરવા ડો. જયદિપસિંહ ડોડીયાની માંગ

રાજકોટ તા.૪: બીનશૈક્ષણિક કર્મચારીઓને ખાનગી એજન્સીને હવાલે કરવાના નિર્ણયને રદ કરવા સુટાના પૂર્વ પ્રમુખ જયદિપસિંહ ડોડીયાએ એક પત્ર પાઠવી માંગ કરી છે. સુટાના પૂર્વ પ્રમુ જયદિપસિંહ ડોડીયાએ એક યાદીમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ સેવારત ૪૦૮ કરાર  આધારિત બિનશૈક્ષણિક કર્મચારીઓને ખાનગી એજન્સીના હવાલે કરવાનો ચોંકાવનારો નિર્ણય યુનિવર્સિટી સત્તાધિશોએ કર્યો છે. નજીકનાં જ ભૂતકાળમાં માઇન્ડ લોજિક જેવી પ્રાઇવેટ એજન્સીઓને પરિક્ષા વિભાગની કામગીરી સોંપવાનોં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ખુબ જ ખરાબ અનુભવ છે તેમજ કરાર આધારિત બિનશૈક્ષણિક કર્મચારીઓ હાલ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર, પુનઃમૂલ્યાંકન વિભાગ સહિત અનેક ગોપનીય અને મહત્વના વિભાગોમાં પૂરી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહયા છે. તેમની કામગીરીની સાપેક્ષમાં તેમને પગાર સ્વરૂપે નજીવી રકમ આપવામાં આવે છે. આ સ્થિતિમાં શોષણનો ભોગ બનતા આ બિનશૈક્ષણિક કર્મચારીઓ પ્રવર્તમાન કારમી મોંઘવારીમાં પોતાની પ્રાથમિક જરૂરીયાતો સંતોષી શકે અને સ્વમાનભેર જીવી શકે એટલો પગાર વધારો કરવાને બદલે આ તમામ કર્મચારીઓન હવે અમદાવાદની કોઇ ખાનગી કંપનીને હવાલે કરેલ છે.

આશરે ૪૦૮ જેટલા કર્મચારીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે પારિવારીક ભાવનાથી જોડાયેલા છે અને યુનિવર્સિટી પાસેથી જે નજીવો પગાર મેળવે છે તેની સામે અનેકગણું વળતર આ કર્મચારીઓ સંસ્થાને આપે છે. ખુદ આ કર્મચારીઓ પણ આવી કોઇ ખાનગી કંપનીના હવાલે થવા રાજી નથી ત્યારે આવો અવ્યવહારું, અતાર્કિક અને મનઘડત નિર્ણય સંસ્થાના હિતમાં નથી. આ નિર્ણય તાકીદે રદ કરવા યુનિવર્સિટી સત્તાધિશોને આદેશ આપવા અંતમાં ડોડીયાએ માંગ કરી છે.

(4:10 pm IST)