News of Monday, 4th June 2018
રાજકોટ તા.૪: સમાજના નાના-મધ્યમ વર્ગની આર્થિક જરૂરીયાતો પરિપૂર્ણ કરવા અને તેઓમાં બચતની ભાવના કેળવવા માટે આજથી ૨૦ વર્ષ પૂર્વે સહકારી આગેવાન હરગોપાલસિંહ જાડેજાએ સ્થાપેલી શ્રી શિવશકિત શરાફી મંડળી લી. સ્થાપના બાદ બુલેટ ટ્રેનની જેમ પ્રગતિમાં સડસડાટ આગળ વધી રહી છે અને વિકાસના નવા-નવા શિખર સર કરી રહી છે. આ આગેવાને સહકારરૂપી વાવેલું બીજ આજે એક વિશાળ વટવૃક્ષ બની ચુકેલ છે. લોખંડી તાકાત સાથે આ મંડળી આજે કોઇ બેંકને પણ ટકકર મારે એટલી હદે સધ્ધર અને સબળ બની છે.
વિના સહકાર નહી ઉધ્ધાર સિધ્ધાંતને વરેલી આ મંડળીની ૨૦મી વાર્ષિક સભા તાજેતરમાં મંળીના કાર્યાલયના પટાંગણમાં યોજવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં સભાસદ ભાઇ બહેનો હાજર રહયા હતા અને ચેરમેન હરગોપાલસિંહ જાડેજા, યુવા ધરોહર કુલદિપસિંહ જાડેજા, અને એમડી ડીડી છાયાના નેતૃત્વમાં અખૂટ વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ મંડળીની ૩૧-૩-૨૦૧૮ની સ્થિતિએ સભાસદ સંખ્યા ૧૧,૭૦૦ થી વધુ, ફબ સંખ્યા ૧૦,૬૦૮, શેરભંડોળ ૫.૧૭ કરોડથી વધુ, થાપણો ૬૮ કરોડથી વધુ, ધિરાણ ૬૬ કરોડ થી વધુ, બેંકોમાં થાપણો ૧૪ કરોડ નજીક અને નફો ૧ કરોડ ૩૦ લાખ જેટલો નોંધાયો છે. પારદર્શિતા, કરકસર, લોકશાહી વહીવટ, ઝડપી અને ઉતકૃષ્ટ સેવા તથા સહકારના સિધ્ધાંતોને વરેલી આ મંડળી પહેલેથી જ ઓડીટ વર્ગ 'અ' ધરાવે છે અને ૯૮ ટકા જેવી રીકવરી પણ ધરાવે છે. સભાસદો, થાપણદારો, લોન ધારકોના વિશ્વાસના સહારે આ મંડળી હજુ પ્રગતિ કરશે એમાં કોઇ શક નથી.
મંડળીની આર્થિક સાધારાણ સભા પ્રસંગે ચેરમેન જાડેજાએ સોૈનું સ્વાગત કરી જણાવ્યું હતું કે સભાસદોનો વિશ્વાસ એ જ અમારી મૂડી છે. અને સહીયારા પ્રયાસોથી અમે આગળ વધવા માંગીએ છીએ. તેમણે આ પ્રસંગે સભાસદોને જણાવ્યું હતુ કે મંડળીની શિવકવચ વિમા યોજના હેઠળ મંડળીના સભાસદોના અવસાન બાદ ૧૨ જેટલા વારસદારોને રૂ. ૪૮ હજારનું ચુકવણુ કરવામાં આવ્યું હતુ આ ઉપરાંત તબીબી સહાય અર્થે કેન્સરના કુલ ૧૦ દર્દીઓને દરેકને ૫ હજાર લેખે ૫૦ હજાર આપી સામાજિક સેવા બજાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે મંડળી દ્વારા ૧૭ વર્ષથી ગૃહ ઉપયોગી સભાસદ ભેટ આપવામાં આવે છે. આ વખતે પણ ડબલ બેડશીટનું વિતરણ શરૂ કરી દેવામા઼ આવ્યું છે. આ ઉપરાંત સભાસદોના ધો. ૧૦ અને ધો. ૧૨ની પરિક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારને સન્માનવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવતો હોય છે.
સાધારણ સભા પુરી થતાં આભાર દર્શન યુવા ધરોહર કુલદિપસિંહ એચ. જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. સભાને સફળ બનાવવા વ્યવસ્થાપક કમીટીના સભ્યો ઉપરાંત મેેનેજર નિપેશ પંડયા સહિતના કર્મચારીઓએ પણ જહેમત ઉઠાવી હતી.